ભારતના પડોશી મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મીન આંગ હ્લેઇંગ ભારતની મુલાકાતે આવ્યા તેના કારણે ચીનના પેટમાં તેલ રેડાયું છે. રાષ્ટ્રપતિ બન્યા પછી તેમની પ્રથમ વિદેશ મુલાકાત માટે ભારતની પસંદગી કરીને મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મીન આંગ હ્લેઇંગે સ્પષ્ટપણે ચીનના વધતા પ્રભાવને સંતુલિત કરવા માટે નવી દિલ્હી સાથેના સંબંધોને પ્રાથમિકતા આપવાની તેમની ઇચ્છા દર્શાવી છે.
હ્લેઇંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સ્પષ્ટ ખાતરી આપી છે કે મ્યાનમારની જમીનનો ઉપયોગ ભારતવિરોધી પ્રવૃત્તિઓ માટે થવા દેવામાં આવશે નહીં. આ સંદેશ ફક્ત ચીન પર જ નહીં પરંતુ મ્યાનમારમાં કાર્યરત સશસ્ત્ર જૂથો માટે પણ હતો, જેઓ લાંબા સમયથી ભારતનાં ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વાટાઘાટો દ્વારા ભારતે મ્યાનમારમાં ચીનના વધતા પ્રભાવને પડકાર્યો છે અને દર્શાવ્યું છે કે નવી દિલ્હી હવે પ્રાદેશિક સુરક્ષા, સરહદ વ્યવસ્થાપન અને વ્યૂહાત્મક ભાગીદારીના મામલામાં વધુ આક્રમક ભૂમિકા ભજવી રહ્યું છે.
મ્યાનમારના બળવાખોર નેતા મીન આંગ હ્લેઇંગ સંસદીય ચૂંટણી જીતીને દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા, જેનાથી યુદ્ધગ્રસ્ત દેશમાં તેમની રાજકીય પકડ ઔપચારિક રીતે મજબૂત થઈ છે. ચૂંટાયેલી સરકારને હાંકી કાઢ્યાના પાંચ વર્ષ પછી આ પગલું લેવામાં આવ્યું હતું. દેશની લશ્કરી સમર્થિત સંસદમાં કાયદા ઘડનારાઓ દ્વારા પડેલા ૫૮૪ મતોમાંથી ૪૨૯ મતો જીતીને વરિષ્ઠ જનરલ મીન આંગ હ્લેઇંગ વિજયી બન્યા હતા. ૬૯ વર્ષીય જનરલ મીન આંગ હ્લેઇંગે ૨૦૨૧ના મ્યાનમાર બળવામાં આંગ સાન સુ કીની સરકારને હાંકી કાઢી હતી અને તેને નજરકેદમાં રાખી હતી.
આ પગલાંથી વ્યાપક વિરોધ પ્રદર્શનો થયાં હતાં, જે પાછળથી લશ્કરી નેતૃત્વ સામે રાષ્ટ્રવ્યાપી સશસ્ત્ર પ્રતિકારમાં પરિણમ્યાં હતાં. ટીકાકારોએ મ્યાનમારની ચૂંટણીઓને એક બનાવટ ગણાવી હતી, જેનો હેતુ લોકશાહીની આડમાં લશ્કરી શાસન જાળવી રાખવાનો હતો.વિશ્લેષકો કહે છે કે આ મુલાકાત ભારત માટે મ્યાનમારમાં ચીનના પ્રભાવને ઘટાડવાની તક છે. ભારત આ મુલાકાતનો ઉપયોગ દેશના મહત્ત્વપૂર્ણ દુર્લભ પૃથ્વી ખનિજ ભંડારો સુધી પહોંચ મેળવવા અને તેની ઉત્તર-પૂર્વીય સરહદો પર સુરક્ષા મજબૂત કરવા માટે પણ કરી શકે છે. ભારત મ્યાનમારનો મુખ્ય પાડોશી છે, પરંતુ ચીને મ્યાનમારમાં ઝડપથી પોતાનો પ્રભાવ વધાર્યો છે.
