Comments

જમીની હકીકત બદલાઈ છે, તો ચૂંટણીની પ્રક્રિયા પણ બદલીએ

આઝાદી પછી ૭૫મા વરસે પણ આજે વ્યક્તિ પોતાને ભારતના નાગરિક તરીકે નહીં, પણ હિંદુ, મુસલમાન, શીખ, ઈસાઇ તરીકે પોતાની  ઓળખ આપવી પડે છે. દલિત અને મહિલા તેવી બે નવી પહેચાન સ્વરાજનું ફરજંદ બની છે, જે હકીકત સ્વાતંત્ર્યની વરમાળામાં કાંટાની જેમ ભોંકાઈને લોકશાહીનો શ્વાસ રૂંધે છે. ક્રિકેટની રમતમાં એક રન હાર અથવા જીત માટેનું પર્યાપ્ત કારણ ગણાય છે. તેમ ચૂંટણીમાં એક મતનો ખેલ બંધારણીય સ્થિતિ નિર્ધારિત કરવા માટે પ્રમાણભૂત ગણાય છે અને આથી જ તો ‘ગરીબી નિવારણ માટે અર્થકારણ અને સેવાકાર્ય માટે રાજકારણ’નો મહિમા હાર-જીતના દાવપેચમાં તબદિલ થયો છે. ગામના સરપંચથી લઈ દેશના રાષ્ટ્રપતિ સુધીના ઉમેદવારોની પસંદગીમાં વિજયની સંભાવના એકમાત્ર આધાર તરીકે જોવામાં આવે છે.

જીવનને ટૂંકાવીને જવાબદારીઓમાંથી મુક્ત થવા પ્રેરતી મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય, સંપર્ક જેવી પ્રાથમિક સુવિધાઓની દુર્લભ સ્થિતિ વેંઢારતો કોમન મેન તો ખાતરીપૂર્વક કહે છે કે ‘જો જીતા વહી સિકંદર’, પરંતુ આવા મહિમાગાન વચ્ચે સ્વરાજ્યની લડત સમયે મહાત્મા ગાંધી અને હજારો બલિદાન વીરોએ અપનાવેલ સાધનશુદ્ધિનો રાહ આજે તો પીગળેલ સ્થિતિમાં પણ હાથ લાગવો મુશ્કેલ દેખાય છે.

હાલાત વચ્ચે જમીની હકીકત તો એવી છે કે ૯૮% ઉમેદવારો કાં તો પૈસાના જોરે, કાં તો બાવડાના બળે અથવા તો કૌટુંબિક વારસાના હકે ટિકિટ મેળવે છે અને મતદારોએ ઓછું ખરાબ સમજી મતદાન કરવું પડે છે. જમીની હકીકત એ પણ બને છે કે વર્તમાન સમયમાં પક્ષના પ્રતિનિધિ તરીકે સેવાપરાયણ, રાષ્ટ્રભકત, પ્રામાણિક, ચારિત્ર્યવાન ઉમેદવારની પસંદગી નથી તો પક્ષનું ધોરણ બનતું કે નથી અપક્ષ તરીકે ચૂંટણી લડવા માટેનું સમાજ માધ્યમ બનતું. આથી નિર્વિકલ્પે ધર્મ, જાતિ, જ્ઞાતિ જેવા પારંપારિક માપદંડોથી દેશના સીમાડાઓ વચ્ચે જન્મેલ નાગરિક લોકશાહીનો રખેવાળ બનવાલાયક ઠરે છે, જે સ્વયં દુ:ખદ છે, ચિંતાકારી છે.

વિશ્વની સહુથી વધુ જનસંખ્યા ધરાવતા દેશની લોકશાહીમાં ચૂંટાતા પ્રજાના પ્રતિનિધિઓ સૌહાર્દ, સ્વીકાર અને સમભાવનું પ્રતિનિધિત્વ કરવાના બદલે જે પશ્ચાદ્ ભૂમિકા લઈને બંધારણીય આસન ઉપર આરૂઢ થાય છે તે સ્વયં લોકશાહી માટે ખતરારૂપ છે. જે વાતને સ્વીકારી એક નવા દૃષ્ટિકોણથી જન-પ્રતિનિધિને ચૂંટી લોકશાહીને ટકાવી રાખવા પ્રબુદ્ધ નાગરિકોએ વિચારવું રહ્યું. ઈતિહાસ નોંધે છે કે ગણરાજ્યોની સંભાવના નષ્ટ થતાં રાજાશાહી ઉદય પામી, તેના સ્થાને કયાંક શસ્ત્રોનાં જોરે સરમુખ્યત્યારો પ્રવેશ્યા. સમય જતાં સમાન હેતુથી જોડાયેલ સંગઠનો લેફટીસ્ટ તરીકે વિશ્વના કેટલાક દેશોમાં રાજ્ય શાસક બન્યા. આ બધાં પરિબળો પ્રજાતંત્ર માટે બુદ્ધિગમ્ય તો નથી જ, પરંતુ ર૧મી સદીમાં એક નવું પરિમાણ વિસ્તરી રહ્યું છે તે ‘એક ધર્મ પાળતા સમુદાયનું પ્રભુત્વ’ જે સમયાંતરે વિધ્વંસકારી સાબિત થતું જોવા મળી રહ્યું છે.

