World

હિઝબુલ્લાહે ઇઝરાયેલના રાફેલ બેઝ પર 45 રોકેટ છોડ્યા, ઈઝરાયેલનો લેબનોનમાં યુદ્ધ રોકવાનો ઇનકાર

ઇઝરાયલે લેબનોનમાં યુદ્ધ રોકવાનો ઇનકાર કર્યો છે. ઇઝરાયેલના પીએમ ઓફિસે 26 સપ્ટેમ્બર, ગુરુવારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. એવું કહેવામાં આવ્યું છે કે યુદ્ધવિરામના અહેવાલો ખોટા છે. પીએમ બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે કહ્યું છે કે અમેરિકા અને ફ્રાન્સે યુદ્ધ રોકવાની માંગ કરી હતી. નેતન્યાહૂએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ઈઝરાયલના જણાવ્યા પ્રમાણે પીએમની સલાહ પર સેના લેબનોનમાં સંપૂર્ણ તાકાત સાથે લડાઈ ચાલુ રાખશે. બીજી તરફ હિઝબુલ્લાએ ઇઝરાયેલની રાફેલ સૈન્ય સુવિધા પર 45 રોકેટ છોડ્યા છે. હજુ કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી.

લેબનોનના સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઇઝરાયેલે ગુરુવારે લેબનોનના યુનિન વિસ્તારમાં હુમલો કર્યો હતો. જેમાં 23 સીરિયન લોકોના મોત થયા હતા. આ તમામ લોકો કામ અર્થે લેબનોન ગયા હતા. આ પહેલા બુધવારે ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)માં ઈઝરાયેલ-લેબનોન યુદ્ધને રોકવા માટે ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં અમેરિકા-ફ્રાંસે 21 દિવસના યુદ્ધવિરામની માંગ કરી હતી. જેથી યુદ્ધ રોકવા માટે બંને પક્ષો વચ્ચે વાતચીત થઈ શકે.

ઓસ્ટ્રેલિયા, કેનેડા, સાઉદી અરેબિયા, UAE, કતાર સહિત ઘણા યુરોપિયન દેશોએ યુદ્ધવિરામની માંગને સમર્થન આપ્યું હતું. મીટિંગમાં ફ્રાન્સે કહ્યું હતું કે લેબનોનમાં ચાલી રહેલા યુદ્ધને રોકવું જરૂરી છે નહીં તો મધ્ય પૂર્વમાં યુદ્ધ વધુ વધી શકે છે. કૂટનીતિ દ્વારા આને રોકી શકાય છે.

ઇઝરાયલે લેબનોનમાં ઘૂસણખોરી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સીએનએનના અહેવાલ મુજબ ઇઝરાયલના સૈન્ય વડા હરજાઇ હલેવીએ બુધવારે કહ્યું કે લેબનોનમાં તેમના હવાઈ હુમલાનો હેતુ હિઝબુલ્લાહના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાનો અને જમીનમાં ઘૂસણખોરીનો માર્ગ શોધવાનો છે.

હલેવીએ કહ્યું કે ઇઝરાયલી દળો હિઝબુલ્લાહના વિસ્તારમાં પ્રવેશ કરશે અને તેમની સૈન્ય ચોકીઓને નષ્ટ કરશે. પછી તેઓ જાણશે કે ઇઝરાયેલી સેનાનો સામનો કરવાનો અર્થ શું છે. તેણે કહ્યું કે હિઝબુલ્લાહના હુમલાને કારણે ઈઝરાયલના લોકોએ પોતાના ઘર છોડવા પડ્યા. હવે તેઓ પોતાના ઘરે પરત ફરી શકશે.

Most Popular

To Top