Vadodara

વડોદરાથી મુંબઈ માત્ર 3.5 કલાકમાં જ પહોંચી જવાશે

વડોદરા: કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રીશ્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતુ કે, દિલ્હી મુંબઈ ગ્રીન હાઈવે વિશ્વનો સૌથી મોટો હાઈવે છે. જેનું રૂ.એક લાખ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં રૂ.૧.૨૫ લાખ કરોડના માર્ગોના કામો ચાલી રહ્યા છે અને વધુ રૂ.૧.૨૫ લાખ કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું કે, દિલ્હી મુંબઈ ગ્રીન હાઇવેનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં વડોદરાથી મુંબઈ માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી જવાશે.

 આ માર્ગને નરીમાન પોઈન્ટ સુધી લંબાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતુ. કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વડોદરા નજીક દુમાડ ચોકડી ખાતે રૂ.૩૪.૫૦ કરોડના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૮ અને એક્સપ્રેસ વે પર વડોદરા-સાવલી જંક્શનના સુધાર કામનું વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, સાંસદ રંજનબેન ભટ્ટની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કર્યુ હતુ. આ કામગીરી પૂર્ણ થતાં દુમાડ ચોકડી ઉપર ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યાનું કાયમી નિરાકરણ થશે.

કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું કે, દિલ્હી મુંબઈ ગ્રીન હાઈવે ગુજરાતના વિકાસ માટે મહત્વપૂર્ણ હાઈ-વે છે. ગુજરાતમાં રૂ.૩૬ હજાર કરોડના ખર્ચે ૪૨૩ કિ.મી.ના આઠ લેનના પ્રથમ તબક્કામાં ૧૩૨ કિ.મી.પૈકી ૪૦ ટકા કામ પૂર્ણ થયું છે. વડોદરા અંકલેશ્વર ૧૦૦ કિ.મી. માર્ગનું કામ વર્ષ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થશે. આ માર્ગ પર યાત્રિકો માટે ૩૩ સ્થળોએ વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. એટલું જ નહિ ભવિષ્યમાં આ માર્ગ પર લોકો અને માલ સામાનનું હેરફેર ડ્રોનથી થાય તેવી સુવિધા વિકસાવવામાં આવશે.

તેમણે ઉમેર્યુ, ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વે રૂ.૩ હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. ગુજરાત સહિત દેશભરમાં નિર્માણ થઇ રહેલ વિવિધ માર્ગોની વિગતો તેમણે આપી હતી. વધુમાં કહ્યુ કે, વડાપ્રધાને ગુજરાતના વિકાસને નવી દિશા આપી હતી. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યો છે. વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું કે, સમાજના છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે. પર્યાવરણના જતન માટે મહત્તમ વૃક્ષારોપણ,કોરોના મુક્ત ગુજરાત માટે સૌને રસી અવશ્ય લેવા અનુરોધ કર્યો હતો.

Most Popular

To Top