Business

દરિયા કાંઠે નિર્માણ પામેલા મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સ બિપોરજોયનાં સંકટ સમયે આશીર્વાદરૂપ બન્યા

ગાંધીનગરઃ (Gandhinagar) કુદરતી આફતો સામેની સજ્જતા અને કટિબદ્ધતામાં ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ હંમેશાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં 1600 કિમી લાંબો દરિયાકિનારો હોવાના કારણે, રાજ્યના દરિયાકિનારાના વિસ્તારોમાં અવારનવાર વાવાઝોડાંઓની અસર રહેતી હોય છે. આવા વાવાઝોડાંઓની સ્થિતિને પહોંચી વળવા માટે દરિયાકિનારાના વિસ્તારોમાં 76 અદ્યતન સુવિધાઓ ધરાવતા મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સનું (Multipurpose Cyclone Shelters) નિર્માણ કર્યું છે.

  • બિપોરજોયનું સંકટઃ દરિયા કાંઠે નિર્માણ પામેલા 76 મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સ આજે પ્રજા માટે આશીર્વાદરૂપ બન્યા
  • જ્યારે વાવાઝોડાના પગલે રાજ્યભરમાં તાત્કાલિક ધોરણે 1521 શેલ્ટર હોમ્સ ઊભા કરાયા છે
  • સંભવિત વાવાઝોડાંની અસર હેઠળ આવે તેવા રાજ્યના 8 જિલ્લાઓમાંથી 94 હજારથી વધુ લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે

આજે રાજ્ય જ્યારે બિપરજોય વાવાઝોડાંની સંભવિત અસરો સામે લડવા માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે આ શેલ્ટર્સ અસરગ્રસ્ત લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. આ 76 મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સમાં શેલ્ટર જૂનાગઢ ખાતે 25, ગીર સોમનાથ ખાતે 29, પોરબંદરમાં 4, દેવભૂમિ દ્વારકામાં 4, કચ્છમાં 4, અમરેલીમાં 2, જામનગરમાં 1, નવસારીમાં 1, ભરૂચમાં 5 અને અમદાવાદમાં 1 શેલ્ટરનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, બિપરજોય વાવાઝોડાંને પગલે કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારના આ 8 જિલ્લાઓમાં 1521 શેલ્ટર હોમ્સ તાત્કાલિક ધોરણે ઊભાં કરવામાં આવ્યા છે, જેમાં જૂનાગઢમાં 196, કચ્છમાં 173, જામનગરમાં 56, પોરબંદરમાં 140, દેવભૂમિ દ્વારકામાં 182, ગિર સોમનાથમાં 507, મોરબીમાં 31 અને રાજકોટમાં 236 શેલ્ટર હોમ્સ ઊભા કરવામાં આવ્યા છે. મેડિકલ ટીમ દ્વારા આ શેલ્ટર હોમ્સની નિયમિત વિઝિટ કરવામાં આવી રહી છે, અને ત્યાં સ્થળાંતરિત કરાયેલા લોકોની આ ટીમ દ્વારા યોગ્ય આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. સંભવિત વાવાઝોડુ ત્રાટકે ત્યારે પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. આ માટે રાજ્ય સરકારે વાવાઝોડાંથી ભયગ્રસ્ત વિસ્તારોમાં વસતા લોકોના સ્થળાંતર પર ભાર મૂક્યો છે, અને 8 જિલ્લાઓમાંથી અત્યારસુધીમાં કુલ 94 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે.

8930 બાળકો, 4697 વૃદ્ધો અને 1131 સગર્ભા મહિલાઓનું સ્થળાંતર કરાયું
રાજ્યમાં અત્યાર સુધીમાં સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા કચ્છમાં 46,823, જૂનાગઢમાં 4864, જામનગરમાં 9942, પોરબંદરમાં 4379, દેવભૂમિ દ્વારકામાં 10,749, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 9243 અને રાજકોટમાં 6822 એમ કુલ 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 94,427 જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં 8930 બાળકો, 4697 વૃદ્ધો અને 1131 સગર્ભા મહિલાઓનો સમાવેશ થાય છે.

Most Popular

To Top