Comments

રશિયાની વેગનર આર્મી અને પ્રિગોઝિનનું ભવિષ્ય શું?

પુતીન સામે બળવાને લઈને વેગનર જૂથ ચર્ચામાં આજકાલ છે. જો કે મોસ્કો પર વેગનરની કૂચ રશિયાની રાજધાનીથી માત્ર ૨૦૦ કિ.મી. દક્ષિણમાં અટકી ગઈ, તે પછી વેગનર આર્મીના ચીફ પ્રિગોઝિનનું ભવિષ્ય દાવ પર લાગી ગયું છે. વ્લાદિમીર પુતીન એ હકીકતને ભૂલી શકશે નહીં કે સમગ્ર વિશ્વની સામે એમને નીચાજોણું થયું છે. અત્યારે તો વેગનરની રશિયા તરફની કૂચ રોકવા બદલ પુતિને પ્રિગોઝિન સામે આક્રમણના આરોપો પડતા મૂકવા અને તેમને બેલારુસમાં સ્થળાંતર કરવાની મંજૂરી આપી છે. બેલારુસ રશિયાનું મિત્ર રાષ્ટ્ર છે એ જોતાં પ્રિગોઝિન પર બેલારુસ છોડવા માટે પણ દબાણ આવી શકે છે.

વેગનર ગ્રુપ માત્ર યુક્રેન મોરચે જ સક્રિય નથી. સીરિયા, સુદાન, મધ્ય આફ્રિકન રિપબ્લિકન અને માલી સહિત અન્ય ઘણા દેશોમાં પણ તેની હાજરી છે અને તે એક માત્ર રશિયન ખાનગી લશ્કરી કંપની પણ નથી. અમેરિકાની સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના અહેવાલ અનુસાર છેલ્લાં કેટલાંક વર્ષોમાં, રશિયામાં આ પ્રકારનાં જૂથોમાં વધારો થયો છે, જેને PMCs તરીકે પણ ઓળખવામાં આવે છે.

આવા જૂથની ચોક્કસ પ્રવૃત્તિઓને ટ્રેક કરવી શક્ય નથી કારણ કે તેઓ કથિત રીતે રશિયન સરકાર અને પરંપરાગત લશ્કરી દળોથી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. જો કે વિશ્લેષકો માને છે કે આ જૂથ સંભવતઃ વિશ્વના ૩૦થી વધુ દેશોમાં સક્રિય છે. યુરોપમાં યુક્રેન યુદ્ધની શરૂઆતથી વેગનર જૂથ હેડલાઇન્સમાં દેખાવા માંડ્યું છે. આ ભાડૂતી સંગઠનને સૌ પ્રથમ ૨૦૧૪માં યુક્રેનના ડોનબાસ પ્રદેશમાં જોવામાં આવ્યું હતું, જ્યાં તે રશિયાતરફી અલગતાવાદીઓને સમર્થન આપતું હતું. યુક્રેનના સંરક્ષણ મંત્રાલય અનુસાર યુક્રેન મોરચે વેગનરના લગભગ ૫૦ હજાર લડવૈયાઓ છે અને તે યુક્રેન યુદ્ધનું મુખ્ય ઘટક બની ગયું છે. જો કે પ્રિગોઝિને પોતે તાજેતરમાં ફક્ત ૨૫ હજાર લડવૈયાઓ વિશે વાત કરી હતી.

સીરિયા અને કેટલાંક સબ-સહારન રાષ્ટ્રોમાં પ્રિગોઝિનની હજુ પણ પકડ છે. આ વિસ્તારોમાં વેગનર સેના લડી ચૂકી છે. અહીં લાકડાના વેપાર અને ખાણકામમાં તેમનો મોટો હિસ્સો છે, તે જોતાં આ વિસ્તારો પ્રિગોઝિન માટે આશ્રયસ્થાન બની શકે છે. પુતીન સજા આપવા માટે કુખ્યાત છે ખાસ કરીને સાથીદારોના દગાના કિસ્સામાં. તે સામે આફ્રિકા પ્રિગોઝિન માટે છેલ્લો ઉપાય બની શકે છે. પ્રિગોઝિનને તેનું બાકીનું જીવન મધ્ય આફ્રિકન રિપબ્લિક અથવા અન્ય કોઈ આફ્રિકન રાષ્ટ્રમાં પસાર કરવું પડી શકે. પ્રિગોઝિનને જો ભાગતાં ફરવું પડે તો હજારો વેગનર લડવૈયાઓનું શું થશે એ પણ એક પ્રશ્ન છે. શું તેમને રશિયાનાં સશસ્ત્ર દળોમાં સામેલ કરવામાં આવશે? જો એમ થાય તો, સીરિયા, આફ્રિકા અને અન્યત્રના વેગનર એકમોનું શું થશે? રશિયામાં વેગનરની કામગીરી બંધ કરવામાં આવી નથી. વેગનરને ફડચામાં કે ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું નથી. જો કે પ્રિગોઝિન સાથે જોડાયેલી કેટલીક કંપનીઓએ કામ કરવાનું બંધ કરી દીધું છે. સેન્ટ પીટર્સબર્ગમાં આવેલ વેગનર સેન્ટર પણ હાલ બંધ છે.

પ્રિગોઝિનને સજા તરીકે અત્યારે તો માત્ર દેશનિકાલ આપી બેલારુસ મોકલી દેવાયો છે. તેનો અર્થ એ છે કે રશિયામાં તેના શક્તિશાળી સાથીઓ હજુ પણ તેને સહાય કરે છે. પ્રિગોઝિન બેલારુસમાં હોવાની વાતને બેલારુસિયન પ્રમુખ લુકાશેન્કોએ સમર્થન આપતાં કહ્યું હતું કે અમે તેમને મદદ કરીશું. લુકાશેન્કોએ જ પ્રિગોઝિન અને પુતીન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું છે. બેલારુસમાં પ્રિગોઝિનની હાજરી પુતિન માટે સતત ખતરો બની રહેશે – ખાસ કરીને જો તેના હજારો ભાડૂતી સૈનિકો રશિયન સૈન્યમાં જોડાવાનો ઇનકાર કરે. પ્રિગોઝિન ક્રેમલિનને ફરીથી કબજે કરવાનો પ્રયાસ કરે એ શક્યતા પણ ઊભી રહે છે. રશિયા કરતાં લુકાશેન્કોની પોલીસ અને સૈન્ય પ્રમાણમાં નબળા છે તે જોતાં વેગનર બેલારુસમાં વધુ મુક્ત રીતે કામ કરી શકશે.
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top