Business

શેરબજાર ફરી લથડયું: સેન્સેક્સ 200 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 23,350ની નીચે સરક્યો

ભારતીય શેરબજારમાં આજે એટલે કે 4 જૂને નબળાઈ જોવા મળી રહી છે. વૈશ્વિક બજારોમાંથી મળતા નકારાત્મક સંકેતો અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના કારણે બજાર દબાણ હેઠળ જોવા મળ્યું હતું. કારોબાર દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ લગભગ 200 પોઈન્ટના ઘટાડા સાથે 74,100ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 50થી વધુ પોઈન્ટ તૂટીને 23,350ના સ્તર નજીક પહોંચી ગયો હતો. બજારમાં સૌથી વધુ દબાણ IT અને મેટલ સેક્ટરના શેરોમાં જોવા મળ્યું હતું. રોકાણકારો દ્વારા આ સેક્ટરમાં વેચવાલી વધતા ઘણી મોટી કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો હતો. બજાર નિષ્ણાતોના મતે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને વિદેશી ફંડ્સની સતત નિકાસના કારણે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભારતીય બજાર પર એશિયન બજારોની નબળી ચાલની પણ અસર જોવા મળી હતી. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ લગભગ 0.96 ટકા તૂટ્યો હતો. જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 1.90 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થયો હતો, જ્યારે હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ પણ 1.43 ટકા નીચે સરક્યો હતો. એશિયન બજારોમાં થયેલા ઘટાડાએ ભારતીય રોકાણકારોની ભાવનાઓને પણ અસર કરી હતી. બીજી તરફ અમેરિકન શેરબજારોમાં પણ અગાઉના કારોબારી સત્ર દરમિયાન ભારે દબાણ જોવા મળ્યું હતું. ડાઉ જોન્સ ઇન્ડેક્સ 621 પોઈન્ટ અથવા 1.21 ટકા તૂટીને બંધ થયો હતો. ટેકનોલોજી આધારિત નાસ્ડેક ઇન્ડેક્સમાં 240 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે S&P 500 ઇન્ડેક્સ પણ 56 પોઈન્ટ તૂટ્યો હતો. અમેરિકી બજારોમાં આવેલા ઘટાડાની અસર વૈશ્વિક બજારો સહિત ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII/FPI) દ્વારા કરવામાં આવતી સતત વેચવાલી પણ બજાર માટે ચિંતાનો વિષય બની રહી છે. આંકડા મુજબ, વિદેશી રોકાણકારોએ ગઈકાલે એક જ દિવસમાં લગભગ 5,617 કરોડના શેર વેચ્યા હતા. છેલ્લા 7 દિવસમાં તેમણે આશરે 38,997 કરોડ અને છેલ્લા 30 દિવસમાં ₹73,069 કરોડથી વધુની વેચવાલી કરી છે. તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) બજારને ટેકો આપતા જોવા મળ્યા હતા. સ્થાનિક રોકાણકારોએ ગઈકાલે 5,741 કરોડના શેર ખરીદ્યા હતા. છેલ્લા 7 દિવસમાં DII દ્વારા 37,204 કરોડ અને છેલ્લા 30 દિવસમાં 95,742 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. તેમ છતાં વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી સામે સ્થાનિક ખરીદી પૂરતી સાબિત થઈ રહી નથી.

ઉલ્લેખનીય છે કે બજારમાં ઘટાડાનો આ સિલસિલો સતત બીજા દિવસે પણ ચાલુ રહ્યો છે. 3 જૂનના કારોબારી સત્રમાં પણ સેન્સેક્સ 303 પોઈન્ટ તૂટીને 74,346 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 77 પોઈન્ટના ઘટાડા સાથે 23,405 પર બંધ થયો હતો. બજાર નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક આર્થિક સ્થિતિ, અમેરિકી બજારોની ચાલ, ક્રૂડ ઓઈલના ભાવ અને વિદેશી રોકાણકારોની ગતિવિધિઓ આગામી દિવસોમાં બજારની દિશા નક્કી કરશે. હાલમાં રોકાણકારો સાવચેતીપૂર્વક ટ્રેડિંગ કરી રહ્યા છે અને મહત્વના આર્થિક સંકેતો પર નજર રાખી રહ્યા છે.

Most Popular

To Top