તેથી નિષ્ણાતો માત્ર હ્લેઇંગની ભારત મુલાકાતનાં પરિણામ પર જ નહીં પરંતુ ચીન પ્રત્યેના તેમના વલણ પર પણ નજીકથી નજર રાખી રહ્યા છે. ભારતની મુલાકાત પછી હ્લેઇંગ ટૂંક સમયમાં શી જિનપિંગ સાથે મુલાકાત કરવા માટે બેઇજિંગ જઈ શકે છે. મ્યાનમારમાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત ગૌતમ મુખોપાધ્યાય કહે છે કે ચૂંટણી પછી હ્લેઇંગ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની વિશ્વસનીયતા વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુખોપાધ્યાય કહે છે કે ભારત અને ચીન સાથે મ્યાનમારના વર્તનનો એક ભાગ રહ્યો છે કે ચીન સામે ઝૂકવું અને ભારત સાથે સંતુલન બનાવવાનો પ્રયાસ કરવો. ચીન લાંબા સમયથી મ્યાનમારને ટેકો આપી રહ્યું છે અને ત્યાં અસંખ્ય રોકાણો ધરાવે છે.
રાષ્ટ્રપતિ તરીકે નાગરિક દરજ્જો સંભાળ્યા પછી મીન આંગ હ્લેઇંગ સમગ્ર ક્ષેત્રમાં રાજદ્વારી જોડાણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ મ્યાનમાર અને આસિયાન વચ્ચેના સંબંધો સામાન્ય થવાની આશા રાખે છે. મિન આંગ હ્લેઇંગની ભારત મુલાકાત એવા સમયે આવી છે કે જ્યારે મ્યાનમારના આરાકાન સૈન્યે સરહદી ક્ષેત્રમાં ફરી હુમલાઓ શરૂ કર્યા છે, જે ભારત અને થાઇલેન્ડ વચ્ચે દુર્લભ પૃથ્વીના ભંડાર અને મહત્ત્વપૂર્ણ વેપાર માર્ગોનું ઘર છે. મિન આંગ હ્લેઇંગ આ લડાયક જૂથો સામે ભારતની મદદ માંગી શકે છે. ભારત પોતાના માટે મ્યાનમારના દુર્લભ પૃથ્વી ખનિજોનાં સંસાધનોને પ્રાપ્ત કરવાના માર્ગો શોધવામાં રસ ધરાવે છે.
મ્યાનમાર દુર્લભ પૃથ્વી સંસાધનોથી સમૃદ્ધ છે અને ભારત આ ક્ષેત્રમાં ભાગીદારી દ્વારા તેની સપ્લાય ચેઇનને વધુ સુરક્ષિત અને વૈવિધ્યસભર બનાવવા માંગે છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વાટાઘાટો પછી જણાવ્યું હતું કે બંને દેશોએ મહત્ત્વપૂર્ણ ખનિજો અને દુર્લભ પૃથ્વીમાં સહયોગ પર ગંભીર ચર્ચા કરી છે. આજના કાળમાં આ ક્ષેત્ર વૈશ્વિક રાજકારણ અને આર્થિક સ્પર્ધાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયું છે, કારણ કે આ ખનિજો આધુનિક ટેકનોલોજી, સંરક્ષણ સાધનો, ઊર્જા સંક્રમણ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત લાંબા સમયથી આ સંસાધનો માટે ચીન પરની તેની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેથી મ્યાનમાર સાથે સહયોગ ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
વાટાઘાટોમાં ચર્ચા કરાયેલા સૌથી મહત્ત્વપૂર્ણ વિષયોમાં સુરક્ષા સહયોગ હતો. મ્યાનમારના રાષ્ટ્રપતિએ ભારતને ખાતરી આપી હતી કે તેમના પ્રદેશનો ઉપયોગ ભારતવિરોધી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે નહીં. આ ખાતરી મહત્ત્વપૂર્ણ છે કારણ કે ભારત અને મ્યાનમાર લગભગ ૧,૬૪૦ કિલોમીટરની સરહદ ધરાવે છે, જે સંવેદનશીલ ઉત્તર-પૂર્વીય રાજ્યો અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમને જોડે છે.
