હંટાવાયરસથી પ્રભાવિત માનવામાં આવતી લક્ઝરી ક્રૂઝ શિપ એમવી હોન્ડિયસ (MV Hondius) ગ્રાનાડિલા બંદર પર પહોંચતા જ આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના વડા ડો. ટેડ્રોસ ઘેબ્રેયેસસે લોકોને આશ્વાસન આપતા જણાવ્યું છે કે હાલ ગભરાવાની જરૂર નથી અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. આજે રવિવારની વહેલી સવારે આ ક્રૂઝ શિપ બંદર પર પહોંચી હતી. શિપમાં હંટાવાયરસના સંક્રમણની આશંકા બાદ યુરોપની પબ્લિક હેલ્થ એજન્સીએ તમામ મુસાફરોને હાઈ-રિસ્ક કોન્ટેક્ટ તરીકે જાહેર કર્યા છે. જોકે, હાલમાં રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ પણ મુસાફરમાં સંક્રમણના સ્પષ્ટ લક્ષણો જોવા મળ્યા નથી. છતાં સાવચેતીના ભાગરૂપે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે.
મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નાની બોટ દ્વારા મુસાફરોને કિનારે લાવવામાં આવશે. ત્યારબાદ તેમને સીલબંધ બસોમાં બેસાડીને નજીક આવેલા ટેનેરિફ મુખ્ય એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવશે. એરપોર્ટ પરથી મુસાફરોને તેમના દેશોમાં મોકલવામાં આવશે, જ્યાં પણ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવશે. હંટાવાયરસ એક પ્રાણીજન્ય વાયરસ છે, જે સામાન્ય રીતે ઉંદરના મળ, મૂત્ર અથવા લાળના સંપર્કથી ફેલાય છે. આ વાયરસથી સંક્રમિત વ્યક્તિને તીવ્ર તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ગંભીર સ્થિતિમાં આ વાયરસ સીધો ફેફસાં પર અસર કરે છે અને જીવલેણ સાબિત થઈ શકે છે. જોકે, નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે હંટાવાયરસ માણસથી માણસમાં સહેલાઈથી ફેલાતો નથી. અધિકારીઓ હાલમાં તપાસ કરી રહ્યા છે કે આ વાયરસ ક્રૂઝ શિપમાં કેવી રીતે પહોંચ્યો. પ્રાથમિક આશંકા મુજબ શિપમાં ઉંદરોના કારણે સંક્રમણ ફેલાયું હોઈ શકે છે.
ટેનેરિફ ટાપુ મુખ્યત્વે પ્રવાસન પર આધારિત હોવાથી સ્થાનિક લોકોમાં ચિંતા વધી ગઈ છે. જોકે WHOએ સ્પષ્ટ કર્યું છે કે બંદર વિસ્તાર સંપૂર્ણપણે સીલ કરવામાં આવ્યો છે અને સ્થાનિક લોકો તથા મુસાફરો વચ્ચે કોઈ સીધો સંપર્ક થવા દેવામાં આવશે નહીં. WHO ચીફ ડો. ટેડ્રોસે કહ્યું કે તમામ સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. શિપ ખાલી થયા બાદ તેને સંપૂર્ણ રીતે ડિસઇન્ફેક્ટ પણ કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાને કારણે આરોગ્ય વિભાગ, સ્થાનિક પ્રશાસન અને આંતરરાષ્ટ્રીય આરોગ્ય એજન્સીઓ સતત સંકલનમાં કામ કરી રહી છે, જેથી વાયરસનો ખતરો વધુ ન ફેલાય.