Charchapatra

ગાંધીસ્મૃતિ ભવન જ પ્રેક્ષકોને અનુકૂળ છે…

સુરત શહેર હવે મેટ્રો સિટી બનવા જઇ રહ્યું છે. સુરતમાં લગભગ બધા જ પ્રાંતના લોકો રહે છે. અનેક રસિક પ્રેક્ષકો, સિનેમા, નાટકો, મ્યુઝીકલ ઓરકેસ્ટ્રા જોવાના શોખીન છે સુરત મહાનગર પાલિકાએ વર્ષો પહેલાં ગાંધીસ્મૃતિ ભવન બનાવેલું જેમાં અનેક શો થયા હતા. મુંબઇના આઇ.એન.ટી.ના જુદા જુદા નાટય પ્રયોગો થયેલા. પરંતુ ગાંધીસ્મૃતિ ભવનનો છત્તનો ભાગ તૂટી પડતા બિસ્માર બનતાં તેને બંધ કરી દેવાયું હતું. હવે મનપાએ ગાંધીસ્મૃતિ ભવનનું નવીનીકરણ કરવાનું કામ હાથ ધર્યું છે. મલ્ટીલેવલ પાર્કિંગનું ડિમોલીશન કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં નવા રંગ – રૂપ સજાવટ સાથે ગાંધીસ્મૃતિ ભવન બનાવાશે. હાલ સુરતમાં ગાંધીસ્મૃતિ બંધ હોવાથી સ્વ. સંજીવકુમાર ઓડિટોરિયમમાં કે વરાછારોડના સરદાર પટેલ સ્મૃતિ ભવનમાં આયોજકોએ શો કરવા પડે છે, આ બંને હોલ પ્રેક્ષકોને દુર પડે છે, ભૂતકાળનું ટેક્ષટાઇલ – ઓડિટોરીયમ તો લગભગ બંધ હાલતમાં છે. આમ નાટયપ્રેમી પ્રેક્ષકો માટે ગાંધીસ્મૃતિ ભવન જ અનુકૂળ છે અને શહેરન નાનપુરા વિસ્તારમાં હોવાથી લોકેશન નજીક પડે છે. આથી મનપાએ વહેલીતકે ગાંધીસ્મૃતિ ભવનને ધબકતું કરવું જોઇએ. અને બેઠક – સંખ્યા વધારવી જોઇએ.
તરસાડા     – પ્રવીણસિંહ મહિડા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top