Comments

કોરોના સામે અંધશ્રધ્ધાથી લડાય કે વિજ્ઞાનથી?

આ માસના પૂર્વાર્ધમાં આયુષ મંત્રાલયે કોરોનાની કટોકટીમાં રોગ પ્રતિકારક શકિત કઇ રીતે વધારવી તે અંગે સવિસ્તર સલાહ-સૂચનો આપ્યાં. મંત્રાલયે ખાસ ભલામણ કરતાં જણાવ્યું કે સવારે બંને નસ્કોરામાં તલનું તેલ, કોપરેલ કે ઘી લગાડો. આમ છતાં કોઇને નાકમાં આ બધા પદાર્થો નાંખવાનું નહીં ગમે તો મંત્રાલયે બીજો વિકલ્પ આપ્યો છે. એક ચમચો તલનું તેલ કે કોપરેલ મોઢામાં રાખો. પી નહીં જવાનું. બે ત્રણ મિનિટ મોમાં મમળાવો અને કોગળો કરી નાંખો અને પછી ગરમ પાણીના કોગળા કરી નાંખો. મંત્રાલયે કોરોના સામે રક્ષણ મેળવવા માટે ચ્યવનપ્રાસ ખાવાની, વરાળનો બાફ શ્વાસમાં લેવાની અને હર્બલ ચા પીવાની વગેરે સલાહ સૂચન પણ આપ્યાં છે. આયુષ મંત્રાલયે એટલું જ કહેવાનું બાકી રાખ્યું છે કે આ વાત સૂચવેલી ભલામણોનો અમલ કરશે તે દેશભકતને કોરોના નહીં થાય પણ તે કહેવા એવું જ માંગે છે.

21 મી સદીના આ એક સૌથી ઘાતક રોગ માટે પુરવાર થયા વગરના આ ઉપચારોના પ્રચાર માટે શાસક પક્ષના નેતાઓ અને પ્રચારકો અત્યંત ઉત્સાહી છે. મારા વતન રાજય કર્ણાટકના ઉત્તર ભાગમાં ઓકિસજનની તંગી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય વિજય શંખેશ્વરે લીંબુના રસને સૂંઘવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે નસ્કોરામાં લીંબુનો રસ લગાડો. તેનાથી ઓકિસજનનું પ્રમાણ 80 ટકા વધી જાય છે. મારાં સગાંઓ અને સાથીઓ સહિત બસો વ્યકિતઓમાં આ ઘરેલુ ઉપચાર કામિયાબ નીવડયો છે.

‘ધી હિંદુ’ એ વિજય શંખેશ્વરની સલાહ ટાંકતો હેવાલ આપી તેમાં ઉમેર્યું હતું કે આ નેતાના કેટલાય અનુયાયીઓ આ સલાહ માનવાને પગલે મરણ પામ્યા હતા. ભારતીય જનતા પક્ષના વધુ એક પ્રભાવશાળી નેતા કર્ણાટક ભારતીય જનતા પક્ષના મહામંત્રી બી.એલ. સંતોષ વરાળનો બાફ શ્વાસમાં લેવાની સલાહ આપી કોરોના સામે લડત આપવાનો માર્ગ બતાવ્યો તેમ જ વરાળ લેનાર માસ્ક વિનાના પોલીસોના ભયજનક ટોળાનાં ચિત્રો મૂકયાં. દરમ્યાન ભારતીય જનતા પક્ષશાસિત રાજય મધ્ય પ્રદેશના સાંસ્કૃતિક બાબતોનાં પ્રધાન ઉષા ઠાકુરે કહ્યું કે કોરોનાની હાલની મહામારી સામે લડવા માટે હવન અસરકારક રસ્તો છે. અમે સૌને યજ્ઞ કરવાની અને આહુતિ આપી પર્યાવરણ શુધ્ધ કરો કારણ કે આપણે ત્યાં યુગોથી હોમ-હવન- યજ્ઞ મહામારીને મારી હઠાવવા માટે થાય છે. ‘પરિવાર’ના સભ્યોએ ઉષા ઠાકુરની સલાહ ગંભીરતાથી લીધી લાગે છે, કાળી ટોપી અને ખાખી ચડ્ડીવાળા સ્વયંસેવકો એક અતિ વ્યાપક બનેલી વિડીયોમાં ઘરે ઘરે ફરી લીમડો અને જલાઉ લાકડા લઇ હવન કેમ કરવા તે સમજાવતા દેખાય છે.

મહાત્મા ગાંધીના હત્યારાને સાચા દેશભકત ગણાવનાર ભોપાળના વિવાદાસ્પદ સંસદસભ્ય બીજા એક વિડીયોમાં ભારપૂર્વક કહે છે કે મને કોરોના થયો નથી કારણ કે હું રોજ ગૌ મૂત્ર પીઉં છું. ભારતીય જનતા પક્ષનું શાસન સૌથી લાંબો સમય રહ્યું છે તે ગુજરાતમાંથી હેવાલ છે કે સાધુઓનું એક જૂથ કોરોનાથી બચવા માટે ગાયના છાણનો શરીર પર લેપ લગાડે છે. આ ઉપચારોના વરસાદ વચ્ચે ગયા વર્ષે સરકારી સંત બાબા રામદેવે કેન્દ્રના આરોગ્ય પ્રધાન અને વિજ્ઞાન અને ટેકનોલોજી ખાતાના પ્રધાનની ઉપસ્થિતિમાં ‘કોરોનિલ’ બજારમાં મૂકી હતી અને આ દવા વિશે ખોટો પ્રચાર થયો હતો કે તે કોવિડનો રામબાણ ઉપચાર છે અને તેમાં સાત દિવસમાં સાજા થવાની બાંહેધરી છે.

