Comments

‘‘શિક્ષણ: હેરિટેજ સાઈટ ન બનાવતા!’’

સર્વનાશની સ્થિતિમાં પણ જે ટકી જાય છે તે વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટી) એવા સુવાક્યની સામે વર્તમાનમાં યુનિવર્સિટીની સ્થિતિ ‘‘અત્ર લુપ્તા સરસ્વતી’’ (સરસ્વતી અહીં લુપ્ત થઈ છે)માં પહોંચી છે. ભારતમાં શૈક્ષણિક ક્ષેત્રમાં ‘‘તક્ષશિલા અને નાલંદા’’ની પરંપરા યાદ કરવામાં આવે છે. ઈતિહાસ મુજબ તો વિદેશી આક્રમણો અને વૈચારિક હુમલાઓએ આપણી આ જ્ઞાનશાળાઓનો નાશ કર્યો પણ પ્રશ્ન તક્ષશિલા અને નાલંદાના વિનાશનો નથી. એ તો વિદેશી આક્રમણખોરોએ તોડી પણ આપણી સ્વતંત્ર ભારતની યુનિવર્સિટી કોણ તોડી રહ્યું છે! યાદ રહે જ્ઞાનને આક્રમણખોરો લૂંટી શકતા નથી! જ્ઞાનનો નાશ તો લોભ-લાલચ દ્વારા થાય છે. વિદ્યાઓ રૂપિયાના શરણે જાય પછી તે ગુલામ બને છે અને જે ભારતમાં ‘‘વિદ્યા વેચાય નહિં વહેંચાય’’ એવો આદર્શ હતો ત્યાં અત્યારે તો ઠેરઠેર શિક્ષણની હાટડીઓ ખૂલી ગઈ છે.

સરકારે તાજેતરમાં જ વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે કામ કરતી કોલેજોને ‘‘હેરીટેજ’’ નો દરજ્જો જોહેર કર્યો છે. જો કે સંસ્થાઓ ‘પુરાતન’ હોઈ શકે, જ્ઞાન તો હંમેશા નવું જ હોય. શિક્ષણ કદી ‘‘હેરીટેજ’’ હોય જ નહિં. એક ચિંતકે કહ્યું છે કે ‘‘તમે એક જ નદીમાં બે વાર સ્નાન કરી શકતા નથી.’’ પાણીની જેમ જ્ઞાન તો સતત વહેતું રહે છે. એટલે કોલેજો ભલે હેરીટેજનો દરજ્જો પામે, પણ એમાં શિક્ષણને વહેતું રાખવાનું છે અને વર્તમાનમાં ખાનગીકરણની જે હવા ચાલી છે તેમાં ડર એ જ છે કે ઉચ્ચ શિક્ષણની પ્રતિષ્ઠિત કોલેજો અને યનિવર્સિટીઓ ખરેખર ‘‘હેરીટેજ’’ ન થઈ જાય! વિદ્યાલયો ખંડેર ન બની જાય!

ગયા લેખમાં જ આપણે ચિંતા વ્યક્ત કરી હતી કે ગુજરાતમાં પહેલા ખાનગી યુનિવર્સિટીઓ શરૂ થઈ અને હવે ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોનું આ યુનિવર્સિટીઓ સાથે જોડાણ શરૂ થઈ ચૂક્યું છે. રાજ્યની ત્રણસો કોલેજોના અધ્યાપકોએ કાળી પટ્ટી ધારણ કરી તેનો વિરોધ નોંધાવ્યો. અધ્યાપકોના આ વિરોધની સમાચાર ચેનલોએ નોંધ લીધી કે સમાચારપત્રોએ સમાચાર છાપ્યા, છતાં સમાજના સ્થાપિત, પ્રતિષ્ઠિત લોકો, શિક્ષણવિદોના પેટનું પાણી નથી હલ્યું.

