National

આયુર્વેદ વિરુદ્ધ એલોપથીની ચર્ચાએ લીધો નવો વળાંક : બાબા રામદેવ આપશે કોઈ પ્રતિક્રિયા?

દહેરાદૂન:આયુર્વેદ (Ayurveda) વિરુદ્ધ એલોપથીની ચર્ચાએ એક નવો વળાંક લઈ લીધો છે. હવે ઉત્તરાખંડ (Uttrakhand) સરકારે આયુર્વેદિક ડૉક્ટરો (Doctors) ને કટોકટીમાં દર્દીઓ માટે પસંદ કરેલી એલોપથી (allopathy)ની દવા લખવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.

સોમવારે અહીં ઉત્તરાખંડ આયુર્વેદિક યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમની સાથોસાથ આ ઘોષણા કરતા આયુષ મંત્રી હરકસિંહ રાવતે કહ્યું કે, આ નિર્ણય રાજ્યના અંતરિયાળ પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકોના હિત માટે લેવામાં આવ્યો છે. જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મોટાભાગે આયુર્વેદિક ડૉકટરો હોય છે. તેમણે કહ્યું કે, ઉત્તરાખંડમાં આશરે 800 આયુર્વેદિક ડૉકટરો છે અને જેટલા આયુર્વેદિક દવાખાનાઓ છે, જેમાંથી 90 ટકા દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં છે.

મંત્રીએ કહ્યું કે, આ નિર્ણય માટે ઉત્તર પ્રદેશ ભારતીય ચિકિત્સા અધિનિયમમાં પરિવર્તનની જરૂરત છે. જેનાથી દુર્ઘટના અને અકસ્માતગ્રસ્ત પહાડી વિસ્તારોમાં વસતા લોકોને મદદ મળશે. જેઓ યોગ્ય આરોગ્યસંભાળ સુવિધાઓથી વંચિત છે. જો કે, આ ઘોષણા અંગે ભારતીય મેડિકલ એસોસિએશન (આઈએમએ), ઉત્તરાખંડે આકરી પ્રતિક્રિયા આપી હતી અને તેને ‘ગેરકાયદેસર’ ગણાવી હતી. આઈએમએ ઉત્તરાખંડના સેક્રેટરી અજય ખન્નાએ કહ્યું કે, તે ગેરકાયદેસર છે અને તે મિક્સોપેથીની શ્રેણીમાં આવે છે. તેમણે કહ્યું કે, મિક્સોપેથી ઇમરજન્સીમાં દર્દીઓને નુકસાન પહોંચાડે છે. સુપ્રીમ કૉર્ટ અને ઉચ્ચ અદાલતો આ અંગે ખૂબ જ સ્પષ્ટ છે. આયુર્વેદિક ડૉકટરો એલોપથીની પ્રેક્ટિસ કરી શકતા નથી, કારણ કે, તે તેના માટે ક્વોલિફાઇડ નથી.

ખન્નાએ પૂછ્યું કે, એલોપેથી વિશે જાણ્યા વિના આયુર્વેદિક ડૉકટરો એલોપેથીક દવાઓ કેવી રીતે આપી શકે છે?

Most Popular

To Top