ભારતીય શેરબજારમાં આજે એટલે કે 11 મેના રોજ ભારે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ લગભગ 1000 પોઇન્ટ તૂટીને 76,300ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ 300 પોઇન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે અને તે 23,900ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. બજારમાં ખાસ કરીને ઓટો, બેન્કિંગ અને રિયલ્ટી સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. બજારના ઘટાડા પાછળ મુખ્ય કારણ વૈશ્વિક તણાવ માનવામાં આવી રહ્યું છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા યુદ્ધના માહોલને કારણે વિશ્વભરમાં રોકાણકારોમાં ભય ફેલાયો છે. નિષ્ણાતોનું માનવું છે કે જો મધ્ય પૂર્વમાં સ્થિતિ વધુ ખરાબ બનશે તો વૈશ્વિક સપ્લાય ચેઇન પર તેની મોટી અસર પડી શકે છે. બીજું મોટું કારણ ક્રૂડ ઓઈલના વધતા ભાવ છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું કાચું તેલ આયાત કરે છે. જો ક્રૂડ ઓઈલ મોંઘું થશે તો દેશનું ઇમ્પોર્ટ બિલ વધશે અને તેની સીધી અસર મોંઘવારી પર પડશે. આ ભયના કારણે રોકાણકારો શેરબજારમાંથી પૈસા કાઢી રહ્યા છે.
એશિયન બજારોમાં પણ આજે મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. સાઉથ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 4.29 ટકા વધ્યો હતો, જ્યારે જાપાનનો નિકેઈ અને હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ ઘટાડા સાથે ટ્રેડ થયા હતા. વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા હોવાને કારણે ભારતીય બજાર પર પણ દબાણ જોવા મળ્યું છે. વિદેશી રોકાણકારો પણ સતત ભારતીય બજારમાંથી નાણાં ઉપાડી રહ્યા છે. છેલ્લા 7 દિવસમાં FIIs અને FPIsએ લગભગ 13,908 કરોડના શેર વેચ્યા છે. છેલ્લા 30 દિવસમાં આ આંકડો ₹42,235 કરોડ સુધી પહોંચી ગયો છે. બીજી તરફ, સ્થાનિક સંસ્થાગત રોકાણકારો (DIIs) ખરીદી કરી રહ્યા છે, છતાં બજાર પર દબાણ યથાવત છે. આ પહેલા 8 મેના રોજ પણ બજારમાં ઘટાડો નોંધાયો હતો. તે દિવસે સેન્સેક્સ 516 પોઇન્ટ ઘટીને 77,328 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 150 પોઇન્ટ તૂટીને 24,176 પર બંધ થયો હતો. નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ અને ક્રૂડ ઓઈલના ભાવ બજારની દિશા નક્કી કરશે. જો મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધશે તો ભારતીય શેરબજારમાં હજુ વધુ અસ્થિરતા જોવા મળી શકે છે.