Dakshin Gujarat

ડાંગના ઘનઘોર જંગલો અને ચોતરફ ડુંગરોની ખીણમાં ધબકતા વઘઈના આ ગામની દિલચસ્પ વાત

ડાંગ જિલ્લાના (Dang District) વઘઇ તાલુકામાં સમાવિષ્ટ દરાપાડા ગામની વાત કરીએ તો આ ગામ દાપૂરના ઘનઘોર જંગલોની ખીણમાં સમથળ ભૂમિ પર ધબકતું હોવાના પગલે અહીંનો નજારો પણ કંઈક અલગ જ લાગે છે. ચોમાસાની (Monsoon) ઋતુમાં ચોતરફ ઘટાદાર જંગલો અને હરિયાળી છવાઈ રહેતાં આ ગામ કુદરતી સંપદામાં જાણે વિલુપ્ત થઈ જવાના દૃશ્યો ખડા કરે છે. દરાપાડા ગામ જંગલો (Jungle) અને ડુંગરોની ખીણમાં આવેલું હોવાના પગલે આ ગામના નામની લોકવાયકા પણ જંગલ અને ખીણ પરથી પડી હોવાનું જણાઈ આવે છે. દાપૂરના જંગલના ખીણમાં ધબકતું દરાપાડા ગામ જેના નામકરણની એક લોકવાયકા વડીલો પાસેથી સાંભળવા મળે છે. દરાપાડા ગામનું નામકરણ ‘દરા એટલે ખીણમાં આવેલ સમથળ ભૂમિ’ અને ‘પાડા એટલે થોડાક લોકોના વસવાટ માટેનું ફળિયું’ પરથી થયું હોવાનું વડીલોના લોકમુખે સાંભળવા મળે છે. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ અને બારીપાડા તેમજ નડગચોંડ વિસ્તાર નજીકમાં પ્રકૃતિના ખોળે ખીણમાં સમથળ ભૂમિ પર દરાપાડા નામનું નાનકડું ગામ (Village) આવેલું છે.

  • દરાપાડા ગામનું નામકરણ ‘દરા એટલે ખીણમાં આવેલ સમથળ ભૂમિ’ અને ‘પાડા એટલે થોડાક લોકોના વસવાટ માટેનું ફળિયું’ પરથી થયું હોવાની લોકવાયકા
  • અંતરિયાળ વિસ્તારમાં આવેલું દરાપાડા ગામ પાણીની સુવિધાઓથી સમૃદ્ધ
  • સૌપ્રથમ ભીલ સમુદાયના લોકોએ વસવાટ શરૂ કર્યો, બાદ વારલી, કુનબી અને કોંકણી જ્ઞાતિના લોકો આવીને વસ્યા

