Charchapatra

શું પ્રભુભકિત માટે સંસારત્યાગ જ આવશ્યક છે?

અનેક ધર્મ ‘સંસાર ત્યાગ’ને અગ્રિમતા આપે છે! શિક્ષિત, કુમળી વયના બાળકો, યુવાનો ‘સંસાર ત્યાગ’ને જ ભકિતમાર્ગ માને છે. સંસાર ત્યાગ એ સૌની માન્યતા તથા અંગત વિચારસરણી હોઇ શકે, પરંતુ કુમળી વયના બાળકો યુવાવસ્થામાં પ્રવેશે ત્યારે એમના અંતસ્ત્રાવોમાં ફેરફાર કુદરતી રીતે અવશ્ય આવે છે અને વિજાતીય આકર્ષણ પણ ઉદ્‌ભવે છે. એ વૈજ્ઞાનિક અભિગમ દ્વારા સિધ્ધ થયેલ બાબત છે. તો શા માટે સંયમ દાખવવા કુદરતી આવેગોને દબાવી દેવા? ઘણી વાર અખબારી આલમ દ્વારા વિવિધ પંથોના ‘કૃત્યો’ જાણવા મળે જ છે! અને શું દેહદમન જ ભકિત હોિ શકે?

આપણા ઋષિમુનિઓ પણ સાંસારિક જીવન જીવતા અને સંતાન પ્રાપ્તિ પણ કરતા તો એમની ભકિત ઇશ્વરે નહીં સ્વીકારી હશે? સંસારનો ત્યાગ કરીએ તો જ પ્રભુ રાજી થાય? આપણે જેમને ઇશ્વરના અવતાર માનીએ છીએ એમણે પણ સંસારસુખ સ્વીકાર્યું જ હતું. એમને પણ સંતાન પ્રાપ્તિ થઇ જ હતી. રાજા તરીકે પણ શ્રેષ્ઠ રાજવી પણ સિધ્ધ થયા હતા. શ્રીરામ અને શ્રીકૃષ્ણ સંસારમાં રહીને સદ્‌કાર્યો કરી અન્યોને મદદતપ નિવડી, કોઇને અન્યાય ન કરી શુધ્ધ સાત્વિક જીવન અને માનસિકતા પણ પ્રભુ ભકિત કહેવાય જ.
સુરત              – નેહા શાહ .-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top