‘તારીખ પે તારીખ, તારીખ પે તારીખ…’ હિન્દી ફિલ્મમાં બોલાયેલો આ શબ્દ હવે ભવિષ્યમાં હાઈકોર્ટોમાં સંભળાશે નહીં. સુપ્રીમ કોર્ટે તા.29મી મે, 2026ના રોજ દેશની તમામ હાઈકોર્ટને એવો આદેશ આપ્યો છે કે હાઈકોર્ટે કેસની સુનાવણી પૂર્ણ કર્યા બાદ અનામત (રિઝર્વ) રાખેલા ચુકાદા, કેસ રિઝર્વ થયાની તારીખથી ત્રણ મહિનાની અંદર ફરજિયાતપણે સંભળાવવાના રહેશે.
આ નિર્ણય માત્ર કાયદાકીય પ્રક્રિયાને ઝડપી બનાવનારો નથી, પરંતુ દેશના કરોડો નાગરિકોનો ન્યાયતંત્ર પરનો વિશ્વાસ વધુ મજબૂત કરનારો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જે કડક આદેશ કરાયો છે તેને કારણે અનેક હાઈકોર્ટમાં જે ચુકાદાઓ વિલંબિત છે તે કેસનો ઝડપથી નિકાલ થશે. જોકે, માત્ર હાઈકોર્ટ જ નહીં પરંતુ નીચલી તમામ કોર્ટમાં પણ આ આદેશ લાગુ પડવો જોઈએ કે જેથી નીચલી કોર્ટમાં પણ જે કેસમાં માત્ર ચુકાદો જ બાકી છે તેનો પણ નિકાલ આવી શકે.
રોમન કાયદાશાસ્ત્રનો એક પ્રખ્યાત સિદ્ધાંત છે કે, વિલંબથી મળેલો ન્યાય એ ન્યાય ન મળવા બરાબર છે. ભારતમાં અદાલતોની લાંબી પ્રક્રિયા અને વર્ષો સુધી લટકતા રહેતા નિર્ણયોને કારણે આ કહેવત સામાન્ય માણસની જિંદગીની કડવી વાસ્તવિકતા બની ગઈ હતી. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે વકીલોની લાંબી દલીલો અને મહિનાઓની મહેનત પછી કોર્ટ કેસનો ચુકાદો ‘રિઝર્વ’ એટલે કે સુરક્ષિત રાખી લે છે.
પરંતુ, ત્યારબાદ એ ચુકાદો આવતા મહિનાઓ કે ક્યારેક વર્ષો નીકળી જાય છે. આવા વિલંબને કારણે પિડાતા પક્ષકારો માટે કોર્ટના ચક્કર કાપવા એ માનસિક અને આર્થિક રીતે કમરતોડ સાબિત થાય છે. સુપ્રીમ કોર્ટે આ જ નબળાઈને ઓળખીને સમયમર્યાદા નક્કી કરી છે, જે ન્યાયિક વ્યવસ્થામાં આકાંક્ષિત સુધારાની દિશામાં મોટું કદમ છે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ માત્ર એક સલાહ નથી, પણ એક કડક શિસ્તબદ્ધ માળખું છે. જેમાં કોઈપણ પ્રકારની શિથિલતા માટે જગ્યા રાખવામાં આવી નથી. કોઈપણ હાઈકોર્ટ ચુકાદો અનામત રાખ્યાના ત્રણ મહિનાથી વધુ સમય સુધી તેને રોકી શકશે નહીં. આ સમયગાળામાં જ જજે કારણો સાથેનો વિગતવાર ચુકાદો આપવો પડશે.
