SURAT

સુરત: તાવમાં સપડાયેલી 8 મહિનાની બાળકીને તબીબે ઈન્જેક્શન મુક્યું: બે દિવસ રિબાઈ, આખરે દમ તોડ્યો

સુરત(Surat): શહેરના ગોડાદરા વિસ્તારની 8 મહિનાની બાળકીનું રહસ્યમય મોત (Death) થયું છે. બિમાર બાળકીને ઈન્જેક્શન (Injection) મુકવામાં આવ્યા બાદ તેનું મોત થયું છે. બાળકીના થાપાનો ભાગ કાળો પડી ગયો હોય ઈન્જેક્શનની આડઅસરના લીધે ગેંગ્રીન (Gangrene) થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મૃત બાળકીના પરિવારે જણાવ્યું હતું કે 8 મહિનાની દીકરી વેદાંસી ને 6 દિવસથી તાવ આવતો હતો. ઘર નજીકના ડોક્ટરોએ દવા આપતા સાજી થઈ ગઈ હતી. જોકે ફરી તબિયત બગડતા ડોક્ટર પાસે લઈ ગયા હતા. જ્યાં તબીબે ઇન્જેક્શન આપ્યું હતું.ત્યાર બાદ વેદાંસીના થાપા પર કાળા ચાંઠા પડી ગયા હતા તેથી તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાંના તબીબોએ દીકરીને મૃત જાહેર છે. માસુમ દીકરીના મોતના સમાચાર સાંભળી પરિવાર આઘાતમાં સરી પડ્યું છે.

પરિવારે જણાવ્યું હતું કે તેઓ તેલંગણા ના રહેવાસી છે. ગોડાદરાના શ્રીજી નગરમાં પત્ની અને બે માસુમ દીકરીઓ સાથે રહે છે. લુમ્સમાં કારીગર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 6 દિવસ પહેલા નાની 8 માસની દીકરી ને અચાનક તાવ આવી જતા ઘર નજીકના ડોક્ટર પાસે લઈ ગયા હતા. જ્યાં દવા આપી ડોક્ટરે ઘરે મોકલી આપ્યા હતા. બે દિવસ દવા લીધા બાદ માસુમ વેદાંસી સાજી થઈ ગઈ હતી. જોકે ત્યારબાદ ફરી બીમારીએ ઉથલો મારતા તેઓ એકતા નગરમાં ઘરમાં જ ક્લિનિક ચલાવતા ડૉક્ટર પાસે લઈ ગયા હતા.

વધુમાં જણાવ્યું હતું કે બે દિવસ પહેલા ડોક્ટરે ઇન્જેક્શન આપી ઘરે મોકલી આપ્યા હતા. વેદાંસી ને ધીરે ધીરે થાપા પર કાળા ચાંઠા પડી ગયા હતા. ડોક્ટર પાસે લઈ ગયા તો સારું થઈ જશે એમ કહી રવાના કરી દીધા હતા. આજે અચાનક માસુમ વેદાંસી ની તબિયત બગડતા ડોક્ટરે મોટી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી.

સિવિલ લઈ આવતા માસુમ વેદાંસીને મૃત જાહેર કરવામાં આવી હતી. આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બસ અમને ન્યાય મળે એ માટે લડીશું, અમારી દીકરીના મોત નું કારણ જાણવા પોસ્ટ મોર્ટમ કરાવીશું અને જવાબદારને સજા કરાવીશું.

Most Popular

To Top