Gujarat Main

સોમનાથ મહાદેવના દર્શન કરી પરત ફરતા કચ્છના સોની પરિવારને ભુજ હાઈવે પર અકસ્માત નડ્યો, 3ના મોત

ભુજ(Bhuj): આજે તા. 12 એપ્રિલને શુક્રવારે સવારે ભુજ-ભચાઉ હાઈવે (HighWay) પર ભયંકર અકસ્માત (Accident) થયો છે. સોમનાથ મહાદેવના (Somnath Mahadev) દર્શન કરી પરત ફરતા કચ્છના (Kutch) સોની (Soni) પરિવારને અહીં અકસ્માત નડ્યો છે. આ દુર્ઘટનામાં બે સગા ભાઈઓ સહિત 3ના મોત થયા છે, જ્યારે 8 લોકોને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  • માધાપર ગામના સોની પરિવારને ભુજ-ભચાઉ હાઈવે પર અકસ્માત નડ્યો
  • કૂતરું આડે આવતા સોની પરિવારની તુફાન જીપ ડિવાઈડર સાથે ભટકાઈ
  • બે સગા ભાઈ સહિત 3ના ઘટના સ્થળે મોત, અન્ય 8ને ઈજા થઈ
  • ઈજાગ્રસ્તોને ભુજની જીકે હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

આ ઘટનાની મળતી માહિતી મુજબ ભૂજ-ભચાઉ હાઈવે પર આજે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં અકસ્માત થયો હતો. દીવ સોમનાથથી મહાદેવના દર્શન કરી પરત માધાપર જતા સોની પરિવારની તુફાન જીપને પધ્ધર નજીક સુઝલોન અને બીકેટી વચ્ચે અકસ્માત નડ્યો હતો. રસ્તા પર કૂતરું આડું આવતા તેને બચાવવા જતા તુફાન જીપ ડાબી તરફના પુલિયાની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

આ અકસ્માતમાં સોની પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે આઠને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ભુજની જીકે જનરલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. પધ્ધર પોલીસે તપાસ હાથ ધરી છે.

મૃતકો માધાપર ગામના વતની
અકસ્માતમાં મૃત્યુ પામનારા માધાપર ગામની બાપા દયાળુ સોસાયટીમાં રહેતા હતા. દિનેશ સુરેન્દ્ર સોની, તેમના ભાઈ મનોજ સુરેન્દ્ર સોની અને દિલીપ હિરજી સોનીનું ઘટનાસ્થળે જ મૃત્યુ હતું. તુફાન જીપમાં સવાર અન્ય આઠ લોકોને અકસ્માતમાં ઇજા થઈ હતી. ઘાયલોને 108 મારફતે સરકારી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભોગ બનનાર દીવ ફરીને સોમનાથ દર્શન કરીને પરત ફરતા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે.

Most Popular

To Top