Business

માલસામાનના પરિવહન માટે દરિયાનો રૂટ જોખમી બની ગયો છે

દરિયાઈ માર્ગને વિશ્વમાં વેપાર માટે સૌથી અનુકૂળ અને કિફાયતી માર્ગ માનવામાં આવે છે. એટલા માટે મોટા ભાગના દેશો વેપાર માટે દરિયાઈ માર્ગોનો ઉપયોગ કરે છે; પરંતુ આજકાલ દરિયાઈ માર્ગે વેપાર કરવો સલામત નથી. તાજેતરના સમયમાં વેપારી જહાજો પર હુમલા, જહાજોના અપહરણ અને ખંડણી વસૂલવાની પ્રવૃત્તિ અને જહાજોમાંથી માલની લૂંટની ઘટનાઓમાં દૈનિક ધોરણે વધારો થઈ રહ્યો છે. તાજેતરની ઘટના અરબી સમુદ્રમાં સોમાલિયાના કિનારે બની હતી. લાઇબેરિયાનો ધ્વજ લહેરાવતાં એક કોમર્શિયલ જહાજને અહીંથી હાઇજેક કરવામાં આવ્યું હતું. ભારતીય સમય મુજબ ૪ જાન્યુઆરીએ સાંજે જહાજના ક્રૂ મેમ્બરે તેમને જાણ કરી હતી કે પાંચ થી છ સશસ્ત્ર લૂંટારાઓ જહાજ પર ઊતર્યા છે.

જહાજ પર પંદર ભારતીય ક્રૂ સભ્યોની હાજરીને કારણે ભારતીય નૌકાદળે પણ તેના INS ચેન્નાઈને અરબી સમુદ્રમાં ઘટના સ્થળ તરફ મોકલ્યું હતું, જે ૫ જાન્યુઆરીના સોમાલિયાના કિનારે પહોંચ્યું હતું. ભારતીય નૌકાદળે ઘટનાસ્થળે પહોંચતાં જ ઓપરેશન શરૂ કરી દીધું હતું અને સારી વાત એ છે કે ભારતીય નૌકાદળે આ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ભારતીય નૌકાદળે જહાજ પર હાજર તમામ ૧૫ ભારતીયોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. સોમાલિયાના દરિયાકાંઠે જે રીતે જહાજનું અપહરણ કરવામાં આવ્યું છે તેની પાછળ સોમાલિયન ચાંચિયાઓનો હાથ હોવાની આશંકા છે.

જહાજો પર હુમલા અને અપહરણની સૌથી વધુ ઘટનાઓ અરબી સમુદ્ર અને લાલ સમુદ્રમાં બની રહી છે. છેલ્લા બે મહિનામાં સરેરાશ દરરોજ કોઈને કોઈ ઘટના બની છે. આ ડેટા UKMTO એટલે કે યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. ૧૪ નવેમ્બર ૨૦૨૩ અને ૪ જાન્યુઆરી ૨૦૨૪ ની વચ્ચે, એટલે કે કુલ ૫૨ દિવસમાં અરબી સમુદ્ર અને રાતા સમુદ્રમાં જહાજો પર હુમલા અને અપહરણની ૨૫ થી વધુ ઘટનાઓ બની હતી. મતલબ કે સરેરાશ દર બે દિવસે એક જહાજ પર હુમલો અથવા હાઇજેક કરવામાં આવ્યો હતો.

રાતા સમુદ્રમાં જહાજો પર વધુ હુમલા થાય છે તેનું મુખ્ય કારણ વેપારની દૃષ્ટિએ આ દરિયાઈ વિસ્તારનું વિશેષ મહત્ત્વ છે. આ માર્ગ દ્વારા વેપાર સસ્તો અને સરળ છે. વિશ્વના કુલ દરિયાઈ વેપારના ૧૫ ટકા રાતા સમુદ્ર દ્વારા થાય છે. યુરોપિયન દેશોને ૮૦ ટકા સુધીનું ક્રુડ ઓઈલ રાતા સમુદ્રના દરિયાઈ માર્ગેથી સપ્લાય કરવામાં આવે છે. રાતા સમુદ્રમાં વેપારી જહાજો પરના હુમલામાં વધારો થવાને કારણે જહાજના વીમા પ્રિમીયમમાં ૨૫૦ ટકા સુધીનો વધારો થયો છે. વધતા હુમલાઓને કારણે કેટલાક દેશોના જહાજોએ સુરક્ષા માટે પોતાના રૂટ બદલી નાખ્યા છે, પરંતુ તે પણ બહુ ફાયદાકારક નથી. રૂટમાં ફેરફારને કારણે જહાજોના પ્રવાસ ખર્ચમાં ૧૫ ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત ૧૦ દિવસ વધુ સમય લાગે છે. મુસાફરી ખર્ચ વધવાને કારણે દરિયાઈ માર્ગે આવતા માલસામાનના ભાવ વધવાની આશંકા છે, જેના કારણે મોંઘવારી વધશે.