તાજેતરનાં વર્ષોમાં, મ્યાનમારમાં સશસ્ત્ર જૂથોની પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર દાણચોરી અને સરહદ પારથી ઘૂસણખોરીએ ભારતની સુરક્ષા ચિંતાઓ વધારી છે. વિદેશ સચિવે નોંધ્યું કે મ્યાનમારના સૈનિકોને યુએન શાંતિ રક્ષા કામગીરી માટે પણ તાલીમ આપવામાં આવે છે. આ સંવાદનું એક મહત્ત્વપૂર્ણ પાસું ચીનના વધતા પ્રભાવની પૃષ્ઠભૂમિ છે. ચીન દક્ષિણ-પૂર્વ એશિયામાં સતત પોતાનો આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ વધારી રહ્યું છે. ચીન મ્યાનમારમાં મોટા રોકાણ પ્રોજેક્ટો આગળ ધપાવી રહ્યું છે. આ સંદર્ભમાં ભારત મ્યાનમાર સાથેના સંબંધોને મજબૂત બનાવીને પ્રાદેશિક સંતુલન જાળવવા માંગે છે.
ભારત માટે મ્યાનમાર માત્ર એક પડોશી દેશ નથી પણ ઉત્તરપૂર્વ ભારતને દક્ષિણપૂર્વ એશિયા સાથે જોડતું એક વ્યૂહાત્મક પ્રવેશદ્વાર પણ છે. વડા પ્રધાન મોદીએ મ્યાનમારમાં શાંતિ, સ્થિરતા અને સમાવિષ્ટ સંવાદ માટે પણ સમર્થન વ્યક્ત કર્યું છે. આ સૂચવે છે કે ભારત મ્યાનમારમાં સ્થિર રાજકીય વ્યવસ્થા અને લાંબા ગાળાની શાંતિને પ્રાદેશિક સ્થિરતા માટે આવશ્યક માને છે. ભારતની મુલાકાત દરમિયાન મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મીન આંગ હ્લેઇંગે વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે મહત્ત્વપૂર્ણ બેઠકો કરી હતી. આ બેઠકોમાં સરહદ સુરક્ષા, પૂર્વોત્તર ક્ષેત્રમાં સક્રિય આતંકવાદી જૂથોની પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર શસ્ત્રો અને ડ્રગ્સની હેરફેર, દરિયાઈ સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો.
અજિત ડોભાલ સાથેની વાતચીત દરમિયાન, વ્યૂહાત્મક સહયોગ, ગુપ્તચર સંકલન અને સરહદ પાર આતંકવાદી નેટવર્ક પર દેખરેખ રાખવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની મુલાકાતમાં વેપાર, કનેક્ટિવિટી ઊર્જા સહયોગ અને ઉત્તરપૂર્વ ભારતને દક્ષિણપૂર્વ એશિયા સાથે જોડવાની યોજનાઓને ઝડપી બનાવવા માટે એક કરાર થયો હતો. મ્યાનમારના રાષ્ટ્રપતિની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે સમગ્ર પ્રદેશ ભૂ-રાજકીય સ્પર્ધા, પુરવઠા શૃંખલા કટોકટી અને સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યો છે. આ મુલાકાતથી સ્પષ્ટ થયું છે કે ભારત અને મ્યાનમાર પરંપરાગત પડોશી સંબંધોથી આગળ વધીને તેમના સંબંધોને એક વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કરવાનો ઇરાદો ધરાવે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.