National

મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 25થી વધુ લોકો દટાયા હોવાની આશંકા

મુંબઈ: સોમવારે મોડી રાત્રે મુંબઈના (Mumbai) કુર્લા ઈસ્ટના નાઈક નગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી (Building Collapsed) થઈ હતી. બીએમસીના (BMC) જણાવ્યા અનુસાર કાટમાળ નીચેથી 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે આ દુર્ઘટનામાં એકનું મોત થયું છે. માહિતી પ્રમાણે કાટમાળ નીચે 25 થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બચાવ કામગીરી ચાલુ છે. ઘટનાસ્થળે પહોંચેલા BMC એડિશનલ કમિશનર અશ્વિની ભીડેએ જણાવ્યું હતું કે બિલ્ડિંગ જર્જરિત છે અને 2013 પહેલા રિપેરિંગ અને પછી તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી.

આદિત્ય ઠાકરે ઘટનાસ્થળે પહોંચ્યા હતા
મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે મુંબઈમાં બિલ્ડિંગ દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે 5-7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તમામ 4 ઈમારતોને નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ હજી પણ ત્યાં લોકો રહે છે. અમારી પ્રાથમિકતા દરેકને બચાવવાની છે. સવારે અમે આ ઈમારતોને ખાલી કરાવવા અને તોડવાની કામગીરી જોઈશું જેથી આસપાસના લોકોને તકલીફ ન પડે અને એમ પણ કહ્યું કે જ્યારે પણ BMC નોટિસ આપે ત્યારે ઈમારતો જાતે જ ખાલી કરી દેવી જોઈએ. અન્યથા આવી ઘટનાઓ બને છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે.

રાજાવાડી હોસ્પિટલના સીએમઓ ડૉ. પવારે જણાવ્યું કે કુલ 11 ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એક 30 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. તેની ઓળખ થઈ શકી નથી. જ્યારે ચૈત બસપાલ (36 વર્ષ)ની માત્ર સ્થિતિ સ્થિર છે. તે જ સમયે, આબિદ અંસારી (26 વર્ષ), ગોવિંદ ભારતી (32 વર્ષ), મુકેશ મોર્યા (25 વર્ષ), મનીષ યાદવ (20 વર્ષ) ઓપીડીમાં સારવાર હેઠળ છે. આ સિવાય સંતોષ કુમાર ગૌર (25 વર્ષ), સુદેશ ગૌર (24 વર્ષ), રામરાજ રહાની (40 વર્ષ), સંજય માઝી (35 વર્ષ), આદિત્ય કુશવાહા (19 વર્ષ)ને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. સાયન હોસ્પિટલના ડૉક્ટર નવીને જણાવ્યું કે ઘાયલ અખિલેશ મજીદ (36 વર્ષ)ને દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની સ્થિત સ્થિર હોવાનું ડૉક્ટરે જણાવ્યું છે.

Most Popular

To Top