રાતા સમુદ્રમાં જહાજો પર વધી રહેલા હુમલાઓથી વિશ્વ ચિંતિત છે. ગયા વર્ષે ૨૮ ડિસેમ્બરે અમેરિકાએ આ અંગે ઘણા દેશોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકનો ઉદ્દેશ રાતા સમુદ્ર અને અરબી સમુદ્રમાં જહાજો પર વધી રહેલા હુમલાનો સામનો કરવા માટે એક સંયુક્ત દળ બનાવવાનો હતો, પરંતુ ઇટાલી, ફ્રાન્સ અને સ્પેન જેવા ઘણા દેશો આ માટે તૈયાર ન હતા. જો કે, ૩ જાન્યુઆરીએ યુનોની સુરક્ષા પરિષદની બેઠકમાં રાતા સમુદ્રમાં જહાજો પર વધી રહેલા હુમલાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સંયુક્ત દળની રચના પર હજુ સુધી કોઈ સહમતી સધાઈ નથી, પરંતુ ભારત અને અમેરિકાના નૌકાદળ રાતા સમુદ્રમાં શિપિંગ રૂટની સુરક્ષા કરી રહ્યા છે. ભારતીય નૌસેનાએ અરબી સમુદ્ર અને રાતા સમુદ્રમાં પાંચ યુદ્ધ જહાજો તૈનાત કર્યાં છે. ગયા બુધવારે જ યુએસ નેવીએ હુથી વિદ્રોહીઓની બોટને નિશાન બનાવી હતી, જેમાં ૧૦ હુથી વિદ્રોહી માર્યા ગયા હતા અને ૩ બોટ નષ્ટ થઈ હતી.

વર્ષ ૨૦૧૫ માં હુથી બળવાખોરોએ યમનના મોટા ભાગો પર કબજો કરીને સમગ્ર મધ્ય પૂર્વમાં સુરક્ષાની કટોકટી ઊભી કરી હતી. આ પછી સાઉદી અરેબિયા, UAE અને ઇજિપ્તના નેતૃત્વમાં ૯ ઇસ્લામિક દેશોએ હુથી વિદ્રોહીઓ વિરુદ્ધ સંયુક્ત દળની રચના કરી હતી. આ સંયુક્ત દળે ઘણાં વર્ષો સુધી હુથી વિદ્રોહીઓ પર હવાઈ હુમલાઓ કર્યા હતા. રાતા સમુદ્રમાં ગ્રાઉન્ડ ઓપરેશન અને દરિયાઈ હુમલાઓ પણ કર્યા હતા. આ ટાસ્ક ફોર્સ યમનમાંથી હુથીઓને સંપૂર્ણપણે ખતમ કરી શક્યું નથી. કોરોના રોગચાળાના સંકટ સાથે આ સંયુક્ત કામગીરી બંધ થઈ ગઈ હતી. હવે ફરી એક વાર હુથી બળવાખોરો રાતા સમુદ્રમાં વ્યાપારી જહાજોને નિશાન બનાવી રહ્યા છે. દરિયાઈ જહાજોની સુરક્ષા કોઈ એક દેશનો મુદ્દો નથી, પરંતુ તે વૈશ્વિક સમસ્યા છે.

