National

બિલ્કીસ બાનો કેસ: ગુનેગારોએ આત્મસમર્પણ કરવું પડશે, સુપ્રીમ કોર્ટે મુદત વધારવાની અરજી ફગાવી

નવી દિલ્હી: (New Delhi) ગુજરાતમાં 2002ના રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો (Bilkis Bano) પર ગેંગરેપ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં શરણાગતિ માટે સમય વધારવાની માંગ કરતી 11 દોષિતોની અરજીને સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે ફગાવી દીધી હતી. જસ્ટિસ બી. વી. નાગરથના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાની ખંડપીઠે કહ્યું કે દોષિતોએ આપેલા કારણોમાં કોઈ યોગ્યતા નથી.

બેન્ચે કહ્યું કે અમે વરિષ્ઠ વકીલ અને અરજદારોના વકીલ, બિનઅરજદારોના વકીલની દલીલો પણ સાંભળી છે. શરણાગતિ માટે વધુ સમય આપવા માટે અરજદારો દ્વારા આપવામાં આવેલા કારણોમાં કોઈ તથ્ય નથી કારણ કે આ કારણો કોઈપણ રીતે તેમને અમારા નિર્દેશોનું પાલન કરતા અટકાવતા નથી. તેથી આ અરજીઓ ફગાવી દેવામાં આવે છે.

8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આ કેસમાં 11 દોષિતોને માફી આપવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. તેણે દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. બાદમાં દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરીને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાની વિનંતી કરી હતી. આ માટે તેણે ખરાબ તબિયત, સર્જરીની જરૂરિયાત, પુત્રના લગ્ન અને પાકેલા પાકની કાપણી જેવા કારણો દર્શાવ્યા હતા.

સમયથી પહેલા મુક્ત કરાયેલા 11 દોષિતોમાં બકાભાઈ વહોનિયા, ગોવિંદભાઈ નાઈ, રમેશ રૂપભાઈ ચંદના, મિતેશ ચીમનલાલ ભટ્ટ, પ્રદીપ રમણલાલ મોઢિયા, બિપિન ચંદ્ર જોષી, જસવંતભાઈ ચતુરભાઈ નાઈ, રાધેશ્યામ ભગવાનદાસ શાહ, કેશરભાઈ ખીમાભાઈ વહોનીયા અને સોલેશભાઈ રાજેશભાઈ શાહનો સમાવેશ થાય છે.

જણાવી દઈએ કે ઘટના સમયે બિલ્કીસ બાનો 21 વર્ષની હતી અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. 2002માં ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના બાદ ફાટી નીકળેલા રમખાણો દરમિયાન બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો. રમખાણોમાં માર્યા ગયેલા તેમના પરિવારના સાત સભ્યોમાં તેમની 3 વર્ષની પુત્રી પણ સામેલ હતી.

Most Popular

To Top