National

મધ્યપ્રદેશમાં કાળિયારના શિકારીઓ સાથેની અથડામણમાં 3 પોલીસકર્મીઓનું મોત, તાત્કાલિક IGને હટાવ્યાં

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) ગુના જિલ્લામાં આવેલા સાગા બરખેડા ગામમાં શુક્રવારે મોડી રાત્રે પોલીસ (Police) અને કાળિયાર શિકારીઓ (Hunters) વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. જ્યાં શિકારીઓ સાથેની અથડામણમાં પોલીસકર્મીઓનું મોત (Death) થયું છે. શિકારીઓના ગોળીબારમાં શહીદ થયેલા ત્રણ પોલીસકર્મીઓ SI રાજકુમાર જાટવ, કોન્સ્ટેબલ નીરજ ભાર્ગવ અને કોન્સ્ટેબલ સંતરામના પરિવારજનોને સરકાર દ્વારા એક-એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે.

ગુના જિલ્લાના આરોન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને 7-8 મોટરસાઇકલ પર સવાર શિકારીઓની માહિતી મળી હતી. પોલીસે શિકારીઓને ચારે બાજુથી ઘેરી લીધા હતા. અહીં શિકારીઓએ ગુપ્ત રીતે તેમના પર ગોળીબાર કર્યો હતો. જેમાં ત્રણ પોલીસકર્મીઓનું મોત થયું છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને લઈને સીએમ શિવરાજ સિંહ ચૌહાણે આજે સવારે ઉચ્ચ સ્તરીય ઈમરજન્સી બેઠક બોલાવી હતી. તેમજ કડક કાર્યવાહી કરતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગ્વાલિયરના આઈજી અનિલ શર્માને તાત્કાલિક હટાવી દીધા છે.

ક્રોસ ફાયરિંગમાં એક શિકારીનું મોત
શિકારીઓ કાળિયાર અને રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરી રહ્યા હતા. આ દરમિયાન પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસકર્મીઓએ તેમને પડકાર્યા અને બદમાશોએ ફાયરિંગ શરૂ કરી દીધું. બંને પક્ષોના આ અથડામણમાં એક શિકારીનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું, જ્યારે ત્રણેય પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યો હતો. ત્યાર બાદ પોલીસને 5 હિરણના માથા, 2 હિરણના મૃતદેહ તેમજ મોરના મૃતદેહો પણ મળી આવ્યા છે. આ બદમાશો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગૃહમંત્રીએ કહ્યું કે મધ્યપ્રદેશની પોલીસ ખૂબ જ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહી છે. રાત્રે પોલીસ પેટ્રોલિંગ નિયમિત રાત્રે કરવામાં આવે છે, જેથી તેઓ શિકારીઓને ઘેરી શકે. પોલીસકર્મીઓ પર હુમલામાં સાત શિકારીઓ સામેલ હતા. તેમાંથી એક શિકારીનું ક્રોસ ફાયરિંગમાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણ થતા મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, મુખ્ય સચિવ ઈકબાલ સિંહ બૈસ બેઠકમાં હાજર રહ્યા હતા. ગુના પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓએ પણ આ બેઠકમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપી હતી. સીએમ શિવરાજે કહ્યું કે ગુનામાં શિકારીઓ સામે લડતી વખતે અમારા પોલીસ જવાનો શહીદ થયા છે. ગુનેગારો સામે આવી કાર્યવાહી થશે જે ઈતિહાસમાં ઉદાહરણ બની જશે. ગુનેગારો કોઈપણ ભોગે છટકી શકશે નહીં. સીએમએ વધુમાં કહ્યું કે પોલીસકર્મીઓના અંતિમ સંસ્કારમાં જિલ્લાઓના અન્ય મંત્રીઓ પણ હાજરી આપશે. તેમજ ત્રણેય પરિવારમાંથી એક-એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ સન્માન સાથે કરવામાં આવશે.

આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવશે જે એક ઉદાહરણ બની રહેશે: ગૃહમંત્રી
આ ઘટનાની માહિતી આપતા રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યુ છે કે ગુના જિલ્લાના આરોન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7-8 મોટરસાઇકલ પર સવાર શિકારીઓ વિશે પોલીસને માહિતી મળી હતી. જેથી પોલીસે શિકારીઓને ઘેરી લીધા હતા. શિકારીઓએ ગોળીબાર શરૂ કર્યો, જેમાં પોલીસ પરિવારના બહાદુર SI રાજકુમાર જાટવ, હવાલદાર નિલેશ ભાર્ગવ અને કોન્સ્ટેબલ સંતરામનું મૃત્યુ થયું છે. ઘટના દુઃખદ અને હૃદયદ્રાવક છે. જિલ્લા પોલીસ અધિક્ષક અને DGPએ ઘટનાની માહિતી લીધી. તેમની સામે આવા કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે જે એક ઉદાહરણ બની રહેશે.

‘શિવરાજ નહિ ગુંડારાજ’: વિપક્ષના નેતા
વિપક્ષના નેતા ડો. ગોવિંદ સિંહે કહ્યું છે કે ગુના જિલ્લાના આરોન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક SI સહિત ત્રણ પોલીસકર્મીઓની હત્યા એ ‘શિવરાજ નહિ ગુંડારાજ’નો પુરાવો છે! જ્યારે પોલીસ જ અસુરક્ષિત છે તો સામાન્ય માણસનું રક્ષણ કોણ કરશે? જે ગૃહમંત્રીઓ પોતાના કર્મચારીઓનું રક્ષણ કરી શકતા નથી તેમણે નૈતિકતાથી રાજીનામું આપવું જોઈએ.

પોલીસકર્મીઓની શહાદત વ્યર્થ નહીં જાય: કમલનાથ
મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથે કહ્યું છે કે, શિકારીઓના ગોળીબારમાં ગુનામાં ત્રણ પોલીસકર્મીઓના મોતની ઘટના ખૂબ જ દુઃખદ અને પીડાદાયક છે. ચોક્કસપણે આ પોલીસકર્મીઓએ પોતાની ફરજ બજાવવા માટે શહીદ થયા છે. હું તેમની શહાદતને સલામ કરું છું. શહાદત વ્યર્થ નહીં જાય. પરંતુ આપણે એ પણ જોવું પડશે કે શિવરાજ સરકારમાં ગુનેગારોની હિંમત કેમ આટલી વધારે છે..?

Most Popular

To Top