Gujarat

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના બંદરો ઉપર લાગ્યું 1 નંબરનું સિગ્નલ

અમદાવાદ: છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્ર(Saurashtra) અને દક્ષિણ ગુજરાત(South Gujarat)માં વરસાદી(Rain) માહોલ છે. અહીં ભારે વરસાદ તો નથી નોંધાયો પરંતુ છૂટાછવાયા ઝાંપટા નોંધાઇ રહ્યાં છે. આ પહેલા હવામાન વિભાગે (Meteorological department) ગુજરાત(Gujarat)માં 12 તારીખથી વરસાદનું જોર ઘટશે એવી આગાહી કરી હતી, પરંતુ દરિયામાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે. છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે હવામાન ખાતાએ કરેલી નવી આગાહી મુજબ 15 -16 ઓગસ્ટના રોજ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યનાં બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાડ્યું
હાલ રાજ્યનાં બંદરો(Port) પર 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. આ પહેલા સૌરાષ્ટ્રના બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રમાં કચ્છથી દૂર એક વાવાઝોડાની સિસ્ટમ આકાર પામી છે, જેના પગલે ગુજરાત પર તેની અસર હેઠળ આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાત તથા કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે.

અમદાવાદ આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
અમદાવાદમાં સાબરમતી નદીમાં મોટાપ્રમાણમાં નીરની આવક થઈ રહી છે. વાસણા બેરેજની હાલમાં સપાટી 135 મીટર પહોંચી છે. જો હજુ વધુ વરસાદ પડે અને સાબરમતી નદી તથા નર્મદા કેનાલમાંથી વધુ પાણી છોડવામાં આવે તો વાસણા બેરેજના વધુ દરવાજાઓને ખોલવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં અમદાવાદ આસપાસના નીચાણવાળા વિસ્તારો પીરામણ, પારડી, નવાગામ, સાણંદ આસપાસના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સાબરમતી નદીમાં નવા નીર છોડાયા
અમદાવામાં આવતીકાલે સવારે સાબરમતી નદીમાં નવા નીર છોડવામાં આવનાર હોવાથી મનપા દ્વારા નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ જારી કરાયું છે. ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ધરોઇ ડેમમાં પાણીની આવક વધી રહી છે. ઘણી વખત ધરોઇમાંથી પાણી છોડવામાં આવે તે સીધુ સાબરમતી નદીમાં આવ્યું છે. જેના કારણે સાબરમતી નદીમાં નવા નીર ઉમેરાય છે. આ વખતે સારા વરસાદને કારણે સાબરમતી નદી બે કાંઠે છે. શુક્રવારે અમદાવાદમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા.

Most Popular

To Top