એક લોકવાયકા મુજબ વર્ષો અગાઉ ડાંગ જિલ્લામાંથી જ અમુક આદિવાસી સમુદાયના લોકો જંગલો અને ડુંગરોને ખૂંદતા ખૂંદતા દાપૂરના જંગલમાં આવી ગયા હતા. અહીં દાપૂરના ઘનઘોર જંગલમાં ડુંગરોની ખીણમાં સમથળ ભૂમિનો વિસ્તાર પાણીથી પણ સમૃદ્ધ હોવાથી આ આદિવાસી સમુદાયને આ જગ્યા પસંદ આવી જતાં અને રહેવાલાયક તથા ખેતીલાયક જણાતાં તેમણે અહીં કુટુંબ કબીલા સાથે કાયમી વસવાટ શરૂ કર્યો હતો. દરાપાડા ગામની ખીણમાં સૌપ્રથમ ભીલ સમુદાયના લોકોએ વસવાટ શરૂ કર્યો હોવાનું વડીલો જણાવે છે. બાદ ધીરે ધીરે આ ગામમાં વારલી, કુનબી અને કોંકણી જ્ઞાતિના લોકોએ આવીને કુટુંબ કબીલા સાથે વસવાટ કર્યો હતો. દરાપાડા ગામના લોકોના શિક્ષણ ક્ષેત્ર વિશેની વાત કરીએ તો આ ગામમાં મોટા ભાગના પુરુષો સાક્ષર જોવા મળે છે. જ્યારે સ્ત્રીઓ પણ શિક્ષિત જાણવા મળે છે. અહીં પુરુષોનો સાક્ષરતા દર 90.95 ટકા છે. જ્યારે સ્ત્રીઓનો 70.50 ટકા જેટલો સાક્ષરતા દર છે. આ ગામ જંગલ વિસ્તારમાં હોવા છતાં વીજળીની સારી સુવિધા છે. આ ગામમાં દક્ષિણ ગુજરાત વિ.પ્રા.લિ. દ્વારા 24 કલાક વીજળી આપવામાં આવે છે. ગામમાં મહિલાઓ દ્વારા સખીમંડળો પણ કાર્યરત કરાયા છે. આ સખીમંડળો પૈસાની બચત કરી સુખદુઃખના સમયે જરૂરિયાતમંદ લોકોને વ્યાજ ઉપર નાણાં આપી મદદ કરે છે. વળી, દરાપાડા ગામમાં સંપ સારો હોવાથી ગ્રામજનો નવરાત્રિ, ગણેશ ઉત્સવ, જમાષ્ટમી, હોળી, ડુંગરદેવ, તેરા, નાગપંચમી, રક્ષાબંધન, મકરસંક્રાંતિ, દિવાળી, નાતાલ જેવા તહેવારોમાં સાથે મળી શ્રદ્ધા તથા ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે.

આંતરિક માર્ગમાં ડામરનું નામોનિશાન ભુંસાઈ જતાં વાહનચાલકોને હાલાકી
દરાપાડા ગામની પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો આ ગામ બારીપાડાથી નડગચોંડને સાંકળતા આંતરરાજ્ય ધોરી માર્ગથી ત્રણ કિલોમીટર જંગલ વિસ્તારમાં આવેલું હોવા છતાં અહીંના ગ્રામજનોને મુખ્ય મથક કે દવાખાને જવા માટે ઉનાળા અને શિયાળા કે ચોમાસાની ઋતુમાં સરળતાવાળી સગવડ જોવા મળી રહે છે. આ ગામનો ત્રણ કિલોમીટરનો આંતરિક માર્ગ જિલ્લા પંચાયત માર્ગ-મકાન વિભાગની ગ્રાંટમાંથી નવીનીકરણ કરવામાં આવ્યો હતો. પરંતુ આ માર્ગ બનાવવા ડાંગ જિલ્લા પંચાયત દ્વારા ઘોર દુર્લક્ષતા સેવાતાં હાલમાં જર્જરિત બની ગયો છે. સાથે હાલમાં આ દરાપાડા ગામના આંતરિક માર્ગમાં ડામરનું નામોનિશાન ભુંસાઈ જતાં ગામના વાહનચાલકોને હાલાકી વેઠવાની નોબત ઊભી થઈ છે. દરાપાડા ગામમાં ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા દરેક ફળિયામાં પેવર બ્લોકના માર્ગો બનાવવામાં આવ્યા છે.

જે પેવર બ્લોક માર્ગોની હાલત એકંદરે ખૂબ જ સારી છે. જ્યારે અમુક જગ્યાએ હજુ પણ પેવર બ્લોક માર્ગોની જરૂરિયાત લાગી રહી છે. સાથે દરાપાડા ગામે ફળિયામાં સરપંચ દ્વારા ગટરલાઈનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ગામમાં પાણીની સુવિધા વિશે ચર્ચા કરીએ તો ગામને જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યું છે. જેથી ઘરદીઠ નળ કનેક્શનની સુવિધા પૂરી પાડી ઘરે ઘરે પાણી પહોંચાડવા 7 મોટી ટાંકી પણ બનાવવામાં આવી છે. ગામના નજીકમાં પાણી સંગ્રહ માટે ચેકડેમ હોવાથી આ ગામ પાણીની સુવિધાઓથી સમૃદ્ધ જોવા મળે છે. આ ગામમાં બારેમાસ બોરમાંથી પાણી નીકળે છે. જેથી ઉનાળાની ઋતુમાં આ ગામના લોકો સહિત ઢોરઢાંખર રાહત અનુભવે છે. દરાપાડા ગામે ચોમાસા, ઉનાળો અને શિયાળામાં પણ પાણીના સ્ત્રોત મળી રહેતાં અહીં ખેડૂતો શિયાળુ અને ચોમાસું પાકોની ખેતી થકી સમૃદ્ધ બન્યા છે.

