National

સુવેન્દુ સરકારનો મોટો નિર્ણય: BSFને મળશે જમીન, ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર વાડ માટે 600 એકર જમીન મંજૂર

પશ્ચિમ બંગાળમાં સરકાર બદલાયા બાદ હવે રાજ્યમાં સરહદ સુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને લઈને મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સુવેન્દુ અધિકારી સરકારએ ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્ય સરકારે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) માટે જરૂરી જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્ય કેબિનેટની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. સરકાર પશ્ચિમ બંગાળના નવ સરહદી જિલ્લાઓમાં ફેલાયેલી આશરે 2,200 કિલોમીટર લાંબી ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફેન્સિંગ અને સુરક્ષા મજબૂત કરવા માટે એક મહિનાની અંદર 600 એકરથી વધુ જમીન ફાળવવાની તૈયારીમાં છે. હાલમાં આ સમગ્ર સરહદમાંથી અંદાજે 1,600 કિલોમીટર વિસ્તારમાં વાડ લગાવવામાં આવી ચૂકી છે, પરંતુ હજુ પણ અનેક વિસ્તારોમાં કામ બાકી છે. સુરક્ષા એજન્સીઓ લાંબા સમયથી બાકી રહેલી જમીન ફાળવણીને કારણે મુશ્કેલીનો સામનો કરી રહી હતી.

અગાઉ પણ મમતા બેનર્જી સરકાર પર વારંવાર આરોપ લાગતા રહ્યા હતા કે તેમણે કેન્દ્રીય સુરક્ષા દળોને, ખાસ કરીને BSFને જરૂરી જમીન આપવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે સરહદ પર ફેન્સિંગ અને સુરક્ષા સંબંધિત અનેક પ્રોજેક્ટ અટવાઈ ગયા હતા. હવે નવી સરકાર આવ્યા બાદ આ અટકેલા કામોને ઝડપથી આગળ વધારવાનો પ્રયાસ શરૂ થયો છે. ભાજપે ચૂંટણી દરમિયાન પોતાના ઘોષણાપત્રમાં ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટે કડક પગલાં લેવાનું વચન આપ્યું હતું. હવે સરકારના આ નિર્ણયને તે દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. રાજ્ય અને BSF વચ્ચેના જરૂરી કરારો પર હસ્તાક્ષર થયા બાદ આગામી થોડા અઠવાડિયામાં આ પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ શકે છે. સરકારે ઉત્તર બંગાળના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના સિલિગુડી કોરિડોર, જેને ‘ચિકન નેક’ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં પણ આશરે 120 એકર જમીન સુરક્ષા હેતુઓ માટે ફાળવવાની મંજૂરી આપી છે. આ વિસ્તાર ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યોને દેશના બાકીના ભાગ સાથે જોડતો સૌથી મહત્વપૂર્ણ માર્ગ માનવામાં આવે છે. તેથી અહીં સુરક્ષા વધુ મજબૂત બનાવવાનું રાષ્ટ્રીય દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું ગણાય છે.

બીજી તરફ, પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યના કેટલાક નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સ માટે પણ લીલી ઝંડી આપી છે. જાહેર બાંધકામ વિભાગ (PWD) હેઠળ આવતા રાષ્ટ્રીય ધોરીમાર્ગોના સાત મહત્વપૂર્ણ ભાગોને NHAI અને NHIDCLને સોંપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. સરકારી સૂત્રો મુજબ, આ પ્રોજેક્ટ્સ લગભગ એક વર્ષથી અટવાયેલા હતા. કેન્દ્રના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા વારંવાર વિનંતી છતાં જમીન સોંપણીની પ્રક્રિયા પૂર્ણ ન થતાં વિકાસ કામ શરૂ થઈ શક્યું નહોતું. હવે રાજ્ય સરકારની મંજૂરી મળતા આ તમામ હાઇવે પ્રોજેક્ટ્સને ઝડપ મળશે. આથી ઉત્તર બંગાળ, સિક્કિમ, ભૂટાન અને બાંગ્લાદેશ સાથેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. સાથે જ માલદા, મુર્શિદાબાદ, નાદિયા અને ઉત્તર 24 પરગણા જેવા જિલ્લાઓમાં પરિવહન અને વેપારને પણ મોટો ફાયદો થશે. વિશ્લેષકોના મત મુજબ, રાજ્ય સરકારના આ નિર્ણયો માત્ર સુરક્ષા માટે જ નહીં પરંતુ આર્થિક અને વ્યૂહાત્મક રીતે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Most Popular

To Top