SURAT

શરીર સંબંધ બાંધી, પતિ પાસે છૂટાછેડા લેવડાવી યુવકે કહ્યું- તારી જાતિની છોકરી સાથે લગ્ન ન કરાય

સુરત: (Surat) સોશિયલ મીડિયા મારફતે રાંદેરની એક પરિણીતા અડાજણના યુવકના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ (Love) બંધાયો હતો. દરમિયાન આ યુવકે તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો અને તેના પતિ પાસે છૂટાછેડા પણ લેવડાવી દીધા હતા. ત્યારબાદ આ યુવકે કહ્યું હતું કે, ‘અમે તારી જાતીની (Community) છોકરી સાથે લગ્ન (Marriage) ના કરીએ’. બળાત્કાર અને ઠગાઇનો (Fraud) ભોગ બનેલી યુવતીએ યુવક, તેની માતા અને અન્ય એકની સામે રાંદેર પોલીસમાં એટ્રોસિટી એક્ટ તેમજ બળાત્કારની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

  • યુવતીના છૂટાછેડા કરાવ્યા બાદ યુવકે કહ્યું, ‘અમે તારી જાતિની છોકરી સાથે લગ્ન ના કરીએ’
  • રાંદેરમાં રહેતી પરિણીતા પાસેથી શેરબજારમાં રોકાણના બહાને રૂા.60 હજાર પડાવી લીધા બાદ પરત નહીં કર્યા
  • યુવકના અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ હોવાનુ બહાર આવતા પ્રેમિકાએ બળાત્કાર અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી

પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2019માં રાંદેર વિસ્તારમાં રહેતી 29 વર્ષિય ભાવિકા (નામ બદલ્યુ છે)નો સંપર્ક સોશિયલ મીડિયા ફેસબુક મારફતે અડાજણ સૌરભ પોલીસ ચોકીની પાસે સાવન રો હાઉસમાં રહેતા અને અદાણી પોર્ટમાં નોકરી કરતા ચિરાગ મણીલાલ પટેલની સાથે થયો હતો. બંનેએ એકબીજાની સાથે ચેટિંગ શરૂ કર્યા બાદ મુલાકાત પણ કરી હતી અને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. ચિરાગે તેને લગ્નની લાલચ આપીને વિશ્વાસમાં લઇ બળાત્કાર ગુજાર્યો હતો, આ ઉપરાંત તેની પાસેથી શેરબજારમાં રોકાણના બહાને રૂા.60 હજાર પડાવી લીધા હતા. આ પરણેત્તર સંબંધની જાણ ભાવિકાના પતિને થતા ઝઘડા શરૂ થયા હતા, ભાવિકાએ જાતે જ પોતાના પતિને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું હતું, આ વાતમાં ચિરાગે મધ્યસ્થી કરી ભાવિકા અને તેના પતિના છૂટાછેડા કરાવ્યા હતા.

બીજી તરફ ચિરાગે ભાવિકાને બોલાવવાનું ઓછુ કરી નાંખ્યું હતું. તેનો વર્તાવ જોઇને ભાવિકાએ તપાસ કરતા તેના અન્ય યુવતીઓ સાથેના સંબંધ પણ બહાર આવ્યા હતા. આ દરમિયાન ભાવિકા ચિરાગના ઘરે પહોંચી ગઇ હતી અને લગ્ન કરવા માટે કહ્યું હતું, ત્યારે ચિરાગ અને તેની માતાએ કહ્યું કે, અમે તારી જાતીની છોકરી સાથે લગ્ન ના કરીએ, મારા છોકરાને બીજે સારી જગ્યાએ લગ્ન કરવાના છે કહીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ ઉપરાંત ભાવિકાએ પોતાના 60 હજાર પરત માંગતા ચિરાગએ આ રૂપિયા આપવામાં ગલ્લાતલ્લા કર્યા હતા. આખરે ભાવિકાએ ચિરાગ, તેની માતા બીનાબેન અને ચિરાગના માસિયાઇ ભાઇ હિરેનની સામે રાંદેર પોલીસમાં બળાત્કાર તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એસસીએસટી સેલના એસીપી આર.કે. ઝાલા કરી રહ્યા છે.

Most Popular

To Top