દરાપાડા ગામના સીમાડે અંકિત કરાયેલી વાઘદેવની પ્રતિમા આદિવાસીઓ માટે આસ્થાનું પ્રતીક
દરાપાડા ગામના સીમાડે વાઘદેવની પ્રતિમાઓનું સ્થાપન કરાયું છે. જે આદિવાસીઓ માટે આસ્થાનું પ્રતીક છે. અહીં વાર-તહેવારે આ પ્રકૃતિના દેવી-દેવતાઓમાં વાઘદેવ, નાગદેવ, મોરદેવ, સૂર્યદેવ અને ચંદ્રદેવની પૂજા-અર્ચના કરવામાં આવે છે. વાઘ બારસના દિવસે ખાસ કરીને વડીલો અને ભગતો દ્વારા અહીં પૂજા-અર્ચના કરવામાં આવે છે. ગામની સમૃદ્ધિ કાયમ માટે જળવાઈ રહે તથા ગામ પર કોઈ આફત ન આવે એ માટે આ દેવી-દેવતાઓની પૂજા-અર્ચના કરી ગ્રામજનો દ્વારા વાર-તહેવારોમાં શ્રીફળ, ઈંડું, મરઘી અને બકરાંનો ભોગ પણ ચઢાવવામાં આવે છે.

ખેતી અને મજૂરી મુખ્ય વ્યવસાય
સિંચાઈની દૃષ્ટિએ ગામને અડીને નાના-મોટા ચાર ચેકડેમો અને સંગ્રહ તળાવ પણ બનાવવામાં આવ્યા છે. આ ચેકડેમોમાં ઉનાળાની ઋતુમાં પણ પાણીનો સંગ્રહ જોવા મળી રહે છે. આ ગામમાં ચોમાસાની અને શિયાળાની ઋતુ દરમિયાન ખેડૂતો દ્વારા ડાંગર, નાગલી, મગફળી, ઘઉં, શાકભાજી, કઠોળ વગેરે પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે. અમુક ખેડૂતોએ પાણીની સુવિધાઓ માટે સ્વ ખર્ચે ખેતરોમાં બોર અને કૂવા દ્વારા પણ પાણીની સુવિધા ઊભી કરી છે. આથી આ ગામના 100 ટકા લોકો ખેતીનો વ્યવસાય કરે છે. સાથે નજીકનાં સ્થળોએ ધંધા-રોજગાર અર્થે જાય છે. અમુક લોકો મહારાષ્ટ્રના સુરગાણા અને કલવણ તાલુકામાં દ્રાક્ષ તથા શાકભાજીની વાડીઓમાં મજૂરીકામ અર્થે જાય છે. અહીં મોટા ભાગના પરિવાર ચોમાસાની અને શિયાળુ ખેતી ઉપર નિર્ભર હોવાના પગલે ખેતી પર આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી તેમનો જીવનનિર્વાહ સારી રીતે કરી રહ્યા છે. દરાપાડા ગામે ચોમાસા અને શિયાળાની ઋતુમાં થતા ધાન્ય સહિત શાકભાજીના પાકોની ખેતીને પગલે હરિત ક્રાંતિનાં દૃશ્યો ઊભાં કરે છે. ગામના ખેડૂતો શિયાળાની ઋતુમાં ઘઉં, ડુંગળી, લસણ, મરચાં, રીંગણ, ચણા, વટાણા, મગ જેવા પાકોની ખેતી કરે છે. જ્યારે ચોમાસાની ઋતુમાં ડાંગર, નાગલી, અડદ, તુવેર, વરઈ, મગફળી સહિતના પાકોની ખેતી કરે છે. હાલમાં શિયાળામાં પણ દરાપાડા ગામ નજીકના ચેકડેમ પાણીથી છલોછલ ભરાઈ રહેવાના પગલે આ વિસ્તાર હરિતક્રાંતિ જેવું નિહાળવા મળે છે.