‘પતંજલિ રીસર્ચ ઇન્સ્ટીટયૂટ’ના વડા નામે અનુરાગ વાર્ષ્ણેય દાવો કર્યો હતો કે ‘કોરોનિલ’ને જરૂરી વૈજ્ઞાનિક સમર્થન મળી ગયું છે. જેમણે આ દવા લીધી હોય તે કોવિડ પોઝિટિવ જણાયો હોય તોય સાત દિવસમાં કોવિડ નેગેટિવ આવે, પણ જેમણે માનસિક રાહતની દવા લીધી છે તેમાંથી માત્ર 60 ટકાને જ કોવિડ નેગેટિવ આવ્યો છે. તેટલા તેમાં ગુણ છે.હું અનેક ઉપચારપધ્ધિતમાં માનું છું અને હું એવું માનતો નથી કે આધુનિક ઔષધવિદ્યામાં તમામ બીમારીઓ માટે તમામ ઉપચાર છે. દમ, કમરનો દુખાવો, મૌસમી બીમારીઓના ઉપચારમાં આયુર્વેદ, યોગ અને હોમિયોપેથી અસર કરી શકે એવો મારો વ્યકિતગત અનુભવ છે.

આમ છતાં કોવિડ-19 21 મી સદીનો એવો વિજાણુજન્ય રોગ છે જેની આયુર્વેદ, યોગ, યુનાની સિધ્ધ અને હોમિયોપેથના શોધકને અને તેનો વિકાસ કરનારને ખબર જ નહતી. આ રોગને હજી માંડ એક દોઢ વર્ષ થયું છે. લીમડાના પાનનો ધૂમાડો કરવાથી, ગૌ મૂત્ર પીવાથી કે વનસ્પતિમાંથી બનેલી ગોળી ગળવાથી કે શરીર પર ગૌ મૂત્રના લેપ કરવાથી કે નસ્કોરામાં તેલ-ઘી ચોપડવાથી કોવિડ-19 ને દૂર રાખી શકાય કે તે થયો હોય તો ઝડપથી સાજા થવાય એવો કોઇ પુરાવો નથી. બીજી તરફ સોશ્યલ ડિસ્ટન્સીંગ અને રસીથી આ રોગ થતો અટકાવી શકાય છે તેવું દર્શાવતા પૂરતા પુરાવા આપણી પાસે છે. આ બાબતમાં આપણી સરકારે આપણને નિરાશાજનક રીતે નિરાશ કર્યા છે.

તેણે રાજકીય-ધાર્મિક કારણોસર ટોળાં થવા દીધાં અને કર્યાં અને દેશને જરૂરી રસીનું ઉત્પાદન નહીં વધાર્યું એની પાસે સમય હોવા છતાં!
હું વિજ્ઞાનીઓના પરિવારમાંથી આવું છું. મેં મારા વિજ્ઞાની પિતા અને મારા વિજ્ઞાની દાદા વચ્ચે અંધશ્રધ્ધાને જ ગાળ દેવાતી હોવાનું સાંભળ્યું છે. મારા પિતા અને દાદા બંને આ દુનિયામાં હવે નથી, પણ મને આશ્ચર્ય થાય છે કે કોવિડ-19 સામેની લડતમાં ઊંટ વૈદ્યાનો પ્રચાર કરતા જોઇને આપણા પ્રખર વિજ્ઞાનીઓ શું વિચારતા હશે? માત્ર પ્રધાનો કે સંઘ પરિવાર કે લોકપ્રતિનિધિઓ જ આ ઊંટવૈદ્યાના સમર્થક નથી, કોરોનાને હરાવવા ખુદ આપણા વડા પ્રધાને થાળી વગાડવાની સલાહ આપી હતી. પછી? કોરોના વાયરસ ઉત્તર અમેરિકા કે યુરોપ ચાલ્યો જશે? વડા પ્રધાનના જયોતિષ કે અંકશાસ્ત્રને જ ખબર!

મોદી પોતાના વૈચારિક સંકુચિતતાસભર ઉછેરનું પ્રતિબિંબ પાડે છે. વડા પ્રધાનપદની પોતાની પહેલી મુદતમાં મોદી રામદેવ બાબાના વખાણ કરતા હતા અને આ બાબા સરકારી સંત બની ગયા છે. પણ મહામારીની મધ્યમાં એક વર્ષ વહેલો કુંભ મેળો યોજવામાં શું તર્ક છે? સંઘ અને ભારતીય જનતા પક્ષના લાભાર્થે? ઉત્તર ભારતમાં રોગચાળો વકરે પછી ગંગા શબથી ઉભરાય જ ને?
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top