Charotar

કેનેડામાં બોરસદની દીકરી વિધિની કરપીણ હત્યા

લૂંટના ઈરાદે ધોળાદિવસે ચાકુથી હુમલો થયો,

પ્રતિનિધિ) બોરસદ તા.28
આણંદ જિલ્લાના બોરસદની રહેવાસી 22 વર્ષીય વિધિ મેઘાની કેનેડામાં ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે વિધિ છેલ્લા ચાર વર્ષથી કેનેડાના નિયાગ્રા વિસ્તારમાં રહેતી હતી. તે ત્યાં લો (કાયદા)નો અભ્યાસ કરી રહી હતી અને અભ્યાસની સાથે-સાથે નોકરી પણ કરતી હતી. આ સિવાય તે કેનેડામાં કાયમી વસવાટ એટલે કે પીઆર (PR)ની તૈયારી પણ કરી રહી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ, 15 મેના રોજ વિધિ ઘરની બહાર નીકળી હતી. આ દરમિયાન તેના પર હુમલો થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અજ્ઞાત હુમલાખોરે ધોળાદિવસે તેના પર ચાકુથી હુમલો કર્યો હતો. શરૂઆતી માહિતીમાં લૂંટફાટના ઈરાદાથી હુમલો કરવામાં આવ્યો હોવાની વાત પણ સામે આવી રહી છે. હુમલો એટલો ખતરનાક હતો કે વિધિ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી.
આ અંગે પરિવારના લોકોએ જણાવ્યું કે 16મી મેથી તેમનો વિધિ સાથે સંપર્ક થઈ શકતો ન હતો. આ પછી તેમણે તેના મિત્રો અને આસપાસના લોકોનો સંપર્ક કર્યો. પરિવારને માત્ર એટલી જ ખબર પડી કે તે ઘરની બહાર ગઈ છે. બાદમાં વિદેશ મંત્રાલય તરફથી માહિતી મળ્યા પછી પોલીસ પરિવારના ઘરે પહોંચી અને સમગ્ર ઘટનાની માહિતી આપી. ત્યારે જ પરિવારને ખબર પડી કે તેમની દીકરીની હત્યા થઈ ચૂકી છે અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ ઘટનાથી વિધીના પરિવારના લોકો રડી-રડીને બેહાલ થઈ ગયા છે. વળી, વિસ્તારના લોકો પણ આ ઘટનાથી આઘાતમાં છે. વિદેશમાં અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્યનું સપનું લઈને ગયેલી એક દીકરીનું આ રીતે મોત થવાથી દરેક વ્યક્તિ દુખી છે. તાજેતરના સમયમાં વિદેશમાં રહેતા ભારતીયો પર હુમલાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આવા કિસ્સાઓએ વિદેશમાં રહેતા ભારતીય પરિવારોની ચિંતા પણ વધારી દીધી છે.

Most Popular

To Top