રાજસ્થાનના જેસલમેરમાં રવિવારે સાંજે ફરીથી રેતીનું વાવાઝોડું આવ્યું. તેનાથી દિવસ દરમિયાન અંધારું છવાઈ ગયું. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ પહેલા શનિવારે બપોરે 3 વાગ્યે રાજસ્થાનના 5 જિલ્લા શ્રીગંગાનગર, બીકાનેર, ચુરુ, હનુમાનગઢ અને સીકરમાં રેતીનું તોફાન આવ્યું હતું. તેની અસર લગભગ 200 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં રહી. રેતીના તોફાનની શરૂઆત હનુમાનગઢ અને શ્રીગંગાનગરથી થઈ હતી.
આ દરમિયાન 56 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાયું. ઉત્તર પ્રદેશના અમરોહા, લખનૌ, સંભલ, મુરાદાબાદ, હાથરસ, ગોંડા અને બલરામપુરમાં પવન સાથે વરસાદ થયો. લખનઉમાં વરસાદ દરમિયાન દીવાલ પડવાથી 10 વર્ષના બાળકનું મોત થયું. લખીમપુર ખીરીમાં વાવાઝોડાને કારણે દીવાલ ધરાશાયી થવાથી 7 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો. પંજાબમાં સવારે લગભગ 4 વાગ્યે ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે એક મકાનની છત ધરાશાયી થઈ.
બે સગા ભાઈઓ કાટમાળ નીચે દટાઈ ગયા. બંને ઘાયલ છે. છત્તીસગઢના કોરબામાં શનિવારે વરસાદથી બચવા માટે એક ઝાડ નીચે ઉભેલા 3 યુવકો પર ડાળી પડી ગઈ. ત્રણેયના મોત થઈ ગયા. દેશમાં ઘણાં રાજ્યોમાં આંધી અને વરસાદની સ્થિતિ રહી હતી, તો ઘણાં રાજ્યોમાં તાપમાનનો પારો ઊંચો રહેતા ગરમીથી કોઈ રાહત મળી ન હતી. પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને તીવ્ર હવા ફૂંકાઈ હતી. જુદી જુદી ઘટનામાં આ રાજ્યોમાં 26 લોકોનાં મોત થયા હતા. પાટનગર દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીથી થોડી રાહત મળી હતી.
હરિયાણા અને પંજાબમાં પણ તાપમાન ઘટયું હતું. જોકે, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના ઘણાં વિસ્તારો અસહ્ય તાપમાં શેકાયા હતા. તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડયો હતો. રાજ્યમાં છ લોકોના વીજળી પડવાથી કે વરસાદના અકસ્માતોથી મોત થયા હતા. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે અલગ અલગ જિલ્લામાં આ ઘટનાઓ બની હતી. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર આપ્યું હતું. બિહારમાં પણ વીજળી પડવાથી સાત લોકોનાં મોત થયા હતા.
બિહારના સીએમ સમ્રાટ ચૌધરીએ ચાર લાખના વળતરની જાહેરાત કરી હતી. સરકારે વરસાદ અને વીજળીની ચેતવણી હોય ત્યારે બહાર ન નીકળવાની ભલામણ કરી હતી. ઉત્તર પ્રદેશમાં એક તરફ તેજ હવા સાથે ભારે વરસાદ પણ નોંધાયો હતો, તો બીજી તરફ અમુક વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૭ને ડિગ્રીને પાર પહોંચી ગયો. ઉત્તર પ્રદેશમાં આંધી સાથે વરસાદ પડતાં એક મકાનમાં આખો પરિવાર મૃત્યુ પામ્યો હતો. જર્જરિત મકાનમાં ઊંઘ કરી રહેલા બે બાળકો અને તેમની માતા સહિત ચારનો મોત થયા હતા.
હમીરપુર જિલ્લામાં બેતવા રિવર પર બની રહેલા બ્રિજમાં કામ કરી રહેલા છ મજૂરોના પણ તેજ હવાના કારણે બાંધકામ પડી જતાં મોત થયા હતા. આ ઘટનામાં એક આસિસ્ટન્ટ એન્જિનિયરને બેદરકારી બદલ તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયો હતો. સાઈટમાં કામ કરી રહેલા મજૂરોના મોત થયા છે તેમના પરિવારજનોને પાંચ લાખનું વળતર ને ઈજાગ્રસ્તોને 50 હજારનું વળતર આપવાની યુપી સરકારે જાહેરાત કરી હતી.
યુપીના જાલૌનમાં પણ બેનાં મોત વરસાદના કારણે થયા હતા. દરમિયાન દેશના અનેક રાજ્યોમાં તાપમાન 45 થી 47 ડિગ્રી રહ્યું હતું. યુપીના જ બાંદામાં દેશનું સૌથી વધુ ૪૭.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો રાજસ્થાનના શ્રીગંગાનગરમાં તાપમાનનો પારો 47.1 ડિગ્રીએ પહોંચી ગયું હતું. રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ગરમીથી રાહત મળી ન હતી, પરંતુ પંજાબ-હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ઝારખંડ જેવા રાજ્યોમાં વરસાદના કારણે તાપમાન ગગડયું હતું. ઉત્તરાખંડમાં આંધીના કારણે વનવિભાગની પ્રોપર્ટીને નુકસાન થયું હતું. ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન ફૂંકાતા ૩૦ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. કમોસમી વરસાદ અને તોફાન એ કુદરતી નથી માનવસર્જીત છે. લોકો ભલે કુદરતી આપત્તિ કહે પરંતુ પર્યાવરણની જાળવણી થતી નથી અને વૃક્ષો આડેધડ કપાઇ રહ્યાં છે. આજ કારણસર અણધારી આફત આવી રહી છે.