SURAT

સુરતમાં શાકભાજી માર્કેટમાં ચપ્પુ લઈ બે જણા યુવક પાછળ દોડ્યા અને…

સુરત: (Surat) નવાગામ ડિંડોલી ત્રિપાઠી હોસ્પિટલની સામે રવિવારે રાત્રે 11 વાગ્યાના આરસામાં અંગત અદાવતને લઈને બે જણાએ શ્રમજીવીને જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા (Murder) કરી હતી. તેમજ હત્યારાઓએ ઘટના સ્થળ પાસે શાકભાજી (Vegetables) ખરીદવા માટે આવેલા યુવાને મૃતકનો માણસ સમજી તેની પણ હત્યા કરવાના ઈરાદે પીછો કરી ચપ્પુના ઘા મારી લોહીલુહાણ કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવની જાણ થતા રાત્રે ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલા ઇજાગ્રસ્તની ફરિયાદને આધારે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ડિંડોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવાગામ ડિડોલી અંબિકાનગરમાં રહેતા અને મજુરી કામ કરતા મૂળ યુપીના સંદીપ સુર્યનાથ રોય (ઉં.વ.24) ગઈકાલે રાત્રે મજૂરીકામ કરી ઘરે આવ્યો હતો. ત્યારે તેના રૂમ પાર્ટનર અખિલેશ અને અંકુર શુકલાએ શાકભાજી નથી હોવાનું કહેતા સંદીપ ફ્રેશ થઇ 11 વાગ્યે શાકભાજી લેવા માટે ત્રિપાઠી હોસ્પટલથી રેલવે ટ્રેકની ગલીમાં ભરાતા શાકમાર્કેટમાં ગયો હતો. ત્યાં બે યુવાન રાજા વર્મા સાથે ઝઘડો કરતા હતા. તે પૈકી એકે જીવણ માર આને એવું કહેતા બીજાએ હું ચપ્પુથી મારું છું, સંદીપ તું પણ માર આજે રાજા વર્માને પતાવી દઇએ એવું કહી બંનેએ ચપ્પુ કાઢી રાજા વર્માને જમણા પગમાં જાંધના ભાગે આગળ અને પાછળથી ચપ્પુના ઘા મારતા તે નીચે લોહીલુહાણ હાલતમાં પડી ગયો હતો.

જાહેરમાં હુમલો થતા લોકો એકત્ર થયા હતા. આથી સંદીપે જીવણને આ પણ રાજાનો માણસ છે એમ કહી બંને સંદીપ રાયની પાછળ દોડયા હતા. ગભરાયેલો સંદીપ રાય ભાગ્યો હતો અને તે રેલવે ટ્રેકની ગલીમાં પહોંચ્યો ત્યારે બંને જણાએ ત્યાં આવી સંદીપના પગમાં ચપ્પુ માર્યું હતું. સંદીપ રાયે બુમાબુમ કરતા બંને ભાગી ગયા હતા. કોઇક 108 ને જાણ કરતા રાજા વર્મા અને સંદીપને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ જતા ડોકટરે રાજા વર્માને મૃત જાહેર કર્યો હતો, જયારે સંદીપ રાયને દાખલ કરતા ડિંડોલી પોલીસે તેની ફરિયાદના આધારે હત્યા, હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોબાઈલને લઈને ઝઘડો ચાલતો હતો તેની અદાવત રાખી રાજા વર્માની હત્યા કરવામાં આવી છે.

Most Popular

To Top