Warning: file_put_contents(): Only -1 of 1338 bytes written, possibly out of free disk space in /home/gujaratmitraco/public_html/wp-content/plugins/wp-optimize/minify/class-wp-optimize-minify-cache-functions.php on line 421
National

“દરેક સારા કામનો વિરોધ કરી તેઓ ન તો કામ કરશે અને ન તો કરવા દેશે”: PM મોદીએ વિપક્ષ પર કટાક્ષ કર્યો

નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા AMRUT ભારત સ્ટેશન યોજનાની શરૂઆત કરી હતી. તેમણે સમગ્ર ભારતમાં 508 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતીય રેલવેના ઈતિહાસમાં આ એક નવા અધ્યાયની શરૂઆત છે તેવું કહ્યું હતું. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષના વલણ પર પણ આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે વિપક્ષનું વલણ નકારાત્મક રાજકારણનું રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે અમારો ઉદ્દેશ્ય સકારાત્મક રાજનીતિ છે. તેમણે વિપક્ષ પર નિશાન સાધ્યું કે વિપક્ષના એક વર્ગે સંસદના નવા ભવનનો પણ વિરોધ કર્યો અને કર્તવ્ય પથના નિર્માણનો પણ વિરોધ કર્યો હતો. એટલું જ નહીં નેશનલ વોર મેમોરિયલ 70 વર્ષ સુધી ન બની શક્યું, પરંતુ જ્યારે અમે તેને બનાવ્યું ત્યારે તેની ખુલ્લેઆમ ટીકા કરવામાં આવી હતી. તંજ કસતા પીએમ મોદીએ કહ્યું આ લોકો તો કંઈ કામ કરશે નહિં અને જે લોકો કરી રહ્યાં છે તેને કરવા દેશે નહિં. પીએમ મોદીએ કહ્યું કે અમે સમગ્ર દેશમાં વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યા છીએ. અમે દરેકના સમર્થન અને દરેકના વિકાસ માટે પૂરા દિલથી અને ઉત્સાહથી કામ કરી રહ્યા છીએ. જેથી અમૃત ભારત રેલ્વે સ્ટેશન યોજનાનો લાભ દેશના તમામ રાજ્યોને મળે છે.

રેલવેએ 1.5 લાખથી વધુ યુવાનોને કાયમી નોકરીઓ આપી
પીએમ મોદીએ કહ્યું કે વિકાસના લક્ષ્ય તરફ આગળ વધી રહેલ ભારત તેના અમૃત સમયગાળાની શરૂઆતમાં છે. નવી ઉર્જા છે, પ્રેરણા છે, સંકલ્પ છે. ભારતીય રેલવેના ઈતિહાસમાં પણ એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. ભારતના લગભગ 1300 મોટા રેલ્વે સ્ટેશનોને હવે અમૃત ભારત રેલ્વે સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે અને તેનો પુનઃવિકાસ આધુનિકતા સાથે કરવામાં આવશે. તેનાથી દેશના તમામ રાજ્યોને ફાયદો થશે.

ઉત્તર પ્રદેશમાં લગભગ 4500 કરોડ રૂપિયાના ખર્ચે 55 અમૃત સ્ટેશન વિકસાવવામાં આવશે. રાજસ્થાનના 55 રેલવે સ્ટેશનો પણ બનશે અમૃત રેલવે સ્ટેશન. હું રેલવે મંત્રાલયની પ્રશંસા કરું છું અને દેશવાસીઓને અભિનંદન આપું છું.
આ ઉપરાંત પીએમ મોદીએ રેલ્વેના કામોની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું કે રેલ્વેમાં જેટલું કામ થયું તે આશ્ચર્યચકિત કરનારું છે. વિશ્વના દક્ષિણ આફ્રિકા, યુક્રેન, પોલેન્ડ, યુકે અને સ્વીડન જેવા દેશો કરતાં આ 9 વર્ષમાં આપણા દેશમાં વધુ રેલ પાટા નાખવામાં આવ્યા છે.

પીએમ મોદીએ કહ્યું જે રીતે રેલવેમાં કામ થયું છે તેને જોઈ કોઈપણ વડાપ્રધાન 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી તેનો ઉલ્લેખ કરવા ઈચ્છશે. જ્યારે 15મી ઓગસ્ટ નજીક છે, ત્યારે હું તે જ દિવસે તેની ચર્ચા કરવા માટે ખૂબ ઉત્સુક અનુભવું છું. આજે આ વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં દેશના ખૂણે-ખૂણેથી લોકો જોડાયા છે કે હવે હું આ બાબતે આટલી વિગતવાર ચર્ચા કરી રહ્યો છું.

Most Popular

To Top