સુપ્રીમ કોર્ટ દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ બેંચ ૩ મહિનામાં ચુકાદો આપવામાં નિષ્ફળ જશે, તો રજિસ્ટ્રાર જનરલ આ મામલો સીધો સંબંધિત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ મૂકશે. ચીફ જસ્ટિસ વધુમાં વધુ ૨ અઠવાડિયાનો સમય આપશે. જો આ ૨ અઠવાડિયામાં પણ નિર્ણય નહીં આવે, તો એ કેસ તે બેંચ પાસેથી પાછો ખેંચીને અન્ય બેંચને સોંપી દેવામાં આવશે. આ જોગવાઈ જજોની પોતાની ન્યાયિક જવાબદારી પણ નક્કી કરે છે. બંધારણે દરેક નાગરિકને આપેલી સ્વતંત્રતાના રક્ષણ માટે કોર્ટે કહ્યું છે કે, જામીન અરજીઓ પર હાઈકોર્ટે તે જ દિવસે અથવા જો ચુકાદો રિઝર્વ હોય તો, તેના બીજા જ દિવસે ઓર્ડર આપીને તેને વેબસાઈટ પર અપલોડ કરવો પડશે. ‘જામીન મળે એ જ દિવસે કેદીની મુક્તિ થાય’ તે સુનિશ્ચિત કરવું અનિવાર્ય છે.
ચુકાદાનો મુખ્ય ભાગ (ઓપરેટિવ પાર્ટ) કોર્ટમાં તાત્કાલિક જાહેર કરવો પડશે અને સવિસ્તાર ચુકાદો ૭ દિવસમાં વેબસાઈટ પર મૂકવો પડશે. વળી, વેબસાઈટ પર કેસ કઈ તારીખે રિઝર્વ રખાયો હતો તે તારીખ પણ ફરજિયાત દર્શાવવી પડશે, જેથી વિલંબનો તુરંત ખ્યાલ આવી શકે. આ કડક ગાઈડલાઈનની સૌથી મોટી સકારાત્મક અસર સામાન્ય નાગરિકો, જેલના કેદીઓ અને વ્યાપારિક જગત પર પડશે.
ભારતમાં હજારો એવા અંડરટ્રાયલ (કાચા કામના) કેદીઓ છે જેઓ માત્ર જામીન પરના નિર્ણયમાં વિલંબને કારણે જેલના સળિયા પાછળ સડી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આ આદેશથી વચગાળાની રાહતો અને જામીનની અરજીઓનો ઝડપી નિકાલ થશે. વધુમાં, સામાન્ય જનતામાં એક નવો આશાવાદ જાગશે કે જો તેમણે અદાલતનો દરવાજો ખટખટાવ્યો છે, તો સુનાવણી પૂરી થયા પછી ચુકાદા માટે અનંતકાળ સુધી રાહ જોવી નહીં પડે. ડિજિટલ યુગમાં ચુકાદાઓ ૭ દિવસમાં વેબસાઈટ પર મૂકવાનો આદેશ કોર્ટની કામગીરીને વધુ પેપરલેસ, ઝડપી અને પારદર્શક બનાવશે.
જોકે, એ વાત પણ એટલી સત્ય છે કે, સુપ્રીમ કોર્ટનો આ આદેશ સૈદ્ધાંતિક રીતે અદ્ભુત છે, પરંતુ વ્યવહારિક સ્તરે હાઈકોર્ટો માટે આ સમયમર્યાદાનું પાલન કરવું એક મોટો પડકાર સાબિત થઈ શકે છે. કારણ કે દેશની હાઈકોર્ટમાં જજોની મોટી અછત ચે. સાથે સાથે કરોડો કેસ પણ પેન્ડિંગ છે. જેને કારણે જજો પર રોજની અનેક કેસોની સુનાવણીનું ભારણ રહે છે. આ ઉપરાંત હાઈકોર્ટમાં આધુનિક કોર્ટરૂમ્સ, લીગલ આસિસ્ટન્ટ્સ અને ટેક્નોલોજીકલ સપોર્ટનો હજુ પણ અભાવ છે.
તાજેતરમાં જ સરકારે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા ૩૩થી વધારીને ૩૭ કરવાનો વટહુકમ બહાર પાડ્યો છે, જે આવકારદાયક છે. પરંતુ આવી જ સક્રિયતા દેશની તમામ હાઈકોર્ટો અને નીચલી અદાલતોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે પણ બતાવવી પડશે. જો જજો પર કામનું ભારણ અમાનવીય હદ સુધી વધારે હશે, તો ત્રણ મહિનામાં ગુણવત્તાયુક્ત અને ન્યાયસંગત ચુકાદાઓ આપવા મુશ્કેલ બનશે. તેથી, સમયમર્યાદાના પાલનની સાથે-સાથે ન્યાયિક માળખાને મજબૂત કરવું એટલું જ જરૂરી છે.