Vadodara

વાઘોડિયા રોડ પર નોકરને ચપ્પુની અણીએ માર્યો, મારી નાખવાની ધમકી આપી પૂર્વ માલિક ફરાર

વડોદરા: મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં વાઘોડિયા રોડ ઉપર આવેલ રાધિકા ભવન ખાતે રહેતા 52 વર્ષીય આધેડને તું મારે ત્યાં નોકરી નહીં કરે તો તને અન્ય કોઇ જગ્યાએ પણ કરવા નહીં દઉં તેમ કહીને ચપ્પુની અણીએ ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી પૂર્વ માલિક ફરાર થઈ જવાનો બનાવ પાણીગેટ પોલીસ મથકમાં નોંધાયો છે. આધેડની ફરિયાદના આધારે પોલીસે પૂર્વ માલિક વિરુદ્ધ મારામારી અને ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા.

બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગતો અને માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં વાઘોડિયા રોડ ઉપર આવેલ રાધિકા ભવન ખાતે રહેતા 52 વર્ષીય સુરેન્દ્રભાઈ તિવારી રાધિકા ભવનમાં બેન્કેટ સુપરવાઈઝર તરીકે નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગત રવિવારે તેઓ રાધિકા ભવનનું કરિયાણું ખરીદવા ઉમા ચાર રસ્તા ખાતે ગયા હતા. જયાંથી કરિયાણુંની ખરીદી કરી તેઓ પરત રાધીકાભવન ફરી રહ્યા હતા. ત્યારે પ્રજ્ઞેશ ઉર્ફે પકો જોશી( રહે -માતૃ પિતૃ છાયા, જગન્નાથ ફ્લેટની બાજુમાં)ત્યાં રોક્યો હતો. જોકે અગાઉ સુરેન્દ્રભાઈ પ્રજ્ઞેશને ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા.

દરમિયાન પ્રજ્ઞેશએ તેઓને જણાવ્યું હતું કે, તું મારે ત્યાં નોકરી નહીં કરે તો તને અન્ય કોઇ જગ્યાએ પણ નોકરી નહીં કરવા દઉ. તેમ કહી ફિલ્મી ઢબે સુરેન્દ્રભાઈની એક્ટિવાને ઓવરટેક કરી ફરી રોક્યા હતા. અને પેન્ટના ખિસ્સામાંથી ચપ્પુની અણીએ એક અઠવાડિયામાં વડોદરા છોડી દેજે નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ જા તું અહીંયાથી જતો રે અને બીજી વાર રોડ ઉપર દેખાતો નહિ નહીતો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. અત્રે ઉલ્લેખ્નિય છે કે, બનાવ અંગે તેઓએ પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રજ્ઞેશ ઉર્ફે પકો જોશી  વિરુદ્ધ મારામારી અને ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા.

Most Popular

To Top