National

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ અને તેના 6 સાથીની ધરપકડ, પંજાબમાં ઈન્ટરનેટ સેવા બંધ

પંજાબ: ખાલિસ્તાની સમર્થક (Khalistan Supporter) અમૃતપાલ સિંહની (Amritpal Singh) મુશ્કેલીઓ સતત વધી રહી છે. પંજાબ (Punjab) પોલીસે ‘વારિસ પંજાબ દે’ના (Waris Punjab de) ચીફ અમૃતપાલની નાકોદરથી અટકાયત કરી છે. અગાઉ પોલીસે અમૃતપાલના 6 સહયોગીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ અમૃતપાલ ફરાર થઈ ગયો હતો, તેને પકડવા માટે પોલીસની ઘણી ટીમો લાગી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે ધરપકડ કરાયેલા લોકો પાસેથી હથિયાર અને 2 વાહનો જપ્ત કર્યા છે. આ સાથે પંજાબના ઘણા જિલ્લાઓમાં રવિવારે મધરાત 12 સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. અમૃતપાલ સિંહ વિરુદ્ધ 3 કેસ નોંધાયેલા છે, જેમાંથી 2 નફરતભર્યા ભાષણ સાથે સંબંધિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે આ 6ની ધરપકડ ધરમકોટ નજીકના મહિતપુર પોલીસ સ્ટેશન પાસે કરી છે.

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલની ધરપકડ બાદ પોલીસનું નિવેદન સામે આવ્યું છે. પોલીસે રાજ્યના તમામ નાગરિકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. તેમજ જણાવ્યું કે પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કામ કરી રહી છે. નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ ગભરાય ન જાય તેમજ અફવાઓ પર ધ્યાન ન આપે. સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબની સ્થિતિને જોતા ગૃહ મંત્રાલય સતત પંજાબ સરકારના સંપર્કમાં છે. આ સાથે રાજ્ય પોલીસની મદદ માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની કંપનીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. સુરક્ષાની દૃષ્ટિએ અમૃતપાલના ગામ જલ્લુપુરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુાસર ખાલિસ્તાની સમર્થક અમૃતપાલને નાકોદર નજીકથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.પંજાબ સરકાર તરફથી એક નિવેદન આવ્યું છે. જેમાં જણાવાયું છે કે જાહેર સુરક્ષાના હિતમાં પંજાબના પ્રાદેશિક અધિકારક્ષેત્રમાં તમામ મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ, તમામ એસએમએસ સેવાઓ (બેંકિંગ અને મોબાઈલ રિચાર્જ સિવાય) અને મોબાઈલ નેટવર્ક પર પૂરી પાડવામાં આવતી તમામ ડોંગલ સેવાઓ, વોઈસ કોલ સિવાય, 18 માર્ચથી સ્થગિત કરવામાં આવશે. (12:00 કલાક) માર્ચ 19 (12:00 કલાક) સુધી સસ્પેન્ડ રહેશે.

50 વાહને પીછો કરી અમૃતપાલને દબોચ્યો
પોલીસની 50થી વધુ ગાડીઓ અમૃતપાલ અને તેના સાથીઓનો પીછો કરી રહ્યા હતા. પોલીસે અમૃતપાલના વાહનોને પણ ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો. તેના લોકેશનના આધારે તેને નાકોદર નજીકથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. હકીકતમાં, થોડા દિવસો પહેલા, ગુપ્તચર એજન્સીઓને ટાંકીને સમાચાર આવ્યા હતા કે રાષ્ટ્રવિરોધી તત્વો અમૃતપાલ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે અને અમૃતપાલ પર હુમલો કરીને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યા છે.

થોડા મહિના પહેલા જ ‘વારિસ પંજાબ દે’ની કમાન સંભાળી હતી
ખાલિસ્તાની દળોને એકજૂથ કરનાર અમૃતપાલ સિંહ (30 વર્ષ) પંજાબમાં ‘વારિસ પંજાબ દે’ નામનું સંગઠન ચલાવે છે. આ સંગઠનની રચના અભિનેતા-કાર્યકર દીપ સિદ્ધુએ કરી હતી. 15 ફેબ્રુઆરી 2022ના રોજ એક માર્ગ અકસ્માતમાં દીપ સિદ્ધુનું અવસાન થયું હતું, ત્યાર બાદ થોડા મહિના પહેલા દુબઈથી પરત આવેલા અમૃતપાલ સિંહે આ સંગઠનની કમાન સંભાળી અને તેના વડા બન્યા હતા. તેમણે ખેડૂત આંદોલનમાં પણ રસ દાખવ્યો હતો. દીપ સિદ્ધુના મૃત્યુ બાદ ‘વારિસ પંજાબ દે’ વેબસાઈટ બનાવવામાં આવી અને લોકોને જોડવાનું શરૂ કર્યું હતું. અમૃતપાલ 2012માં દુબઈ ગયો હતો. ત્યાં તેણે ટ્રાન્સપોર્ટનો ધંધો કર્યો. તેના મોટાભાગના સંબંધીઓ દુબઈમાં રહે છે. અમૃતપાલે પ્રારંભિક શિક્ષણ ગામની શાળામાં જ પૂર્ણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. તેણે 12મા સુધી અભ્યાસ કર્યો છે.

પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો
ગત મહિને જ અમૃતપાલ અને તેના સાથીઓએ હથિયારોથી સજ્જ પંજાબના અજનલામાં પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. અમૃતપાલના સમર્થકોએ અપહરણ અને રમખાણોના એક આરોપીને છોડાવવા માટે પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. આ દરમિયાન છ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.અમૃતપાલ વિરુદ્ધ તેના એક પૂર્વ સાથીદાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપ છે કે આ બધાએ કથિત રીતે અજનલામાંથી બરિન્દર સિંહ નામના વ્યક્તિનું અપહરણ કર્યું અને પછી તેની મારપીટ કરી હતી.

સાથીદારે ફરિયાદ કરી હતી
ફરિયાદી બરિન્દર સિંહે ફરિયાદમાં કહ્યું છે કે તે અમૃતપાલ સિંહનો પ્રશંસક હતો, પરંતુ જ્યારે તેણે સોશિયલ મીડિયા પર તેના સાથીદારોની ખોટી વાતોનો પર્દાફાશ કર્યો તો અમૃતપાલ સિંહ ગુસ્સે થઈ ગયા. અમૃતપાલ સિંહે કથિત રીતે બરિન્દરને 15 થી 20 વાર થપ્પડ માર્યા, મારપીટ અને દુર્વ્યવહાર કર્યો હતો. આરોપ છે કે રૂપનગર જિલ્લાના સલેમપુર ગામની રહેવાસી ફરિયાદીને ત્રણ કલાક સુધી માર મારવામાં આવ્યો હતો. ફરિયાદી બરિન્દર સિંહે અમૃતપાલ સિંહ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે.

Most Popular

To Top