ગયા વર્ષે ૧૪ ડિસેમ્બરે માલ્ટાથી એક જહાજનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ક્રૂના ૬ સભ્યોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ જહાજ દક્ષિણ કોરિયાથી તુર્કી જઈ રહ્યું હતું ત્યારે સોમાલિયન ચાંચિયાઓએ તેને હાઈજેક કરી લીધું હતું. ભારતીય નૌકાદળે આ જહાજને માલ્ટાથી મુક્ત કરવા માટે એક ઓપરેશન શરૂ કર્યું અને તે સફળ રહ્યું હતું. ભારતીય નૌકાદળ દ્વારા બંધક ક્રૂ મેમ્બરોને પણ બચાવી લેવામાં આવ્યા હતા. ગયા વર્ષે ૧૯ નવેમ્બરના રોજ તુર્કીથી ભારત આવી રહેલા કાર્ગો શિપ ગેલેક્સી લીડરને હાઇજેક કરવામાં આવ્યું હતું.

હુથી બળવાખોરોને શંકા હતી કે માલવાહક જહાજ ઈઝરાયેલનું છે. જહાજને હાઇજેક કરવાનો વિડિયો પણ શેર કરવામાં આવ્યો હતો. આ જહાજ ગેલેક્સી લીડર હજુ પણ હુથી બળવાખોરોના કબજામાં છે. ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આરોપ લગાવ્યો હતો કે ઈરાન દ્વારા જહાજને હાઈજેક કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં હુથી બળવાખોરોએ ઇઝરાયેલ જઈ રહેલાં જહાજો પર હુમલો કરતા હતા, પરંતુ બાદમાં તેઓએ રાતા સમુદ્રમાંથી પસાર થતાં તમામ જહાજોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. સોમાલિયાના ચાંચિયાઓ પહેલાંથી જ જહાજો પર હુમલો કરી રહ્યા છે, પરંતુ જ્યારે હુથી બળવાખોરો દ્વારા હુમલાઓ વધ્યા ત્યારથી સમુદ્ર માર્ગે જોખમ બહુ વધી ગયું છે.

હુથી બળવાખોરોએ કહ્યું છે કે રાતા સમુદ્રમાં માત્ર ઈઝરાયેલના જ જહાજો તેમના નિશાન પર છે, અન્ય દેશોના જહાજોને કોઈ ખતરો નથી, પરંતુ હુથીઓ તે દેશોને નિશાન બનાવશે જે અમેરિકાની આગેવાની હેઠળના દળનો ભાગ હશે. યમનની હુથી રિવોલ્યુશનરી કમિટીના વડા મોહમ્મદ અલી અલ-હુથીએ કહ્યું છે કે અમેરિકાની આગેવાની હેઠળના રેડ સી ગઠબંધનમાં જોડાનાર કોઈ પણ દેશ તેની દરિયાઈ સુરક્ષા ગુમાવશે અને તેને નિશાન બનાવવામાં આવશે. હુથી નેતાના આ નિવેદન બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે તેઓ ઓસ્ટ્રેલિયા, બહેરીન, બેલ્જિયમ, કેનેડા, ડેનમાર્ક, જર્મની, ઈટાલી, જાપાન, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, રિપબ્લિક ઓફ કોરિયા, સિંગાપોર અને બ્રિટનના જહાજોને પણ નિશાન બનાવી શકે છે.

આ તમામ દેશો રાતા સમુદ્રના શિપિંગ રૂટની સુરક્ષા માટે અમેરિકાની આગેવાની હેઠળના રેડ સી ગઠબંધનનો ભાગ છે. અમેરિકાએ રાતા સમુદ્રમાં જહાજોને સુરક્ષા પૂરી પાડવા માટે રચાયેલી બહુરાષ્ટ્રીય ટાસ્ક ફોર્સને ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયન નામ આપ્યું છે. અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિને આની જાહેરાત કરી હતી પરંતુ અમેરિકાના ઘણા મહત્ત્વપૂર્ણ સહયોગીઓ પણ તેમાં ભાગ લેવાનું ટાળતા જોવા મળ્યા છે. હવે હુથીઓની ચેતવણી પછી વધુ કેટલાક દેશો તેમાં જોડાવા માટે અનિચ્છા બતાવી શકે છે. અમેરિકાનાં સખત દબાણ છતાં ભારત હજુ સુધી આ રેડ સી ગઠબંધનમાં જોડાયું નથી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top