90 ટકા લોકો હિન્દુ ધર્મનું પાલન કરે છે
આ ગામમાં સો ટકા આદિવાસી લોકો વસવાટ કરે છે. જેઓ માત્ર ભીલ, વારલી, કુનબી અને કોંકણી જ્ઞાતિના છે. આ ગામના 90 ટકા લોકો હિન્દુ ધર્મનું પાલન કરે છે. જ્યારે જૂજ લોકો ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલા છે. આ ગામમાં હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. ગામમાં માળકરી, શેષરાવ મહારાજ, મોક્ષમાર્ગી સંપ્રદાયના અનુયાયીઓ પણ જોવા મળે છે. દરાપાડા ગામમાં ભક્તો દ્વારા નિર્માણ કરાયેલા હનુમાનજીના મંદિરે શનિવારે પૂજા-અર્ચના કરવામાં આવે છે. અને શ્રી શેષરાવ મહારાજ સહિત મોક્ષમાર્ગી સંપ્રદાયના ભક્તો પણ પૂજા-અર્ચના કરી પોતાના સનાતન હિન્દુ ધર્મનું પાલન કરે છે.

ગામની વસતી 600થી વધુ
દરાપાડા ગામની ચર્ચા કરીએ તો ગામની કુલ વસતી આશરે 600થી વધુ છે, જેમાં પુરુષોની સંખ્યા 300 છે. જ્યારે સ્ત્રીઓની સંખ્યા 300થી વધુ છે. આ ગામમાં 100થી વધુ કાચાં અને પાકાં ઘરો આવેલાં છે, સાથે 150થી વધુ નાનાં-મોટાં કુટુંબ આવેલાં છે. ગામમાં ફળિયાની કુલ સંખ્યા 4 છે. દરાપાડા ગામમાં નિશાળ ફળિયું, નીચલું ફળિયું, જાંબી ફળિયું અને પટેલ ફળિયું મળી કુલ ચાર ફળિયાં આવેલાં છે, જેમાં 150થી વધુ નાનાં-મોટાં કાચાં અને પાકાં મકાનો આવેલાં છે. દરાપાડા ગામમાં વર્ષોથી માત્ર ભીલ, કુનબી, કોંકણી અને વારલી જાતિના આદિવાસી લોકો વસવાટ કરે છે. આ ગામમાં ભોયે, ચૌધરી, લહરે, પવાર, વાઘમારે, દેશમુખ, સહારે, દોડકા, હુડકે અને તુંબડા અટકના લોકોનો સમાવિષ્ટ થયો છે.

સ્વચ્છ ભારતનું સપનું સાકાર
આરોગ્યની દૃષ્ટિએ આ ગામને નજીકમાં નડગચોંડ ગામે સબ સેન્ટર તથા શામગહાન ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર લાગે છે. પરંતુ શામગહાન સી.એચ.સી. હોસ્પિટલ 13 કિલોમીટર જેટલી દૂર હોવાથી ઇમરજન્સી બીમારી જેવા સમયે લોકો સંકટમાં મુકાઈ જાય છે. દરાપાડાના ગ્રામજનો દ્વારા ગામની વાર-તહેવારે સાફસફાઈ કરવામાં આવે છે. તથા પંચાયતે ગામમાં દરેક ઘરોમાં શૌચાલયની વ્યવસ્થા કરી આપી છે. અહીં દરેક ઘરમાં શૌચાલયો હોવાથી સ્વચ્છ ભારતનું સપનું સાકાર બનેલું નજરે પડે છે.

