Gujarat

ગુજરાત કોંગ્રેસની કારોબારીમાં રાહુલ ગાંધીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માગ

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 125 બેઠકના વિજય સંકલ્પ સાથે આજે અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસની ‘પ્રદેશ કારોબારી’ ની વિશેષ બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં ખાસ કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ નીમવાની સત્તા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનીયા ગાંધીને આપવામાં આવી છે. આ ઉપરાંત નવા અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીને નીમવાની માંગ પણ કરાઈ હતી.

સોનિયા ગાંધીજીને સત્તા આપતો પ્રસ્તાવ પ્રદેશ કારોબારીમાં મુક્યો
પ્રદેશ કારોબારીમાં લેવાયેલા નિર્ણય – ઠરાવો બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ સંગઠનની રચના માટે રાષ્ટ્રીય અધ્યક્ષા આદરણીય સોનિયા ગાંધીજીને સત્તા આપતો ઠરાવ સર્વાનુમત્તે થયો હતો. ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ સોનિયા ગાંધીજીને સત્તા આપતો પ્રસ્તાવ પ્રદેશ કારોબારીમાં મુક્યો હતો, જે પ્રસ્તાવને સમર્થન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાઢિયા અને સિદ્ધાર્થ પટેલે કર્યું હતું. વિસ્તૃત પ્રદેશ કારોબારીની બેઠકમાં હાથ ઉચો કરીને ઠરાવને અનુમોદન આપ્યું હતું. કારોબારી બેઠકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ સ્થાને રાહુલ ગાંધીને નીમવાની માંગ કરાઈ હતી.

મોંઘવારી, બેરોજગારી સહિતની નાગરિકોને પરેશાન કરતી મુશ્કેલીઓ
જગદીશ ઠાકોરે કહ્યું હતું કે મોંઘવારી, બેરોજગારી, અણઘડ વહિવટ, ભ્રષ્ટાચાર, ખાડે ગયેલ અર્થવ્યવસ્થા, ગુજરાતમાં ચાલી રહેલા જુદા જુદા આંદોલનો સહિતના મુદ્દાઓને ધ્યાને રાખીને કોંગ્રેસ પક્ષ આગામી દિવાળી સુધીના તમામ કાર્યક્રમોનું આયોજન નક્કી કરાયું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જનજન સુધી મોંઘવારી, બેરોજગારી સહિતની નાગરિકોને પરેશાન કરતી મુશ્કેલીઓ તેમજ રાહુલ ગાંધીજી દ્વારા આપવામાં આવેલી જનલક્ષી આઠ વચનો વિશેની વિગતો આપતી ‘નાગરિક અધિકાર પત્રિકા’ નું તાલુકા દીઠ – બુથ દીઠ વિતરણ પણ પ્રદેશ કાર્યાલયથી કરવામાં આવ્યું હતું. ગુજરાતના તમામ 52000 થી વધુ બુથો ઉપર એક સાથે કામગીરી શરૂ કરાશે. સાથોસાથ વિશાળ જનસંપર્ક માટે દરેક તાલુકાઓમાં 75 બાઈક સાથેની યાત્રાઓની તારીખો નક્કી કરાશે. પાવનપર્વ નવરાત્રિના 9 દિવસ દરમ્યાન પણ જુદા જુદા કાર્યક્રમો નક્કી કરવામાં આવશે.

અધિકાર માટે સંઘર્ષ કરતા ગુજરાતના તમામ લોકો સાથે કોંગ્રેસ પક્ષ સાથે રહ્યો
ગુજરાતમાં ચાલી રહેલા નિવૃત્ત સૈનિકોનું આંદોલન, આરોગ્ય કર્મચારીઓ, શિક્ષકો, સરકારના જુદા જુદા વિભાગના કર્મચારીઓનું આંદોલન, આંગણવાડીની આશા વર્કરો, ફિક્સ પગાર – આઉટ સોર્સીંગના કર્મચારીઓ, બેરોજગાર યુવાનો, માલધારી સમાજ, ખેડૂતો સહિતના જુદા જુદા આંદોલનોમાં સમગ્ર ગુજરાતમાંથી ગાંધીનગર આવતા આંદોલનકારીઓ – આગેવાનોને રહેવા માટે સુવિધા આપવા કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોના નિવાસ સ્થાન ‘એમ.એલ.એ. ક્વાટર્સ’ ઉપલબ્ધ કરાશે. પોતાના યોગ્ય માંગણીઓ, હક – અધિકાર માટે સંઘર્ષ કરતા ગુજરાતના તમામ લોકો સાથે કોંગ્રેસ પક્ષ સાથે રહ્યો છે અને રહેશે. કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને સામાજિક સુરક્ષા માટે ‘જૂની પેન્શન યોજના’ સંપૂર્ણ પણે લાગુ કરાશે.

Most Popular

To Top