અયોધ્યા રામ મંદિરમાં ભક્તોના દાનની કથિત ચોરી અંગેનો કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ આ મામલે દાખલ કરેલી અરજી પર ૧૩ જુલાઈએ સુનાવણી કરી શકે છે. અરજીમાં નિષ્પક્ષ તપાસ માટે કેસ સીબીઆઈને સોંપવાની માંગ કરવામાં આવી છે અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવાની માંગ કરવામાં આવી છે.
અગાઉ ૨૯ જૂને સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચે આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે ઉનાળાની રજાઓ પછી કેસ નિયમિત બેન્ચ સમક્ષ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવશે.
નોંધનીય છે કે નિયમિત કોર્ટ કાર્યવાહી ૧૩ જુલાઈએ ફરી શરૂ થવાની છે. દાખલ કરાયેલી અરજીની સિસ્ટમ-જનરેટેડ સ્થિતિ દર્શાવે છે કે તે ૧૩ જુલાઈએ સુનાવણી માટે સૂચિબદ્ધ થવાની સંભાવના છે. જો કે ૧૩ જુલાઈની સુનાવણી યાદી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી તેથી તે ચોક્કસ દિવસે સુનાવણીની ખાતરી નથી.
SIT રિપોર્ટે શું કહ્યું?
આ કેસની તપાસ કરી રહેલી SIT ના પ્રાથમિક અહેવાલમાં અવિનાશ શુક્લાને મુખ્ય આરોપી તરીકે ઓળખવામાં આવ્યા છે. તપાસકર્તાઓને શંકા છે કે 40 દિવસ સુધી ચાલેલી આ ચોરીમાં મંદિરના દાનની ગણતરી દરમિયાન પૈસા ચોરીના લગભગ 70 અલગ અલગ બનાવો સામેલ હતા. અહેવાલમાં જણાવાયું છે કે કથિત ચોરીનો આખો પ્રકરણ શુક્લાની આસપાસ ફરતો હતો. તેમના ખુલાસાના આધારે તપાસકર્તાઓ પાંચ અન્ય આરોપી વ્યક્તિઓને ઓળખી શક્યા અને મંદિરના દાન ગણતરી ખંડની અંદર શંકાસ્પદ પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતી મોડસ ઓપરેન્ડી સમજી શક્યા.
અહેવાલમાં નોંધાયું છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા દાનની ગણતરી માટે રાખવામાં આવેલા વ્યક્તિઓને કપાત પછી ₹15,000 થી થોડો વધુ માસિક પગાર મળે છે. તેનાથી વિપરીત શુક્લાની ધરપકડ પહેલાં તેમની બેંકિંગ પ્રવૃત્તિઓમાં સામેલ ભંડોળ તેમની આવકના જાણીતા સ્ત્રોતો કરતાં ઘણું વધારે હતું.