ભગતો કરે છે જડીબુટ્ટીથી રોગોનું નિદાન
દરાપાડા ગામમાં બે જેટલા ભગતો વિવિધ રોગોના નિદાન માટે જડીબુટ્ટી આપે છે. દરાપાડા ગામે ભગતોમાં ફુલુ રાયજી ગાંગોડા અને દેવરામભાઈ લાહને પવાર વારસાગત ભગતોની ધૂણી ધખાવી રહ્યા છે. બીમારી જેવા પ્રસંગે આ ભગતો જંગલમાંથી જડીબુટ્ટી લાવી અસાધ્ય રોગોનું નિદાન કરી સેવાની ધૂણી ધખાવી રહ્યા છે.

લોકોને ઘરઆંગણે જ રાહત દરનું અનાજ ઉપલબ્ધ થાય છે
દરાપાડા ગામમાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર પણ ઉપલબ્ધ હોવાના પગલે લોકોને ઘરઆંગણે અનાજ ઉપલબ્ધ થાય છે. દરાપાડા ગામે રાશનકાર્ડની દુકાન ઉપલબ્ધ હોવાના પગલે ગામ લોકોને અન્ય ગામમાં જવું પડતું નથી અને રેશનકાર્ડ પર ગામમાં જ સરકાર દ્વારા પહોંચાડવામાં આવતું અનાજ મળી રહે છે.

શિક્ષણની સુવિધા પણ ઉપલબ્ધ
દરાપાડા ગામ નાનકડું હોવાથી અહીં એક આંગણવાડી પણ કાર્યરત છે. પરંતુ આંગણવાડી માટે જગ્યાનો અભાવ હોવાના પગલે સાંકડરૂપ લાગી રહી છે. આ ગામમાં આંગણવાડી વર્કર તરીકે નિલમબેન આશીષભાઈ ભોયે તથા હેલ્પર તરીકે કલ્પનાબેન દેવરામભાઈ ભોયે ફરજ બજાવે છે, જેમાં 66 જેટલાં નાનાં ભૂલકાંને પાયાના શિક્ષણનું સિંચન સિંચન કરવામાં આવે છે. જ્યારે ગામમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત 1 પ્રાથમિક શાળા જે 1થી 5 ધોરણની આવેલી છે, જેમાં 49 બાળકો મફત શિક્ષણનો સરકારની યોજનાનો લાભ લઈ અભ્યાસ કરી રહ્યાં છે. શાળામાં ધોરણ-1થી 5માં 26 કુમાર અને 23 કન્યા અભ્યાસ કરે છે. હાલ રોજેરોજ શિક્ષકો શાળામાં આવી બાળકોને સુલભ શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. શાળાના મુખ્ય શિક્ષક તરીકે રામદાસભાઈ ભોયા તથા ઉ.શિક્ષક તરીકે અરુણાબેન એન.પટેલ ફરજ બજાવે છે. શાળામાં બાળકોને પીવાના પાણી માટે આર.ઓ. પ્લાનની સુવિધા નથી. આ શાળાના શિક્ષકો નિયમિત રીતે શાળામાં આવી આદિવાસી ભૂલકાંને શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. આ શાળાના મુખ્ય શિક્ષક રામદાસભાઈ ભોયા ઉત્સાહી શિક્ષક હોવાથી શાળા રાબેતા મુજબ ચાલી રહી છે. આ શાળાનાં બંને શિક્ષકો નિયમિત શિક્ષણ કાર્ય કરાવતા હોવાથી ગ્રામજનો ગર્વ અનુભવી રહ્યા છે.

