Top News

More Posts

   The Latest

Most Popular

ઘરમાં લગ્નનો રૂડો અવસર હોય,દશ દિવસ પહેલાં ઘરની દીકરીઓ,બેનો,ફોઈઓ બિસ્તરા પોટલાં લઈને ઘરે ધામા નાંખે,ઘઉંનું વિનામણ થાય અને ડળનું થાય.જમણવારના બે દિવસ પહેલાં મિઠાઈ અને રવામેંદાની પુરી મહારાજ આવીને બનાવી જતા.ભોજનમાં સુરતી ગુજરાતી બ્રાહ્મણિયા રસોઈ બનાવવામાં આવતી,રસોઈનું મેનુ કુટુંબની આર્થિક સ્થિતિ પ્રમાણે નક્કી થાય.સમાજમાં શ્રીમંત પરિવાર સાત વાણીના પકવાન બનાવતા,સામાન્ય રીતે જમણવારમાં મિઠાઇમાં કેસરિયા લાપસી,મોહનથાળ,અમરત પાક,દૂધીનો હલવો અને ઉનાળામાં શીખંડ પુરી ફરસાણમાં ખમણ,કેળામેથીનાં ભજીયાં,રતાળુની પુરી, ઘૂઘરા, કચોરી, પેટીસ, શાકમાં ગોળ આંબલીવાળા બટાકા,દૂધીચણાનું શાક, વેંગણબટાકા,ભરેલા વેંગણ, રવૈયા પરવળ, ટીંડોરા બટાકા, રસાવાલા પાપડીના દાણા, ભીંડા, અને ગોળ આંબલીવાળી ગુજરાતી દાળ,ભાત અને કઢી હોય તો મોળી લચકો દાળ સાથે કેરીનું અથાણું અને પુરી.રસોડામાં એક વડીલનો પહેરો હોય,સવારથી રાત સુધી વડીલ રસોડાનું સંચાલન કરતા.લાલ અબોટિયાવાળા મહારાજ રસોઈ બનાવતા.ઘરની મહિલાઓ જ શાકભાજી સમારતી અને પુરી વણતી.જમણવારમાં પંગતમાં બેસાડતા,પાત્રાની બાજમાં મિત્રમંડળ યુવાનો ભોજન પીરસતા.આમ લગ્નપ્રસંગમાં ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના પ્રકટ થાય અને લગ્નનાં સ્મરણો વર્ષો સુધી યાદ રહેતાં.
સુરત     -કિરીટ મેઘાવાલા  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top