Gujarat

કેશોદ એરપોર્ટ 21 વર્ષ બાદ ફરી ધમધમતું થયું

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Patel) અને કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના (Jyotiraditya Scindia) હસ્તે કેશોદ એરપોર્ટ (Airport) ખાતે કેશોદથી (Keshod) મુંબઇ (Mumbai) વચ્ચે કમર્શિયલ હવાઇ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેશોદ એરપોર્ટ પર હવાઇ સેવાઓ માટેની આધુનિક સેવાઓનુ પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું.

  • 27 એપ્રીલથી પોરબંદર-દિલ્હી વચ્ચે વિમાન સેવા પણ શરૂ થશે : જ્યોતિરાદિત્ય સિંધિયા
  • કેશોદ એરપોર્ટ પર વિમાન સેવા શરૂ થતા પ્રવાસનને વેગ મળશે : ભૂપેન્દ્ર પટેલ


કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતે ગુજરાતના જમાઇ છે તેમ જણાવી કેશોદને વિશેષ સેવાઓ આપવી છે ત્યાંથી વાતનો પ્રારંભ કરીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સામાન્ય માણસને લક્ષમાં રાખીને ‘ઉડે દેશકા આમ આદમી’ અંતર્ગત હવાઇ સેવાઓ શરૂ થઇ રહી છે.

કેશોદ એરપોર્ટના આધુનીકરણના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી કેશોદ એરપોર્ટમાં સેવાઓ બંધ હતી. કેશોદને દેશની સાંસ્કૃતિક, ઔદ્યોગિક રાજધાની એરકનેક્ટિવિટીથી જોડી દીધી છે. કેશોદ-મુંબઇ બાદ હવે આગામી સમયમાં કેશોદને અમદાવાદ સાથે પણ જોડી દેવાશે. મુંબઈ થી કેશોદ વચ્ચે હાલ પ્રારંભિક તબક્કામાં અઠવાડિયામાં ત્રણ દિવસ સેવાનો લાભ મળશે.

સિંધિયાએ ગુજરાતને ૬ વિમાન સેવાઓની ભેટ આપતા ગુજરાતમાં અને દેશમાં આત્મ નિર્ભર ભારત અંતર્ગત વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં ચાલી રહેલ હવાઇ પ્રોજેક્ટની માહિતી આપી ગુજરાતને બે નવા ગ્રીન ફીલ્ડ હવાઇ મથક હિરાસર અને ધોલેરામાં મળશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત પોરબંદર થી ૨૭ એપ્રીલથી દિલ્હીની ફ્લાઇટ શરૂ થનાર છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વ્યાપક એર કનેક્ટીવીટી પ્રસ્થાપિત થઇ રહી છે. કેશોદમાં વિમાન સેવા શરૂ થતા પ્રવાસનને તેમજ ઔદ્યોગિક વિકાસને વેગ મળશે.
આ પ્રસંગે માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં માળખાગત સુવિધાઓ વધી રહી છે. સામાન્ય નાગરિકો પણ ઉડાન સેવાઓનો લાભ લઇ શકે તે માટે સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે.

Most Popular

To Top