સરકારી નોકરીમાં જુદી જુદી પોસ્ટ પર કાર્યરત યુવા વર્ગ
દરાપાડા ગામના યુવાનો અને યુવતીઓ સરકારી નોકરીની જુદી જુદી પોસ્ટ પર નોકરી કરી ગામનું નામ રોશન કરી રહ્યા છે. દરાપાડા ગામના (1) આશિષભાઈ કિશનભાઈ ભોયે હાલમાં શિક્ષક તરીકે પ્રાથમિક શાળા પાંડવા ખાતે ફરજ બજાવે છે. (2) અજિતભાઈ શિવાભાઈ ભોયે-પ્રાથમિક શિક્ષક તરીકે દાહોદ જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે (3) પ્રકાશભાઈ શિવાભાઈ ભોયે-આચાર્ય તરીકે વઘઇ તાલુકાના લવાર્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા છે. (4) અશોકભાઈ સોન્યાભાઈ ભોયે-શિક્ષક, (5)અશ્વિનભાઈ કિશનભાઈ ભોયે-ગોડાઉન મેનેજર, (6) હિતેશભાઈ એન. ભોયે-પટાવાળા એસ.બી.આઈ.બેંક-શામગહાન, (7) અનિલભાઈ અરવિંદભાઈ ભોયે-પટાવાળા-સિવિલ હોસ્પિટલ-આહવા ખાતે ફરજ બજાવે છે. આ તમામ નોકરી કરતા ભાઈઓ અને બહેનો વાર-તહેવારની રજાઓમાં ગામમાં આવી લોકોમાં વિકાસ તથા સહકારની ભાવના દાખવી જાગૃતિ કેળવે છે.

દરાપાડાની ફાટક પાસે પિકઅપ સ્ટેન્ડનું તો અસ્તિત્વ જ નથી
વઘઇ તાલુકાના દરાપાડા ગામ જવું હોય તો બારીપાડાથી નડગચોંડ થઈ દરાપાડા ગામ જવાય છે. જ્યારે બીજો આંતરિક માર્ગ એવો આંબાપાડા ગામ થઈ દાપૂરનાં જંગલોમાંથી દરાપાડા ગામે પણ જઈ શકાય છે. પરંતુ આ ગામના ફાટક પાસે વર્ષોથી પિકઅપ સ્ટેન્ડની વ્યવસ્થા નથી. દરાપાડા ગામની ફાટક પાસે પિકઅપ સ્ટેન્ડનું નામોનિશાન જોવા ન મળતાં આ ગામ ક્યાં આવ્યું છે, જેની ખબર પડતી નથી. સાથે દરાપાડા ગામ સુધી એસ.ટી. બસની પણ સુવિધા ન હોવાના પગલે લોકો સહિત વિદ્યાર્થીઓને રોજેરોજ ત્રણ કિલોમીટર સુધી ચાલતા જવું પડે છે. જેથી તંત્ર ગામ સુધી એસ.ટી. બસ લંબાવે તેવી માંગ ઊઠી છે.

પશુપાલન થકી પણ ગ્રામજનો આત્મનિર્ભર
પશુપાલનની દૃષ્ટિએ ગામના નાના-મોટા ખેડૂતો પોતાની પાસે ગાય, ભેંસ, બકરાં, ખેતી માટે બળદ અને પાડા જેવા પાલતું પ્રાણીઓનો ઉછેર કરે છે, જેમાંથી વધારાની આવક મેળવી પરિવારના ભરણપોષણમાં ભાગીદાર બને છે. દરાપાડા ગામે ખેડૂતો પાસે ગાયો પણ છે. ગામના પશુપાલકો રોજેરોજ ડેરીમાં દૂધ ભરે છે. દરાપાડા ગામના દૂધ ડેરીના પ્રમુખ તરીકે રમેશભાઈ સોન્યાભાઈ ભોયે તથા મંત્રી તરીકે સુનિતાબેન નરેશભાઈ તુંબડા ફરજ બજાવી રહ્યાં છે. દૂધમંડળીના પ્રમુખ દરાપાડા ગામના પશુપાલકોને સમયસર યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે અને આવકનું ઉપાર્જન મેળવી રહ્યા છે.

