વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે નોર્વેની રાજધાની ઓસ્લો પહોંચ્યા. ૪૩ વર્ષમાં કોઈ ભારતીય વડા પ્રધાનનો આ પ્રથમ નોર્વે પ્રવાસ છે. નોર્વેના વડા પ્રધાન જોનાસ ગાહર સ્ટોરે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મોદીએ જણાવ્યું હતું કે તેઓ નોર્વે પહોંચ્યા છે અને ઉષ્માભર્યા સ્વાગત માટે વડા પ્રધાન જોનાસ ગાહર સ્ટોરનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે નોંધ્યું હતું કે ચાર દાયકાથી વધુ સમયમાં કોઈ ભારતીય વડા પ્રધાનનો નોર્વેનો આ પ્રથમ પ્રવાસ છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તે ભારત-નોર્વે મિત્રતામાં નવી ઉર્જાનો સંચાર કરશે.
મોદી નોર્વેના રાજા હેરાલ્ડ પાંચમા અને રાણી સોન્જા સાથે મુલાકાત કરવાના છે. વધુમાં તેઓ વડા પ્રધાન સ્ટોરે સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં મોદીએ નોર્વેમાં તેમના આગમન અને વડા પ્રધાન જોનાસ ગાહર સ્ટોરના ઉષ્માભર્યા સ્વાગત માટે તેમની કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મુલાકાત ભારત અને નોર્વે વચ્ચેની મિત્રતાના બંધનને પુનર્જીવિત કરશે.
ભારત અને નોર્વે વચ્ચેનો વેપાર $2.7 બિલિયન
ભારત અને નોર્વે વચ્ચેનો વેપાર આશરે $2.73 બિલિયન સુધી પહોંચી ગયો છે. દરમિયાન નોર્વેના સાર્વભૌમ સંપત્તિ ભંડોળે ભારતીય બજારોમાં લગભગ $28 બિલિયનનું રોકાણ કર્યું છે. ભારત અને સમગ્ર નોર્ડિક ક્ષેત્ર વચ્ચેનો કુલ વેપાર આશરે $19 બિલિયનનો અંદાજ છે. આ મુલાકાત માર્ચ 2024 માં પૂર્ણ થયેલા ભારત-EFTA વેપાર કરાર પછી થઈ રહી છે. આ કરાર હેઠળ ભારતીય નિકાસને EFTA રાષ્ટ્રોમાં 99% થી વધુ બજારોમાં ડ્યુટી-ફ્રી ઍક્સેસ મળી છે.
ઓસ્લોમાં ભારતીય સમુદાયે મોદીનું સ્વાગત કર્યું
નોર્વેમાં મોદીના આગમન પર ઓસ્લોની એક હોટલમાં સંગીતમય પ્રદર્શન સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદીએ કલાકારોના પ્રદર્શન નિહાળ્યા અને તેમનું સ્વાગત કર્યું. નોર્વેની રાજધાની ઓસ્લો પહોંચ્યા પછી મોદીએ ભારતીય સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરી. તેમનું સ્વાગત કરવા માટે હોટલની બહાર મોટી ભીડ એકઠી થઈ હતી. પીએમ મોદીએ ભારતીય સમુદાયના સભ્યો અને હોટેલની બહાર એકઠા થયેલા અન્ય વ્યક્તિઓનું અભિવાદન કર્યું. લોકોએ “મોદી-મોદી” ના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું. ઘણા લોકો ભારતીય ધ્વજ અને પોસ્ટરો લઈને પહોંચ્યા.
પીએમ મોદી કાલે ભારત-નોર્ડિક સમિટમાં ભાગ લેશે
ત્રીજી ભારત-નોર્ડિક સમિટ ૧૯ મેના રોજ ઓસ્લોમાં યોજાશે. મોદીએ જણાવ્યું હતું કે આ તેમના નોર્ડિક સમકક્ષો સાથે મુલાકાત કરવાની એક અદ્ભુત તક હશે. નોર્વે, સ્વીડન, ડેનમાર્ક, ફિનલેન્ડ અને આઇસલેન્ડના નેતાઓ આ સમિટમાં ભાગ લેશે.
ભારત-નોર્ડિક સમિટ ૨૦૧૮માં સ્ટોકહોમમાં પહેલી વાર અને ૨૦૨૨માં કોપનહેગનમાં બીજી વાર યોજાઈ હતી. આ વખતે આ બેઠકમાં ગ્રીન એનર્જી, ડિજિટલાઇઝેશન, સંરક્ષણ સહયોગ, આબોહવા પરિવર્તન અને આર્કટિક નીતિ જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. આ મુલાકાત મોદીના પાંચ દેશોના પ્રવાસના ચોથા તબક્કાને દર્શાવે છે. આ પહેલા તેમણે યુએઈ, નેધરલેન્ડ અને સ્વીડનની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ ઇટાલી જશે.