Comments

શરદ પવાર હવે શું કરશે?

શરદ પવારના નાટક પર તે જેટલો જલ્દી શરૂ થયો તેટલો જલ્દી પડદો પડી ગયો! પક્ષના પ્રમુખપદેથી રાજીનામું આપવાનો નાટક શરૂ કરી પડદો પાડતાં તેમણે કહ્યું કે કાર્યકરોની લાગણીનો હું અનાદર નહીં કરી શકું. ભત્રીજા અજીત પવારને કાબૂમાં રાખવા પક્ષ પોતાની સાથે રહે તેવા ધ્યેયમાં તેઓ સફળ થયા છે? લગભગ. રાજકારણને દોરવાની કળામાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષના પ્રમુખ શરદ પવાર કરતાં વધુ કાબેલ કોણ? રાજકારણમાં ગુલાંટ મારી મિત્રો અને દુશ્મનોને આશ્ચર્યચકિત કરવામાં તેમનાથી વધુ પાવરધા કોણ? પોતાને કે પક્ષને ઉડાડી દઇ શકે તેવા તોફાનને ખાળવા માટે તોફાન સર્જવામાં તેમનો જોટો નહીં જડે.

આત્મકથા ‘લોક માઝી સંગતિ’ના બીજા ભાગના વિમોચન પ્રસંગે શરદ પવારે જાહેરાત કરી કે હું પક્ષના પ્રમુખપદેથી રાજીનામું આપું છું અને ચૂંટણીઓ લડવાથી હું દૂર રહીશ. શરદ પવારની આ જાહેરાતથી તોફાન પેદા થયું. અજીત પવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા માટે ફરી વાર ભારતીય જનતા પક્ષ સાથે હાથ મિલાવી રહ્યા છે એવી બળવાની સાચી ખોટી ભીતિ વચ્ચે શરદ પવારે આ જાહેરાત કરી હતી. અજીત પવારના નામે આ ભય સાચો હતો કે બનાવટી તરકટ હતું તે કોઇ કહી નહીં શકે. અજીતને મ્હાત કરવા માટે અને પક્ષના સાચા નેતા કોણ છે તે બતાવી દેવા શરદ પવારે રાજીનામાની જાહેરાત કરી રાજકીય નાટક કર્યો હતો તેની કોને ખબર? લોકસભાની 2024ની ચૂંટણી પહેલાં વિપક્ષી એકતા માટે પોતાની નવી ભૂમિકા કરવા શરદ પવારે આ કામ કર્યું?

ભારતીય જનતા પક્ષ સાથે હાથ મિલાવવા પક્ષમાં હું બળવો કરતો નથી એવી અજીત પવારે 2022ના નવેમ્બરમાં પણ ચોખવટ કરી હતી. તે સમયે એક બળવામાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના બળવાખોરો ધારાસભ્યોએ સરકાર રચી હતી અને અજીતને નાયબ મુખ્યમંત્રી પદ આપ્યું. શરદ પવારે તરત જ સક્રિય થઇ પરિસ્થિતિ કાબૂમાં લીધી ત્યાં સુધીના 70 કલાક જ આ સરકાર ટકી હતી જેમાં અજીતે નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષ શિવસેના અને કોંગ્રેસની સરકારને ઉથલાવી હતી. આ નાટકમાં શરદ પવારનો અજીતને સાથ હતો કે નહીં તેની કોઇને ખબર નથી.

ગુલાંટબાજીના નિષ્ણાત શરદ પવારની આ ધંધા માટે ઉંમર પણ નથી અને તબિયત પણ નથી એ બધા જાણે છે, પણ તેઓ ઝાલ્યા રહેતા નથી અને અટકળબાજીને પવન નાંખ્યા જ કરે છે! લોકો તેમના પાછલી ઉંમરનાં પરાક્રમો જોયા જ કરે છે!
તેનાથી શરદ પવારને ઇચ્છિત પરિણામ મળશે? અજીત થોડો કૂણો પડશે અને ભારતીય જનતા પક્ષ તેમનાથી આઘો રહેશે? શરદ પવાર મહારાષ્ટ્રના રાજકારણની ધરી છે અને આગામી સામાન્ય ચૂંટણી પહેલાં વિપક્ષી એકતા માટે માથે મોડ બાંધીને ફરે છે.

નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષ અને તેમના નેતા શરદ પવાર માત્ર રાજય કક્ષાના છે અને પશ્ચિમ ભારતમાં પણ અન્યત્ર તેમની કોઇ અસર નથી વર્તાતી. રાષ્ટ્રીય કક્ષાએ તો વાત જ નથી. છતાં ઝઘડતા રાજકારણીઓને ભેગા રાખવાની અને નવી રાજકીય વિચારસરણીઓ વહેતી કરવાની અને તેમના રાજકીય કદને કારણે તેમનું વજન પડે છે અને તેને કારણે જ સામસામે બારમો ચંદ્ર ધરાવતા શિવસેના અને કોંગ્રેસ ગઠબંધન સરકાર રચના એક પાટલે બેઠા! શિવસેનાને તોડી ભારતીય જનતા પક્ષે સરકાર ઉથલાવી ત્યાં સુધી ગઠબંધન સરકારમાં શરદ પવારનો પડયો બોલ ઝીલાતો હતો.

અજીતના કથિત બળવાના હેવાલ સાચા હોય તો કાકા હુકમનું પત્તું ઊતર્યા છે. પક્ષ બહુ ઝડપથી શરદ પવારની પડખે આવીને ઊભો રહ્યો. શરદ પવાર ગુલાંટ મારવાને બદલે પોતાના નિર્ણયને વળગી રહ્યા હોત તો ય મુઠી ઉંચેરા રહ્યા હોત અને અજીતને ધોબીપછાડ આપી શકયા હોત. જો કે પક્ષમાં જે કંઇ બની રહ્યું છે તેમાં અજીત અને શરદ પવારની દીકરી સુપ્રિયા સુળે વચ્ચે રાજકીય વારસાઇનો જંગ પણ ચાલતો લાગે છે. ઇતિહાસ સાક્ષી છે કે કોઇ પણ રાજકીય નેતા વારસો આપવા માટે સંતાનની પહેલી પસંદગી કરે એટલે અજીત સામે સુપ્રિયાની રક્ષા કરવા શરદ પવારે આ ખેલ કર્યા હોઇ શકે.

જો કે આખા ધૂમધડાકા પાછળ ઘણા પ્રશ્નો પડઘાય છે. કાકાને પડકારવા અજીત કેવી રીતે આયોજન કરે છે? રાજકીય નેતાનું વર્ચસ્વ ઉંમર અને તબિયતને કારણે ઘટે છે પણ શરદ પવારના કિસ્સામાં એવું કંઇ લાગતું નથી. 2024માં શરદ પવાર નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભારતીય જનતા પક્ષ સામે વિરોધ પક્ષોને એકત્ર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે એમાં કોઇ શક નથી. અજીત પવાર પણ ભારતીય જનતા પક્ષના રાડાર પર સતત રહ્યા છે એમાં પણ કોઇ શક નથી અને શરદ પવારને નબળા પાડવા અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષને તોડવા અજીત સુલભ હથિયાર પુરવાર થઇ શકે છે.

શરદ પવારનો યુગ હજી આથમી ગયો નથી અને રાજકીય હરીફો અને મિત્રોને આશ્ચર્યચકિત કરીને લડત આપવામાં તેમની ક્ષમતા હજી ખલાસ નથી થઇ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મિત્ર હોવાનો શરદ પવાર દાવો કરે છે છતાં કેન્દ્ર સરકારે શરદ પવારને ત્યાં સીબીઆઇના દરોડા પડાવ્યા પણ બંનેના સંબંધોમાં ખટાશ નથી આવી. નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષમાં થયેલા હોબાળાને વારસાઇના જંગથી અલગ નહીં પાડી શકાય, પણ અજીત પવાર પરિબળનો ઉપયોગ કરી પક્ષમાં પોતાનું વર્ચસ્વ બતાવવા શરદે આ નાટક કર્યો હોવાનું નકારી નહીં શકાય.

અજીતે પોતાના કાકા અને રાજકીય ગુરુ શરદ પવારને છંછેડી મધપૂડા પર પથરો માર્યો છે પણ શરદ પવારે નિશાન જાહેર કર્યા વગર પોતાનો કક્કો ખરો કર્યો છે અને પક્ષમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. કાકાના ટેકા વગર અજીત માટે રાજકારણમાં આગળ વધવાનું મુશ્કેલ છે. ભારતીય જનતા પક્ષના કૂટ નીતિજ્ઞોને નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષનો નાટક જોવામાં મજા પડી છે. શરદ પવાર લોકસભાની આગામી ચૂંટણી સુધીમાં ભારતીય જનતા પક્ષ સાથે કેવી રમત રમશે? તે જ જાણે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top