ગામના સમાજસેવકો અને અગ્રણીઓ
દરાપાડા ગામના વિકાસમાં દિનેશભાઇ ભોયે, અરુણાબેન ભોયે, પોલીસ પટેલ અંકુરભાઈ કિશનભાઈ ભોયે, ચીમનભાઈ સોનુભાઈ સહારે, વાળેભાઈ બુધિયાભાઈ વાઘમારે, સકાભાઈ સોનુભાઈ સહારેનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે.
સ્મશાનભૂમિ બનાવાતાં અંતિમક્રિયા વેળાએ ગ્રામજનોને મોટી રાહત
દરાપાડા ગામની વર્ષો જૂની સમસ્યામાં સ્મશાનની સમસ્યાનો અંત આવ્યો છે. ગામના જાગૃત મહિલા સરપંચ દ્વારા પંચાયતની ગ્રાંટમાંથી અહીં સ્મશાન ઘર બનાવાતાં ચોમાસાની ઋતુમાં અંતિમક્રિયા વેળાએ ગ્રામજનોને મોટી રાહત મળી ગઈ છે.

ભોયે દંપતીએ દેખાડ્યો ‘વિકાસપથ’
નડગચોંડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ દરાપાડા, મુંરબી, ગુંદવહળ અને નડગચોંડ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લી ત્રણ ટર્મથી ગ્રુપ ગ્રામ પંચાયત નડગચોંડમાં ભાજપાની બોડીનો દબદબો જોવા મળે છે. ગ્રુપ ગ્રામ પંચાયત નડગચોંડમાં દરાપાડા ગામનું ભોયે દંપતી છેલ્લાં 15 વર્ષથી ભાજપાનો ભગવો લહેરાવી શાસન કરી રહ્યું છે. નડગચોંડ ગ્રુપ ગ્રામ પંચાયતના દરાપાડા ગામની વાત કરીએ તો છેલ્લી ત્રણ ટર્મથી બહુમતીથી ભાજપાની બોડી ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દબદબાભેર ચુંટાઈ આવે છે. અહીં ચાર ગામના સરપંચ તરીકે ભાજપા પેનલનાં અરુણાબેન દિનેશભાઇ ભોયે સતત બે વખત ચુંટાઈ આવ્યાં છે. હાલ દરાપાડા સહિત ત્રણ ગામનો વહીવટ સરપંચ અરુણાબેન દિનેશભાઇ ભોયે સફળતાપૂર્વક કરી રહ્યાં છે.

દરાપાડા ગામના યુવાન અને જાગૃત આગેવાન દિનેશભાઈ ભોયે તથા તેમનાં પત્ની અરુણાબેન ભોયેએ છેલ્લાં 15 વર્ષથી અહીં સત્તાની કમાન સંભાળી આદિવાસી લોકોની સમસ્યા નિવારવા માટે સફળતા હાંસલ કરી છે. હાલમાં આ દંપતી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ દરાપાડા ગામના વિકાસકીય કામોને વેગ આપવા માટે ઝઝૂમી રહ્યું છે. દરાપાડા ગામમાં ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યો તરીકે કિશનભાઈ લાહનુભાઈ લહરે તથા નિલેશભાઈ સાધુભાઈ હુડકે ભાજપાની પેનલમાંથી દબદબાભેર ચુંટાઈ આવ્યા છે. ગ્રુપ ગ્રામ પંચાયત નડગચોંડના દરાપાડા ગામની મહિલા સરપંચ અરુણાબેન ભોયે શિક્ષિત હોવાથી સરકારી ગ્રાંટ મુજબ જે પણ કામો મંજૂર થાય છે તે ચારેય ગામના લોકો સમક્ષ પહોંચાડી વિકાસને વાચા આપવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

