Gujarat

વંદે ભારત ટ્રેનમાં ઔવેસીના કોચ પર પથ્થરમારા મામલે રેલવેએ કર્યો મોટો ખુલાસો

સુરત: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Assembly Election ) તૈયારી તમામ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે. આ સાથે જ ઘણી પાર્ટીઓના નેતા પણ પોતાનું વર્ચસ્વ વધારવા ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ગુજરાતની લોકલ પાર્ટી સિવાય અન્ય પાર્ટીઓ પણ ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ત્યારે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન પાર્ટીના (AIMIM) ચીફ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) ગત રોજ એટલે કે સોમવારે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા.

બે દિવસીય મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદમાં જાહેર સભા યોજ્યા બાદ સોમવારે ઓવૈસી વંદે ભારત ટ્રેનથી (Vande Bharat Train) સુરતની (Surat) મુલાકાત માટે આવી રહ્યા હતા. આ દરમિયાન વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઓવૈસીની પાર્ટીના નેતા વારિસ પઠાણે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે દાવો કર્યો કે કેટલાક અજાણ્યા લોકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો અને વંદે ભારત ટ્રેનના કાચ તોડી નાંખવામાં આવ્યા હતા.

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારા મામલે હવે પશ્ચિમ રેલવેની પ્રતિક્રિયા અને સ્પષ્ટતા સામે આવી છે. રેલવે વિભાગે જણાવ્યું છે કે વંદે ભારત ટ્રેન પર કોઈ વ્યક્તિએ પથ્થરમારો કર્યો ન હતો, પરંતુ સ્થળ પર સમારકામ ચાલતું હોવાથી આકસ્મિક રીતે પથ્થર કોચના કાચ પર પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે AIMIM પાર્ટીના નેતા વારિસ પઠાણના ટ્વિટ બાદ રેલવે વિભાગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

આ ઘટના મામલે વારિસ પઠાણે ટ્વીટ પર તસવીરો શેર કરી માહિતી આપી હતી. તેમણે શેર કરેલી તસવીરોમાં ટ્રેનના કાચ તૂટેલા દેખાઈ રહ્યા હતા. પોતાના ટ્વીટમાં પઠાણે લખ્યું, “આજે સાંજે જ્યારે અમે અસદુદ્દીન ઓવૈસી, સાબીર કાબલીવાલા અને AIMIM રાષ્ટ્રીય ટીમ સાથે સુરત માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે કેટલાક અજાણ્યા લોકોએ ટ્રેન પર પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા હતા. આ ઘટના પછી ઓવૈસીની પાર્ટીના નેતા વારિસ પઠાણે જણાવ્યું હતું કે તમે ગોળી ચલાવો કે પછી પથ્થરમારો કરો પરંતુ અસદુદ્દીન ઓવૈસી સાહેબનો અવાજ નથી કોઈ રોકી શકયું કે નથી કોઈ રોકી શકવાનું. ટ્વિટ કરેલી તસ્વીરમાં અસદુદ્દીન ઓવૈસી, વારિસ પઠાણ સહિત અન્ય લોકો ટ્રેનમાં જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે AIMIM એ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 30 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીએ અત્યાર સુધીમાં પાંચ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં સુરત પૂર્વ બેઠક પરથી વસીમ કુરેશી, લિંબાયત બેઠક પરથી અબ્દુલ બશીર, જમાલપુર ખાડિયા બેઠક પરથી સાબીર કાબલીવાલા, દાણીલીમડા બેઠક પરથી કૌશિકા પરમાર અને બાપુનગર બેઠક પરથી શાહનવાઝ ખાનનો સમાવેશ થાય છે. ઓવૈસીનું કહેવું છે કે AIMIM ગુજરાતના લોકોના મજબૂત અને સ્વતંત્ર અવાજ તરીકે ઉભરી આવશે.

Most Popular

To Top