Madhya Gujarat

કડાણામાં તંત્રએ ધ્યાન ન આપતાં ગ્રામજનોએ જાતે જ રસ્તો બનાવ્યો

કડાણા : કડાણા તાલુકાના નાના રાજનપુરના વાગડીયાના મુવાડા ફળીયામાં રસ્તો બનાવવા લાંબા સમયથી ગ્રામજનોએ માગણી કરી હતી. પરંતુ તંત્ર ધ્યાન ન આપતા આખરે રહિશોએ જ ભેગા મળીને સ્વખર્ચે જેસીબીથી આ રસ્તો રિપેર કર્યો હતો. કડાણા તાલુકાના નાનારાજનપુરા ગામે વાગડીયાના મુવાડા ફળીયાનો રસ્તો કાચો માટીનો અને ખાડા ટેકરાવાળો હોઈ ચોમાસામાં આ રોડ પર અવરજવર મુશ્કેલ બને છે, વાહનો પણ ચલાવવાનું મુશ્કેલ બની જાય છે. બિમાર વ્યક્તિને રસ્તા ના અભાવે હોસ્પિટલ લઇ જવામાં પારાવાર મુશ્કેલીમાં મુકાવું પડે છે. આ ફળીયામાં અંદાજે સો જેટલી વસ્તી આવેલી છે.

આ અંગે અરવિંદભાઈ વાગડીયાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 15 વર્ષથી આ વાગડીયાના મુવાડા ફળીયાનો રસ્તો બનાવવાની રજુઆતો સરપંચને અનેક વખત કરીએ છીએ તથા વરસો વિત્યા છતાં પણ આ રસ્તો નવીન બનાવવામાં ભારે ઊદાસીનતા વર્તાતી જોવાં મળે છે. આ રસ્તો થઈ જશે ના માત્ર ઠાલાં વચનો સાંભળીને ફળીયાના રહીશો રોષે ભરાયાં હતાં અને ફળીયાના લોકો ત્રાહીમામ પોકારી ગયેલા જોવાં મળે છે. આમ કડાણા તાલુકા વિકાસ અધિકારી, તલાટી અને સરપંચ આ ફળીયાની મુલાકાત કરે અને અમારાં ફળીયામાં શું હાલત છે ? તે જુએ અને મુલાકાત કરી અમને રસ્તાનું કામ વહેલી તકે બનાવી આપે એવી ફળીયાના રહીશો માંગ ઉઠી છે.

Most Popular

To Top