National

ઉતરાખંડમાં ભારે વરસાદનાં કારણે બદ્રીનાથ યાત્રા અટકાવી દેવાઈ

ઉત્તરાખંડ(Uttarakhand): ઉત્તરાખંડમાં વરસાદ(Rain)ને કારણે આફત સર્જાઈ છે. ચમોલી(Chamoli) જિલ્લામાં નેશનલ હાઈવે(National Highway)નો એક ભાગ ધોવાઈ જતાં બદ્રીનાથ યાત્રા રોકી(bardinath yatra stop) દેવાઈ છે. જ્યારે ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી હાઈવે 12 કલાકથી વધુ સમયથી બંધ છે. અહીં વારંવાર ભૂસ્ખલન થઈ રહ્યું છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં ઓછામાં ઓછા 5 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. 30 જુલાઈના રોજ વરસાદની ચેતવણી વિશે વાત કરતા ઝોનલ હવામાન કેન્દ્રએ દેહરાદૂન, ચમોલી, બાગેશ્વર, ટિહરી અને ઉત્તરકાશીમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. 31 જુલાઈના રોજ રાજયના ઘણા ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે, ગઈકાલે 29 જુલાઈના રોજ ચમોલી અને ઉત્તરકાશીમાં ભારે વરસાદ પડ્યો હતો, જ્યારે દહેરાદૂનમાં ગઈકાલે રાતથી વરસાદ પડી રહ્યો છે અને બાગેશ્વરમાં પણ વરસાદ પડી રહ્યો છે.

બદ્રીનાથ નેશનલ હાઇવેને નુકશાન થયા યાત્રીઓ અટવાયા
ભારે વરસાદને કારણે લામ્બાગઢ નજીક બદ્રીનાથ નેશનલ હાઇવેને લગભગ 10 મીટર સુધી નુકશાન થયું હતું, જેના કારણે બદ્રીનાથ ધામ જનારા અને પરત ફરતા યાત્રીઓ રસ્તામાં જ અટવાઈ ગયા હતા. કહેવાઈ રહ્યું છે કે આજે સાંજ સુધીમાં રસ્તો ખુલ્લો થઈ શકે છે. આવી સ્થિતિમાં યાત્રિકો જીવ જોખમમાં મુકીને બદ્રીનાથ ધામ જવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે જંગલમાંથી ઉભો ચઢાણ પાર કરીને પ્રશાસન સામે નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે.

ગંગોત્રી હાઇવે પર ભૂસ્ખલનનાં પગલે મુસાફરી ઠપ
પોલીસ પ્રશાસને યાત્રીઓને જોશીમઠ, પાંડુકેશ્વર જેવા સુરક્ષિત સ્થળોએ રોક્યા છે, જયારે બદ્રીનાથ ધામથી ઋષિકેશ જઈ રહેલા તીર્થયાત્રીઓને ધામમાં પરત મોકલવામાં આવ્યા છે. ઉત્તરકાશીની લાઈફ લાઈન ગંગોત્રી હાઇવે બંદરકોટ પાસે છેલ્લા ત્રણ દિવસથી ભૂસ્ખલન થઈ રહ્યું છે. અવારનવાર બંધ કરવામાં આવતો આ હાઇવે ગઇકાલ સાંજથી જ ઠપ થઇ ગયો છે. મોટી સંખ્યામાં મુસાફરો ફસાયેલા છે અને પ્રશાસને પહાડોમાં તિરાડ જોઈને દરેકને વૈકલ્પિક માર્ગે 10 કિમી પાછા જવાની સલાહ આપી છે. આ માર્ગે વધારાના બે કલાક મુસાફરી કરવી પડે છે. ભારે વરસાદને કારણે ગંગોત્રી હાઈવેના 200 કિલોમીટરના ભાગમાં આ જગ્યાએ લેન્ડસ્લાઈડ ઝોન સક્રિય થઈ ગયો છે. આ ઉપરાંત ત્રણ જગ્યાએ ભૂસ્ખલનની સ્થિતિ છે.

ધારચુલા ભૂસ્ખલનની ચપેટમાં આવ્યું ઘર
પિથોરાગઢના ધારચુલામાં આકાશી દુર્ઘટના ઘટી હતી. તવાઘાટ રોડ પર શુક્રવારે પણ ભારે ભૂસ્ખલન ચાલુ રહ્યું હતું. ટેકરી પરથી મોટા પથ્થરો પડ્યા હતા. એક બાઇક ચાલક પણ પથ્થર સાથે અથડાતા બચી ગયો હતો. આ વિસ્તાર ધારચુલા માર્કેટની ઉપર છે. જેના કારણે સતત ભૂસ્ખલનની ચપેટમાં એક ઘર પણ આવી ગયું હતું. જેને લઈને ધારચુલા હેડકવાર્ટરમાં અરાજકતાનો માહોલ છે. હાલ સ્થાનિક પોલીસ સતત લોકોને એલર્ટ કરી રહી છે. એક તરફ ચમોલીના લામ્બાગઢમાં પહાડીમાં તિરાડો પડી રહી છે, ગંગોત્રી હાઈવે પર સતત પહાડ પરથી કાટમાળ પડી રહ્યો છે અને નૈનીતાલ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં તમામ પ્રવાસીઓ અને તીર્થયાત્રીઓને પહાડોમાં મુસાફરી બે દિવસ માટે સ્થિગિત કરવા અથવા સાવધાની સાથે રસ્તા પર જવાની સૂચના આપવામાં આવી છે.

Most Popular

To Top