National

એપ્રિલમાં અષાઢ જેવું વાતાવરણ, દિલ્હીમાં કમોસમી મુશળધાર વરસાદે લોકોની મુશ્કેલી વધારી

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં (Delhi-NCR) સોમવાર સાંજથી શરૂ થયેલો વરસાદ (Rain) મંગળવાર સવાર સુધી ચાલુ રહ્યો હતો. ભારે પવન સાથે મુશળધાર વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ઘણા વિસ્તારોમાં ટ્રાફિકને અસર થઈ હતી. IMDના અધિકારી સોમા સેને જણાવ્યું છે કે પૂર્વ ઈરાનથી સક્રિય વેસ્ટ ડિસ્ટર્બન્સના (active waste disturbance) કારણે પશ્ચિમ રાજસ્થાન પર નિમ્ન સ્તરનું સર્ક્યુલેશન બની રહ્યું છે. આજે તેમની ક્રિયાપ્રતિક્રિયાને કારણે, ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં તીવ્ર વાવાઝોડાની ગતિવિધિઓ જોવા મળી શકે છે. આજે દિલ્હીમાં વાવાઝોડાની ગતિવિધિઓ અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદ બાદ લોકોની મુશ્કેલી વધી, જુઓ વીડિયો
તમને જણાવી દઈએ કે મંગળવારે સવારે દિલ્હી-એનસીઆર (નેશનલ કેપિટલ રિજન)ના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે સવારના સમયે મુસાફરોને અસુવિધાઓ ઊભી થઈ હતી. હવામાન વિભાગે જણાવ્યું કે દિલ્હીના ઘણા ભાગો અને ગાઝિયાબાદ સહિત આસપાસના વિસ્તારોમાં મંગળવારે વહેલી સવારે વાવાઝોડા સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદ બાદ દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા જોવા મળ્યા હતા.

ભારતીય હવામાન વિભાગે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ તીવ્રતાના વરસાદની આગાહી કરી છે. વિભાગે કહ્યું છે કે “આખી દિલ્હી અને એનસીઆર, ગન્નૌર, મેહમ, તોશામ, રોહતક, ભિવાની (હરિયાણા) બારોટ, શિકારપુર, ખુર્જા (યુપી) ના આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ થવાની સંભાવના છે”. તેમજ ભારે પવન અને ગાજવીજ સાથે ફરી એક વાર વરસાદ પડી શકે છે.

IMDના જણાવ્યા અનુસાર કિથોર, ગર્હમુક્તેશ્વર, પિલાખુઆ, હાપુડ, ગુલાવતી, સિયાના, સિકંદરાબાદ, બુલંદશહર, જહાંગીરાબાદ, અનુપશહર, બહજોઈ, પહાસુ, દેબઈ, નરોરા, ગભના, સહસવાન, જટ્ટારી, અતરૌલી, ખેર, અલીગંજમાં પણ વરસાદની સંભાવના છે. આ સાથે જ નંદગાંવ, ઇગલાસ, સિકન્દ્રા રાવ, બરસાના, રાય, હાથરસ, મથુરા (યુપી) અને ડીગ રાજસ્થાન માં પણ વરસાદ થવાની સંભાવના છે.

આ ગાઈડલાઈન્સને ફોલો કરો
IMD એ લોકોને ટ્રાફિક એડવાઈઝરીનું પાલન કરવાનું પણ સૂચન કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે “ઘરમાં રહો, બારીઓ અને દરવાજા બંધ રાખો અને શક્ય હોય તો મુસાફરી કરવાનું ટાળો. સુરક્ષિત આશ્રય લો, ઝાડ નીચે આશ્રય ન લો” અને કોંક્રિટ ફ્લોર પર સૂશો નહીં અને કોંક્રિટની દિવાલો સામે ઊભા રહેશો નહીં.”

દિલ્હી-એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ, કરા અને વીજળી પડવાની સંભાવના છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. વરસાદના કારણે ટ્રાફિક જામ અને લપસણો રસ્તાઓ લોકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. કરા ખુલ્લા વિસ્તારોમાં લોકો અને પશુઓને ઇજા પહોંચાડી શકે છે.

Most Popular

To Top