Gujarat

રાજકોટમાં સગીરાએ બાળકને જન્મ આપ્યો, પરિવારે નવજાતને કૂવામાં ફેંકી દીધો

રાજકોટ: (Rajkot) રાજકોટમાં 16 વર્ષની સગીરાએ બાળકને (Child) જન્મ (Born) આપ્યો હતો. સગીરા અને તેના પરિવારે આ નવજાત બાળકને કૂવામાં નાખી દીધો હતો. રાજકોટ જિલ્લાના પડધરીના ઉકરડા ગામે કૂવામાંથી (Well) નવજાત શિશુનો મૃતદેહ મળ્યો હોવાની જાણ રાજકોટ ફાયરબ્રિગેડને થતાં ફાયરના જવાનોએ કૂવામાંથી નવજાત શિશુનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ જિલ્લામાં આવેલા ઉકરડા ગામે કૂવામાં એક નવજાત બાળક દેખાતા આસપાસના લોકોએ આ અંગે ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ફાયરની ટીમે તાત્કાલિક નવજાત શિશુનો મૃતદેહ બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક વિભાગમાં મોકલી આપ્યો હતો. જોકે સગીરા ગર્ભવતી કઈ રીતે બની તે બાબતને લઈને હાલ પોલીસ તપાસ કરી રહી છે. નવજાતને આ રીતે કૂવામાં નાંખવા બાબતે સગીરા અને તેના પરિવાર વિરૂદ્ધ કયો ગુનો દાખલ કરવો તે અંગે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જોકે આ બાબતને લઈને સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી. લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યાં હતા. આ બાબતે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ નવજાત બાળક નજીકમાં જ રહેતા એક પરિવારની સગીર દિકરીનો છે. બાળકના જન્મ બાદ આ અંગે કોઈને જાણ ન થાય તે માટે પરિવારે બાળકને કૂવામાં નાંખી દીધું હશે તેવી હાલ ચર્ચા ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે સગીરા ગોધરામાં રહે છે. તે ગર્ભવતી છે તેવું તેના પરિવારને ખબર પડતાં તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. સગીરા 15 દિવસ પહેલાં જ રાજકોટ ઉકરડા ગામે તેના ભાઈ-ભાભી સાથે રહેવા આવી હતી.

Most Popular

To Top