સરકારે આપેલી બાંયેધરી મુજબ હાલ ગ્રાન્ટ ઈન એઈડ કોલેજો ખાનગી યુનિ. સાથે જોડાશે તો આ કોલેજોના ગ્રાન્ટેડ અધ્યાપકોના પગારમાં કોઈ ફેર પડવાનો નથી. હાલમાં જેઓ કાયમી નોકરી કરે છે તેમને ટૂંકા ગાળામાં જોખમ નથી. મૂળ તો આ મુદ્દો વિદ્યાર્થીઓનો છે. આવનારી પેઢીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓનો છે. આ ક્રમશ: ખાનગીકરણમાં અધ્યાપકો જેમ જેમ છૂટા થતા જશે, ઓછી ફી ના વિદ્યાર્થીઓ આગળ જતા જશે તેમ તેમ અધ્યાપકોની નવી જગ્યાઓ ખાનગી થતી જશે. વિદ્યાર્થીઓની નવી બેચ નવી ફી ભરતી થઈ જશે.

યાદ રહે અત્યારે પણ મૂળ તો ટ્રસ્ટની કોલેજ છે. અધ્યાપકો એ ટ્રસ્ટના કર્મચારીઓ છે. સરકાર અધ્યાપકોના પગારની ગ્રાન્ટ ટ્રસ્ટને આપે છે. સરકાર આ નીતિમાં ફેરફાર કરી શકે છે. એટલે આ આખો મુદ્દો વર્તમાન અધ્યાપકોનો નથી. આ આખો મુદ્દો સમાજનો છે. ગુજરાતમાં શિક્ષણની ભવિષ્યની સ્થિતિનો છે. આ મુદ્દો ભાજપ કોંગ્રેસનો પણ નથી અને ખાનગી શિક્ષણ સંસ્થાઓ બન્ને પક્ષના આગેવાનો ધરાવે છે. પણ વૈચારિક આધાર મુજબ જોઈએ તો કોંગ્રેસ કરતાં પણ શિક્ષણના ખાનગીકરણનો વિરોધ ભાજપે કરવો જોઈએ. કારણ ભાજપ ભારતીય સંસ્કૃતિની દુહાઈ દેનારો પક્ષ છે.

જો એક પછી એક તમામ સરકારી કોલેજો અને યુનિવર્સિટીઓ ખાનગી સંચાલકોને હસ્તક થઈ જશે તો શિક્ષણનું વેપારીકરણ થશે. ફી વધશે. શોષણ વધશે. જ્ઞાનકૌશલ ઘટશે અને મોંઘવારી ભાજપ કોંગ્રેસને સમાન નડે એવી રીતે આવનારા સમયમાં આ જ ખાનગી યુનિ. અને કોલેજો ફી વસુલશે. તક્ષશિલા અને નાલંદાનો વિનાશ તો બીજાના હાથે થયો હશે, પણ આપણી યુનિવર્સિટીઓનો વિનાશ તો આપણે જ કરી રહ્યા છીએ. સુરત અમદાવાદનાં પ્રતિષ્ઠિત મંડળો પહેલાં ખાનગી યુનિવર્સિટીની સ્થાપના કરે છે. પછી પોતાની જ ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોમાં જોડી દે છે. આ જોડાણ માટે કાયદાકીય સરળતા અધિકારીઓ કરી આપે છે.

માટે ખરી જાગ્રતિ ચુંટાયેલા નેતાઓએ રાખવી પડશે અને આ નેતાઓ સુધી સમાજના આગેવાનો સાહિત્યકારો અને પક્ષના અધ્યાપકો શિક્ષકોએ વાત પહોંચાડવામાં આવે નહિ તો આવનારા સમયમાં ઉચ્ચ શિક્ષણનું ચિત્ર સાવ જ બદલાઈ જશે! અભિજ્ઞાન શાંકુતલમાં આશ્રમમાં પ્રવેશતા રાજાને કહેવામાં આવતું હતું કે ‘‘રાજા તમારાં શસ્ત્રો અન ઘરેણાં ઉતારીને આવો!’’ જ્યાં રાજાઓ પોતાની સત્તા અને અહંકાર બહાર ઉતારીને જ્ઞાનના વિસ્તારમાં પ્રવેશ કરતો હતો. આજે રાજા  ન પ્રવેશે ત્યાં વેપારીઓ પ્રવેશી ગયા છે. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top