ગામનો વિકાસ કરવા માટે હું પ્રયત્નશીલ છું: સરપંચ અરુણાબેન ભોયે
દરાપાડા ગામનાં શિક્ષિત અને યુવાન મહિલા અગ્રણી સરપંચ અરુણાબેન દિનેશભાઇ ભોયે ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાં છે. આ શિક્ષિત મહિલા ગ્રુપ ગ્રામ પંચાયત નડગચોંડમાં ભાજપા પેનલમાંથી સતત બે વખત દબદબાભેર ચુંટાઈ આવ્યાં છે અને હાલમાં સરપંચનો હોદ્દો ગ્રહણ કરી દરાપાડા ગામની સત્તાની કમાન સંભાળી છે. તેમણે જણાવ્યું હતું કે, હું શિક્ષણ મેળવ્યા બાદ મારા ગામના અગ્રણી તરીકે સેવા આપી રહી છું. અને હાલમાં ગામમાં જ રહું છું. જેથી ગામના તમામ લોકો સાથે સંપર્કમાં રહું છું. ચાર જેટલા ગામોના લોકોની સલાહ-સૂચન મુજબ વિકાસનાં કામોની ચર્ચા કરી ઉપલા લેવલે રજૂઆત કરી સરકારી યોજનાઓ સફળ બનાવવા માટે તંત્રમાં હું રજુઆત કરું છું. અમારા નાનકડા ગામમાં શાંતિનો માહોલ જોવા મળે છે અને તેઓ ગામના હિતેચ્છુને સારી રીતે ઓળખે છે. દરાપાડા ગામમાં યુવા મહિલા નેતા તરીકે ઉભરી આવ્યા બાદ સરકારની ગ્રાન્ટ થકી ગામનો વિકાસ સારી રીતે થાય એ માટે વારંવાર વઘઇ તાલુકા પંચાયત સહિત તંત્રમાં રજૂઆત કરું છું. વધુમાં અમારું દરાપાડા ગામ અંતરિયાળ વિસ્તારમાં આવેલું હોવાથી આ ગામનો વિકાસ કરવા માટેના મારા પ્રયત્નો રહેશે.

સમસ્યાનું નિરાકરણ લાવવામાં માજી સરપંચ દિનેશભાઈ ભોયે હંમેશાં આગળ
વઘઈ તાલુકા ભાજપા મંડળના મંત્રી અને દરાપાડા ગામના આગેવાન એવમ માજી સરપંચ દિનેશભાઇ ભોયે છેલ્લાં 25 વર્ષોથી અગ્રણી અને લોકસેવક તરીકે ગામમાં સેવા આપી રહ્યા છે. ગામમાં કોઈ પણ મુશ્કેલી તથા કોઈ પણ તકરાર હોય તો તેઓ બંને પક્ષને ગામના પંચમાં ભેગા કરી મધ્યસ્થી બની સુખદ સમાધાન પણ કરાવી આપે છે. તથા ગામના શિક્ષિત યુવાનોને પણ યોગ્ય માર્ગદર્શન આપે છે. માજી સરપંચ દિનેશભાઈ ભોયે અગાઉ 1 ટર્મ સુધી ભાજપા બોડીમાંથી દબદબાભેર ચુંટાઈ આવ્યાં હતાં. હાલ તેમનાં પત્ની અરુણાબેન ભોયે સરપંચ પદે કાર્યરત હોવાથી દંપતી સાથે મળી વિકાસકીય કામોને વેગ આપી રહ્યું છે. હાલ આ દંપતી સત્તાધારી પાર્ટીમાં હોવાથી ગામ સહિત વિસ્તારનો વિકાસ વેગવંતો બન્યો છે. આગેવાન દિનેશભાઇ ભોયે પોતે ગ્રેજ્યુએટ હોવાથી યુવાનોને યોગ્ય માર્ગદર્શન તેમજ ગામના શિક્ષિત ન હોય તેવાં વૃદ્ધ ભાઈ-બહેનોની સહાયકીય યોજનાઓમાં આહવા અને વઘઇ સુધી દોડી જઈ મદદરૂપ બની ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડી રહ્યા છે. જેથી છેલ્લાં 25 વર્ષથી ગામના અને નડગચોંડ પંથકમાં અગ્રણી તરીકે આજે પણ તેઓની લોકચાહના અકબંધ છે.

Most Popular

To Top