Gujarat

ગુજરાતની ભાજપ સરકારને 400 દિવસ બાદ ફરી સી-પ્લેન યાદ આવ્યું, આ રૂટ પર ઉડાડવા નિર્ણય

અમદાવાદ: ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ ફેબ્રુઆરી 2021થી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે આવતાં પ્રવાસીઓને આકર્ષિત કરતી અમદાવાદથી કેવડિયા વચ્ચેની સી-પ્લેનની (Sea-plane) બંધ સુવિધાને પુન: શરૂ કરવાની જાહેરાત કરી છે. સરકાર છેલ્લા 400 દિવસથી ઠપ પડી રહેલા સી-પ્લેનને નવા રંગરૂપ સાથે ટેક-ઑફ (Take-off) કરવાની તૈયારી કરી રહ્યું છે.

ગુજરાતમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ વચ્ચે ગુજરાત સરકારે સી-પ્લેન સર્વિસ ફરીથી શરૂ કરવા માટે નિર્ણય કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2020 સરદાર પટેલ જન્મજયંતિના રોજ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સી-પ્લેન સર્વિસની શરૂઆતની કરી હતી. જોકે, તે ફેબ્રુઆરી 2021 થી બંધ થઈ ગઈ હતી. છેલ્લા 400 દિવસથી ઠપ પડ્યા રહ્યા બાદ હવે કે સી-પ્લેન સર્વિસને પુનઃ શરૂ કરવા માટે ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી આદેશ આપ્યો છે. ઉપરાંત, ઉનાળું વેકેશન ચાલુ થઈ ગયું છે. તેથી લોકો સી-પ્લેનની રોમાંચ સફરનો લહાવો મેળવવા આતુર છે અને સી-પ્લેનની સેવા વહેલી શરૂ કરવા માંગ કરી રહયા છે.

સી-પ્લેન બંધ થવા પાછળનું
હાલમાં નર્મદામાં એક કાર્યક્રમમાં પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે હવે ટૂંક સમયમાં ફરીથી સી-પ્લેનની સુવિધા શરૂ થવા જઈ રહી છે અને તેના વર્કઓડર પણ આપી દેવામાં આવ્યા છે. ઉપરાંત સી-પ્લેન નવા રંગરૂપ સાથે ટેક-ઑફ કરશે. સી-પ્લેન છેલ્લા 400 દિવસથી બંધ હતું તે પાછળનું કારણ એ હતું કે સી પ્લેન ઘણું જૂનું છે અને ગુજરાતમાં તેના મેન્ટેનન્સની કોઈ સુવિધા નહોતી. આવી સ્થિતિમાં સી-પ્લેનને થોડા કલાકોની ઉડાન બાદ મેન્ટેનન્સ માટે માલદીવ જવું પડ્યું હતું. જેને કારણે રાજ્ય સરકારે સમગ્ર પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધીમાં રૂ. 7.77 કરોડનો ખર્ચ કર્યો છે.

વધુ એક ડ્રીમ પ્રોજેકટથી દક્ષિણ ગુજરાતના લોકોની મુશ્કેલીઓમાં ઘટાડો થયો છે
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે ડ્રીમ પ્રોજેકટ હતા. તેમાંથી એક તો સી-પ્લેન હતું. જો વાત કરીએ બીજા ડ્રીમ પ્રોજેકટની તો તેમાં દેશમાંથી પ્રવાસીઓને કેવડિયા લાવતી ટ્રેન શરૂ કરવાનું હતું. જે શરૂ પણ થઈ ગઈ છે. તેમાં મુંબઈથી સુરત વચ્ચે શરૂ થયેલી ટ્રેન સુરતથી કેવડીયા થઈને મુંબઈ જાય છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના લોકો ટ્રેન દ્વારા સીધા જ કોઈ મુશ્કેલી વગર કેવડીયા સ્ટેશન પહોંચી જ્યાં છે. આ બંને પ્રોજેકટ પાછળ 1000 કરોડથી પણ વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો.

શું ચૂંટણીના કારણે ભાજપને ફરીથી સી-પ્લેન સેવાની યાદ આવી છે?
આવા સંજોગોમાં લોકોના મનમાં એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે શું ચૂંટણીના કારણે ભાજપને ફરીથી સી-પ્લેન સેવાની યાદ આવી છે? કારણે કે આ પહેલા પણ ડિસેમ્બર 2017માં જયારે પાટીદાર આંદોલનને કારણે ભાજપની હાલત પાતળી હતી ત્યારે વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ સી પ્લેનમાં પહોંચીને અલગ અંદાજમાં મેગા શો કર્યો હતો. ત્યારબાદ બીજેપીને સફળતા મળી હતી અને તે ફરી સત્તામાં આવી હતી. 

Most Popular

To Top