Dakshin Gujarat

ડાંગ જિલ્લાનાં સુબિરમાં જનેતાએ ચાર માસના બાળક સહિત બે બાળકોને કૂવામાં ફેંકી દીધા, બંનેના મોત

સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં ઢોલ્યાઉંબર ગામ નજીકનાં ગરૂડીયા ખાતે આવેલા કૂવામાં (Well) મહિલાએ બે બાળકોને ફેંકી દઈ પોતે પણ કુદી પડતા સ્થળ પર બન્ને બાળકોનાં મોત નિપજ્યા હતા, જ્યારે મહિલાનો બચાવ થયો હતો.

  • ડાંગ જિલ્લાનાં ઢોલ્યાઉંબર ગામ નજીકનાં ગરૂડીયા ખાતે આવેલા કૂવામાં મહિલાએ બાળકોને ફેંકી પોતે પણ કુદી પડતા બન્ને બાળકોનાં મોત નિપજ્યા, મહિલા બચી ગઈ
  • દંપતિ વચ્ચેના ઝઘડામાં પત્નીએ પોતાના કાળજાનાં કટકા બે માસુમ બાળકોને ઊંડા કૂવામાં ફેંકી પોતે પણ આપઘાત કરવા કુદી પડી

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ થોડા વર્ષ અગાઉ સુનિતાબેનનાં લગ્ન જયેશભાઈ અશોકભાઈ ઉધાર (રહે. ઢોલ્યાઉંબર તા.સુબિર મૂળ રહે. ગોંડલવિહીર પાટીલ ફળિયુ તા.આહવા ડાંગ) જોડે થયા હતા. અને તેઓનાં દાંપત્યજીવનમાં બે બાળકો પણ હતા. તેવામાં પત્ની સુનિતાબેન અને પતિ જયેશભાઈ વચ્ચે બાળકોને લઈને તકરાર ચાલતી હતી. જેનું મનદુઃખ રાખી પત્ની સુનિતાબેન ઉધાર (ઉ.32) ચાર માસના બાળક અને બીજા સાડા ચાર વર્ષનાં બાળકને લઈને ઘરમાંથી નીકળી ગઇ હતી. ત્યારબાદ ઢોલ્યાઉંબર ગામ નજીક આવેલા ગરૂડીયા ગામની સીમમાં હરેશભાઇ પાગુભાઈ રાઉતનાં ખેતરમાં આવેલા કૂવામાં બન્ને માસુમ બાળકોને ફેંકી દઈ બાદમાં પોતે પણ આપઘાત કરવા માટે કુદી પડી હતી. આ ઊંડો કૂવો પાણીથી ભરેલો હોવાથી બન્ને માસુમ બાળકોનાં મોત નિપજ્યા હતા. તેમજ માતા સુનિતાબેને પણ કૂવામાં કુદી પડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સુનિતાબેન બચી ગઈ હતી.

આ બનાવની જાણ ગ્રામજનોને થતા સ્થળ પર દોડી ગયા હતા. બાદમાં સુબિર પોલીસ મથકે જાણ કરતા સુબિર પોલીસ મથકનાં પી.એસ.આઈ કે.જી.ચૌધરી સહિત પોલીસ કર્મીઓની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. આ બનાવમાં ચાર માસનું બાળક તથા સાડા ચાર વર્ષનું બાળક મોતને ભેટ્યુ હતુ. આ બનાવ બાબતે પતિ જયેશભાઈ અશોકભાઈ ઉધારે બન્ને બાળકોનાં મોત માટે જવાબદાર પત્ની સુનિતાબેન ઉધાર સામે ફરીયાદ નોંધાવતા સુબિર પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવનાં પગલે સુબિર પંથકમાં માતમ છવાઈ જવા પામ્યો હતો. નજીવા કારણને લઈને સગી જનેતાએ જ પોતાના માસુમ બાળકોનો જીવ લઈ લેતા સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

Most Popular

To Top