માનવ સમુદાયે ૮-૧૨ હજાર વર્ષના સાતત્યથી વિકસાવેલ માનવમૂલ્યોના સ્થાને ઈસ. પૂર્વે ૧૪૭૪ વર્ષથી ઊભરી આવેલ મુસ્લિમ સમુદાય શેરિયતની રીત-રસમોને આખરી માનવાનો દુરાગ્રહ રાખી બહુમતીના જોરે પ્રજાતંત્રના આધારસ્તંભ સમાન વ્યક્તિ સ્વાતંત્ર્ય, સૌહાર્દ, સત્ય અને સમભાવને એક તરફ ધકેલી રહ્યું છે. આથી, અફઘાનિસ્તાન માફક દુનિયાના અન્ય દેશોમાંથી માનવીય મૂલ્યોની બૌધ્ધિક યાત્રા થંભી જશે.

જૈવિક વિજ્ઞાનના આધારે જોઈએ તો બ્રહ્માંડમાં પૃથ્વીને ઓળખ આપનાર મનુષ્ય અને છેલ્લાં ૪ કરોડ વર્ષથી પૃથ્વી પર વિકસેલ ઉંદરનાં રંગસૂત્રો તો ૯૯% સરખાં છે. આમ છતાં, બે પગ ઉપર સીધી કમરથી ઊભા રહેલા માનવમસ્તિષ્કે જે મૂલ્યો વિકસાવ્યાં છે તે માત્ર ૧%નો ચમત્કાર ગણી શકાય. કાળક્રમે માનવ જાતે આત્માના સ્વભાવ તરીકે પોતાના જીન્સમાં અપનાવેલ સ્વતંત્રતા, નિર્ભયતા, આનંદ, શાંતિ, પ્રેમ જેવા ભાવો જળવાઈ રહે તે માટે પણ મુકત માનવજીવન એ એક જ માત્ર વિકલ્પ રહે છે.

ઈતિહાસ નોંધે છે કે જમીની સ્થિતિ બદલાય છે ત્યારે સમાજે પોતાના આચારવિચાર બદલ્યા છે. ઉદાહરણ તરીકે મોહેંજો-દરો હડપ્પન સંસ્કૃતિમાં પુરુષાર્થનું મહત્ત્વ હોતાં પુરુષાર્થ પ્રતિમાઓ સ્થાપત્ય તરીકે વિકસેલ, પરંતુ ત્યાર બાદ ઉપનિષદકાળમાં કપિલ મુનિએ સાંખ્ય દર્શન આપી ધ્યાનસ્થ ચિંતનનો દૃષ્ટિકોણ વિકસાવ્યો તો જગત ઉપર અહિંસા જેવી પ્રબળ સામાજિક ચેતના વિશ્વભરની માનવતાને અસરકર્તા બની. જૈન અને બૌદ્ધ પરંપરામાં કેન્દ્રવિચાર બની અને સ્વતંત્ર ભારતની લડતનો આધાર અહિંસા બની. સવિશેષ ભારતના બંધારણે અહિંસક જીવનના સ્વીકાર તરીકે સામાજિક સૌહાર્દને સ્વસ્થ નાગરિક જીવન તરીકે સ્વીકારી. અહીં એક તર્ક તો બિલકુલ સ્પષ્ટ છે કે ભારતની લોકશાહીએ સમયાંતરે પોતાના પારંપરિક ખ્યાલો બદલ્યા છે અને તેનાં ઉત્તમ પરિણામો નાગરિક સ્વાતંત્ર્યને ટકાવી રાખવા બળરૂપ બન્યાં છે ત્યારે પુખ્ત વયના નાગરિકના એક મતનું મૂલ્ય પુન: મૂલ્યાંકન માગે છે.

સંયુક્ત આરબ અમિરાત અને ઈઝરાયલના રાજકીય ગઠબંધનને ટકાવી રાખવા રાજકીય ઈચ્છાશકિતથી અબ્રાહમ નામે સંપ્રદાય પ્રચલિત કરવાનો પ્રયોગ છેલ્લા ૯ વર્ષથી બંને રાષ્ટ્રોમાં ગતિમાન છે, જેમાં કુરાન-બાઈબલ અને યહુદીઓના ધર્મગ્રંથ તૈરાતના સમાન વિચારોને નવા ધર્મ તરીકે વિસ્તારવા કામ થઈ રહ્યું છે, પરંતુ ઈતિહાસ નોંધે છે કે નાગરિકોની ધાર્મિક વિચારસરણી એક કરવાનું અત્યંત કઠિન હોય છે અને આથી જ તો દુનિયામાં પ૭ મુસ્લિમ વિચારસરણીના શાસક દેશો અબ્રાહમ વિચારસરણીનો વિરોધ કરે છે. તેથી વિશેષ ભારતનાં ૨૭ કરોડ મુસ્લિમ મતદારો પણ શેરિયતથી વિરુદ્ધ વિચારની તરફેણમાં નથી.

દુનિયાની જમીની હકીકતોને સ્વીકારી ભારતે પોતાની ૮૦૦૦ વર્ષની ભારતીયતા જાળવવા પુખ્ત વયનાં નાગરિકોના એક મતની વ્યવસ્થાનું પુનઃ મૂલ્યાંકન કરવું અનિવાર્ય બને છે. જેથી બહુમતીના જોરે શેરિયત આધારિત વિચારસરણી શાસન પ્રથા ન બની જાય. પ્રક્રિયા કઠિન છે, પણ અનેક રાજકીય, ધાર્મિક અને સામાજિક દૂષણોમાંથી માનવ જાતને બહાર કાઢવાનો રામબાણ ઈલાજ પણ આ જ છે જે નિર્વિવાદ જણાય છે.
ડો.નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top