કેદીઓના કૌશલ્યને વિકસાવવા માટે ઓલપાડના સોંદલાખારામાં ઓપન જેલ બનશે

સુરતઃ સુરત (Surat) સબજેલમાં (sub jail) સજા કાપી રહેલા કેદીઓમાં રહેલા સ્કીલને ડેવપલ (Skill development) કરવા માટે ઓપન જેલ કન્સેપ્ટ (Open jail Concept) માટે ઓલપાડમાં (Olpad) સોંદલાખારાની બ્લોક નંબર 579/1 અને 552 વાળી 50 હેક્ટર જમીન પસંદ કરવામાં આવી છે. આ જમીનની ફાળવણી માટે કલેક્ટર આયુષ ઓકે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી આપી છે.

લાજપોર સબજેલમાં (Lajpore subjail) હજારો કેદીઓ વિવિધ ગુનાઓ હેઠળ સજા કાપી રહ્યા છે. પાકા કામના આ કેદીઓના (Prisoner) સ્કીલ ડેવલપમેન્ટ માટે પશુપાલન, ખેતી, ડાયમંડ પોલિશિંગ, ટેક્સ્ટાઇલ અને એમ્બ્રોઇડરી વર્ક જેવી કામગીરી માટે ઓપન જેલ કન્સેપ્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. હાલ રાજ્યમાં વડોદરા અને રાજકોટમાં ઓપન જેલ કાર્યરત છે. હવે હોમટાઉન ધરાવતા ગૃહમંત્રીએ સુરત સબજેલમાં પણ પાકા કામના કેદીઓ માટે ઓપન જેલ બનાવવા માટે બિડુ ઝડપ્યું હતું.

ઓપન જેલ માટે સૌથી મોટો પ્રશ્ન જમીન બાબતનો હતો. પરંતુ સત્તાધિશોએ ઉત્તરાયણ પહેલા જ ઓલપાડના સોંદલાખારામાં આવેલી બ્લોક નંબર 579/1 અને 552 વાળી 50 હેક્ટર જમીન પસંદ કરવામાં આવી છે. શરૂઆતમાં લાજપોર જેલ નજીક જ ઓપન જેલ બનાવવા વિચારણા થઇ હતી. પરંતુ લાજપોર તરફ મોટી સરકારી જગ્યા નહીં હોવાથી ઓલપાડ તરફ મિટ મંડાઇ હતી. અને સોંદલાખારાની જગ્યા પર પસંદગી ઉતારી હતી. હવે જિલ્લા કલેક્ટર ઓયુષ ઓકે આ જમીનની ફાળવણી માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી છે. સરકાર તરફથી મંજુરી મળતા જ આગળની કાર્યવાહી મેટ્રો ગતિએ શરૂ કરાશે.

ઓપન જેલનો મુખ્ય હેતુ
ઓપન જેલનો મુખ્ય હેતુ જેલવાસ વેળા પાકા કામના કેદીઓમાં વધુ ને વધુ સ્કિલ ડેવલપ થાય તેમજ જેલમાંથી છૂટ્યા બાદ તેઓ ફરી ગુનાખોરીની દુનિયામાં પગ નહીં મૂકે. આ ઉપરાંત જેલની અંદર જ રોજગારીનું માધ્યમ ઊભું કરી તેઓનું પુનર્વસન કરી શકે. તે હેતુથી સરકારે ઓપન જેલનો કન્સેપ્ટ અમલી બનાવ્યો છે.

Most Popular

To Top