Gujarat

અતિભારે વરસાદની આગાહીને પગલે ગુજરાતમાં NDRFની 9 અને SDRFની 1 ટીમ તૈનાત

ગાંધીનગર: (Gandhinagar) કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતમાં (Gujarat) આગામી સમયમાં ભારે વરસાદની (Rain) સંભાવના વ્યક્ત કરી છે. એટલું જ નહિ તા. ૭ થી ૧૦ જુલાઇ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ દર્શાવી છે. જેના પગલે રાજય સરકાર દ્વ્રારા સંભવિત પરિસ્થિતિને પહોચી વળવા તૈયારીઓ કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણીના પગલે બચાવ અને રાહતના આગોતરા પગલાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સમીક્ષા કરી હતી.

  • રાજ્યમાં NDRFની 9 અને SDRFની 1 ટીમ તૈનાત કરાઈ
  • રાજ્યના 206 જળાશયોમાં 1.89 લાખ MCFT પાણીનો સંગ્રહ, 3 જળાશય એલર્ટ પર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્ય સરકારના અને જિલ્લાઓના તંત્રએ જે બચાવ – રાહત અંગે લેવામાં આવેલા આગોતરા પગલાં અંગે સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી. રાહત કમિશનરે બેઠકમાં વિગતો આપતાં કહ્યું કે, ગત ૨૪ કલાક દરમ્યાન રાજયમાં ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા તાલુકામાં ૧૬૮ મી.મી અને કોડીનાર તાલુકામાં ૧૫૯ મી.મી વરસાદ નોઘાયેલ છે. દેવભુમિ ઘ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ૧૫૩ મી.મી, જુનાગઢના માંગરોળ તાલુકામાં ૧૧૯ મી.મી અને મહિસાગરના કડાણા તાલુકામાં ૧૪૫ મી.મી વરસાદ જેટલો ભારે વરસાદ નોંઘાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ વઘુમાં તા.૦૭/૦૭/૨૦૨૨ થી તા.૧૦/૦૭/૨૦૨૨ સુઘી ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે.

ગીર સોમનાથ, જુનાગઢ ,દેવભુમી ઘ્વારાકા, સુરત, નવસારી, વલસાડ,પોરબંદર વિગેરે જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદ સંબંઘે ડીઝાસ્ટર પ્રિપેડનેસ અંગે મુખ્યમંત્રીએ તલસ્પર્શી સમીક્ષા કરીને આગામી સમયમાં રાહત બચાવ કામગીરી માટે એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ ની ટીમ સંબંઘિત જિલ્લાઓમાં મોકલવા માટે જરૂરી સુચનાઓ આપી હતી. હાલ રાજયમાં NDRF ની 9 ટીમો તૈનાત છે તેમાંથી ગીર સોમનાથમાં-1, નવસારી-1, બનાસકાંઠા-1, રાજકોટ-2, વલસાડ-1, સુરત-1 ,ભાવનગર-1 અને કચ્છમાં-1 NDRF ની ટીમો ડીપ્લોય કરવામાં આવેલી છે. એસ.ડી.આર.એફ ની 1 ટીમ પોરબંદર જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવેલ છે તેની પણ વિગતો બેઠકમાં આપવામાં આવી હતી.

મુખ્યમંત્રી પટેલે રાજયમાં હાલ સિચાઇ તેમજ પીવાના પાણી સંબંઘે ૫રીસ્થિતિ અન્વયે કરેલી સમીક્ષામાં જણાવાયું હતું કે, હાલ સરદાર સરોવર જળાશયમાં ૧૪૩૯૧૯ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. તે કુલ સંગ્રહ શકિતના ૪૩.૦૮ % છે એટલું જ નહિ, રાજયનાં ૨૦૬ જળાશયોમાં ૧,૮૯,૩૪૫ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૩૩.૯૨% છે.
હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર 01 જળાશય, એલર્ટ ૫ર 01 જળાશય તેમજ વોર્નીગ ૫ર 01 જળાશય છે. રાજયમાં હાલના ચોમાસુ અન્વયે ચાલુ વર્ષે અંદાજીત ૩૦,૨૦,૬૧૬ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૦૪/૦૭/૨૦૨૨ સુધીમાં થયેલ છે. તેની વિગતો કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ આપી હતી. ગુજરાત પ્રદેશના હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ આગામી દિવસોમાં જે વિસ્તારોમાં વધુ વરસાદની સંભાવનાઓ છે તેની પણ વિગતો પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી.

Most Popular

To Top