National

ચોમાસુ વહેલુ નહીં ખેંચાય, સપ્ટેમ્બરમાં વધુ વરસાદ થશે

નવી દિલ્હી: નૈઋત્યનું ચોમાસુ (Monsoon) તેની વિદાય એવી અદામાં લેવાની તૈયારી કરી રહ્યું છે જયારે તે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને બિહારના સૂકા ભાગોમાં વરસાદ (Rain) લાવશે, જ્યારે હવામાન આગાહીકારોએ બંગાળના અખાત પર સાયક્લોનિક સર્ક્યુલેશનના સર્જનની નિશાનીઓ જોઇ છે.

અહીં એક પત્રકાર પરિષદને સંબોધન કરતા ભારતીય હવામાન વિભાગના ડાયરેકટર મૃત્યુંજય મોહાપાત્રાએ આજે ગયા સપ્તાહની એ આગાહી ફગાવી દીધી હતી કે જેમાં ચોમાસુ વહેલુ વિદાય લે તેવું જણાવવામાં આવ્યું હતું અને જાહેરાત કરી હતી કે ઋતુગત વર્ષાનો સમયગાળો લંબાઇ શકે છે. જ્યારે આપણે નૈઋત્યનું ચોમાસુ વહેલુ ખેંચાવાની અપેક્ષા રાખતા હતા, ત્યારે બંગાળના અખાતમાં પશ્ચિમ-મધ્ય અને બાજુના ઉત્તર પશ્ચિમમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે ચોમાસાને ૭ સપ્ટેમ્બરની આસપાસ દક્ષિણ તરફ વાળશે. આનાથી દ્વિપકલ્પીય ભારતના મધ્ય અને ઉત્તર ભાગોમાં વરસાદની પ્રવૃતિ વધશે એ મુજબ મોહાપાત્રાએ જણાવ્યું હતું. આથી, ચોમાસુ વહેલુ ખેંચાવા અંગે સ્થિતિઓ સાનુકૂળ નથી એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે હવામાન કચેરી સ્થિતિ પર દેખરેખ રાખવાનું ચાલુ રાખશે.

૨૫મી ઓગસ્ટે હવામાન કચેરીએ નૈઋત્યનું ચોમાસુ તેના પાછા ખેંચાવાની સામાન્ય તારીખ કરતા વહેલુ પાછુ ખેંચાવાની આગાહી કરી હતી. ભારતે અત્યાર સુધી આ ચોમાસામાં છ ટકા વધુ વરસાદ મેળવ્યો છે પરંતુ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મણીપુર, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળના વિશાળ ભાગોમાં અપૂરતો વરસાદ થયો છે જેણે આ ખરીફ ઋતુના ડાંગરના પાકને અસર કરી છે. મોહાપાત્રાએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં વરસાદનો અપેક્ષિત વધારો પશ્ચિમ અને દક્ષિણી ઉત્તર પ્રદેશમાં તથા ઉત્તર-ઉત્તર પશ્ચિમ બિહારના ભાગોમાં વરસાદની ઘટને પુરવામાં મદદ કરી શકે છે.

Most Popular

To Top