SURAT

મર્ડર કર્યા બાદ હત્યારા લાશ રેલવે ટ્રેક પર ફેંકી ગયા, સુરતની ઘટના

સુરત: સુરતના (Surat) રેલવે ટ્રેક (Railway Track) પરથી ડેડબોડી (Dead Body) મળતા પોલીસ (Police) દોડતી થઈ ગઈ હતી. મરનારની ઓળખ થઈ નથી, પરંતુ લાશ જે સ્થિતિમાં મળી છે તે જોતાં મર્ડર બાદ મૃતદેહ રેલવે ટ્રેક પર લાવી મુકવામાં આવ્યો હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે.

  • ડીંડોલીના રેલવે ટ્રેક પર અજાણી લાશ મળી
  • ગળે ટૂંપો દઈ માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરાઈની આશંકા
  • મૃત્યુ પામનારના ડાબા હાથમાં P નું છૂંદણું, પોલીસે સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કર્યા

શુક્રવારે મોડી રાત્રે સુરતના ડિંડોલી વિસ્તાર નજીક આવેલા રેલવે ટ્રેક પરથી એક અજાણ્યાની લાશ મળી હતી. મોડી રાત્રે ટ્રેનના ડ્રાઈવરે ડેડબોડી જોઈ કંટ્રોલ રૂમમાં કોલ કરી જાણકારી આપી હતી. આ અંગે માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. રેલવે ટ્રેક પર લાશ પડી હતી. મૃતદેહનું એક્ઝામિન કરતા હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ પોલીસે લગાવ્યું હતું. બેથી ત્રણ હત્યારાઓએ ગળે ટૂંપો દઈ માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કર્યા બાદ મર્ડરને એક્સીડેન્ટમાં ખપાવવા માટે લાશ રેલવે ટ્રેક પર ફેંકી દીધી હોવાનું પોલીસ માની રહી છે.

પોલીસ સૂત્રોએ કહ્યું કે મૃત્યુ પામનારના ડાબા હાથ પર P નું છૂંદણું મળી આવ્યું છે. મૃતદેહ કોનો છે તેની કોઈ જાણકારી હજુ બહાર આવી શકી નથી. પોલીસના અનુમાન અનુસાર બેથી ત્રણ જેટલા હત્યારાઓ હોઈ શકે છે. ડીંડોલી પોલીસ અને રેલવે પોલીસે સંયુક્તપણે તપાસ શરૂ કરી છે. મૃતદેહની ઓળખ માટે પોલીસે તેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. હાલ હત્યારાઓની કોઈ જાણકારી બહાર આવી નથી.

ત્રણ વર્ષથી પડોશીઓ વચ્ચે ચાલતું ઘર્ષણ હત્યા સુધી પહોંચ્યું
સુરત: ઉત્રાણની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પાર્કિંગ અને અન્ય મુદે ચાલી રહેલી બબાલ હત્યા સુધીમાં પહોંચી ગઇ હતી. તેમાં બે પરિવારોએ એક બીજા પર પાઇપ અને ગુપ્તી વડે હુમલા કરીને ગંભીર ઇજા કર્યા હતા. તેમાં એકનું મોત નીપજયું હોવાની વિગત જાણવા મળી છે. આ પ્રકરણમાં બે લોકોને ઇજા થઇ હોવાની વિગત જાણવા મળી છે. છેલ્લા 3 વર્ષથી બે પરિવારો વચ્ચે ચાલતી સામાન્ય બોલાચાલીનો કરૂણ અંજામ આવ્યો હતો.

ઉત્રાણની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા અને સાડી જોબવર્કનું કામ કરતા જયસુખ હિંમત જેઠવા (ઉ.વ. 23 મૂળ રહે. તરેડ, મહુવા, ભાવનગર) અને પડોશી ધીરૂભાઇ કરશન ટાંકના પરિવાર વચ્ચે છેલ્લા ત્રણેક વર્ષથી સિલાઇ મશીનના અવાજ, ગાડી પાર્ક મામલે સામાન્ય માથાકૂટ ચાલતી હતી. જેમાં મારામારી પણ થઈ હતી. જયસુખના પિતા હિંમતભાઇ ટેક્સટાઇલ માર્કેટમાંથી કાપડનો માલ લઇને રિક્ષા મોકલી હતી. તેમાં રિક્ષા ડ્રાયવર બંસીને ધીરૂભાઇના પત્ની દ્વારા ગાળો આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ધીરૂભાઇના પત્ની ગીતાબેને મારા ઘર પાસે કેમ રિક્ષા પાર્ક કરો છો તેમ કહીને ઝઘડો શરૂ કર્યો હતો.

દરમિયાન મારી મમ્મી સાથે કેમ ઝઘડો કરો છો? તેમ ગીતાબેનના પુત્ર નરેન્દ્રએ જયસુખને ઢીકમુક્કી મારવાનું શરૂ કર્યુ હતું. જયસુખને બચાવવા માટે તેની માતા દમુબેન અને પત્ની ક્રિષ્નાબેન અન્ય પડોશીઓ વચ્ચે પડ્યા હતા. તે દરમિયાન જયસુખ અને તેમનો પરિવાર ઘરમાં ચાલ્યા ગયા હતા. ત્યારબાદ નરેન્દ્ર અને ધીરૂભાઇએ ઉશ્કેરાઇને જયસુખને તેના દરવાજા પર ગુપ્તીના ઘા ઝીંક્યા હતા. તેજ અરસામાં જયસુખના પિતા હિંમતભાઇ ઘરે આવ્યા હતા. બાપ દિકરા નરેન્દ્ર અને ધીરૂએએ હિંમતભાઇના પેટમાં ગુપ્તી મારી દઇને સાત જેટલા ઘા કર્યા હતા. તે દરમિયાન જયસુખે પણ તેના પિતાને ફટકારી રહેલા નરેન્દ્રને માથા અને પીઠ પર સળિયા વડે હૂમલો કર્યો હતો. આ કિસ્સામાં પોલીસને પડોશીઓ દ્વારા બોલાવવામાં આવ્યા હતા. તેમાં હિંમતભાઇનુ સ્થળ પરજ કરૂણ મોત નીપજ્યું હતું.

Most Popular

To Top