Comments

આ રક્ષાબંધને એક પુરુષ તરીકે તમે તમારી બહેનને શું આપશો?

હિંદુ સંસ્કૃતિ અને પુરાણોમાં રક્ષાબંધનને અનેરું મહત્ત્વ અપાયું છે. એક કથા મુજબ મહાભારતમાં શિશુ પાલે ભરી સભામાં ભગવાન શ્રીકૃષ્ણની ટીકા કરી. શ્રીકૃષ્ણે વચન આપ્યું હતું કે શિશુપાલની 100 ભૂલો માફ કરીશ, ભરી સભામાં શિશુપાલે કૃષ્ણનું અપમાન કરતાં કરતાં જેવી ૧૦૦ ભૂલોની સીમા ઓળંગી કે તુરંત જ ભગવાન શ્રીકૃષ્ણે તેના સુદર્શન ચક્ર દ્વારા તેને તેની સજા આપી. કથા મુજબ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે ક્રોધમાં સુદર્શન ચક્ર શિશુપાલ પર ફેંક્યું ત્યારે તેમની આંગળી પર પણ ચોટ લાગી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના આસપાસના લોકો તેમના માટે તે ઘાવ પર કંઈક બાંધવા માટે અને ઘાવ પર કંઈક લગાડવા માટે લેવા ગયા ત્યારે દ્રૌપદીએ આજુબાજુ કશું જોયા વિના પોતાની સાડીમાંથી ભગવાન શ્રીકૃષ્ણને પટ્ટી લગાવી આપી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે દ્રૌપદીને કહ્યું કે ધન્યવાદ બહેન, તેં મારા કષ્ટમાં મારો સાથ આપ્યો અને હું પણ તારા કષ્ટમાં તારો સાથ આપીશ અને તેમણે આ રીતે દ્રૌપદીને વચન આપ્યું.આ જ દિવસને રક્ષા બંધનરૂપે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત પણ અનેક પૌરાણિક કથાઓ રક્ષાબંધન સાથે જોડાયેલી છે, પણ ક્યારેક તમે વિચાર્યું છે  ખરું કે રક્ષાબંધન એ આજના પુરુષ સમાજને મહિલાઓને સશક્ત બનાવવા માટે કે એમને રક્ષિત બનાવવા માટે અપાયેલું એક વચન છે.

ભારતમાં આજકાલથી નહિ, દરેક ધર્મગ્રંથ અને પુરાણોમાં દેવીનું સ્થાન છે. ક્યાંક સમૃદ્ધિ અને શાંતિની દેવી તો ક્યાંક શક્તિનું સ્વરૂપ છે.ક્યાંક ઐશ્વર્ય અપાવનારી લક્ષ્મી છે, તો ક્યાંક રૌદ્ર સ્વરૂપે કાળી છે, તો લોકો માટે જગતજનની.છતાં આજે ભારતમાં બળાત્કારની ઘટનાઓ એની ચરમ સીમા પર છે.એક રિપોર્ટ મુજબ ભારતમાં દર 17 મિનિટે એક બળાત્કાર થાય છે, પણ ક્યારેય આપણે એવું વિચાર્યું છે ખરું કે બળાત્કારનો ભોગ બનનારી મહિલા કોઈકની બહેન તો છે જ અને કોઈક ભાઈએ રક્ષાબંધનના દિવસે એની રક્ષા કરવાનું વચન આપ્યું તો હશે જ અને એવા જ કોઈ બહેનના ભાઈએ બીજાની બહેનનો આવો ભોગ લીધો. આપણે એક મશીનની જેમ રક્ષાબંધનનો તહેવાર તો ઉજવીએ છીએ, પણ એ તહેવાર ઉજવવા પાછળનો આશય આપણે ભૂલી ગયા છીએ. મહાભારતમાં તો રક્ષાબંધનની લાજ રાખવા માટે શ્રીકૃષ્ણે દ્રૌપદીનાં ચીર પૂર્યાં હતાં પણ આજે કળિયુગમાં એક બહેનની રક્ષા માટેનું વચન આપનાર ભાઈ બીજાની બહેનની લાજ લેતાં પહેલાં ક્ષણે વિચાર કરતો નથી.

ભારતમાં આજે પણ સમાજ પિતૃસત્તાક છે, જે પુરુષોને વધારે મહત્ત્વ આપે છે. સ્ત્રીઓને સામાન્ય રીતે બીજા વર્ગના નાગરિક માનવામાં આવે છે. છોકરીની ઇચ્છાઓ અને તેનાં મંતવ્યો છોકરાની જેમ મહત્ત્વનાં માનવામાં આવતાં નથી. સ્ત્રી શરૂઆતથી જ આધીન રહેવાનું શીખે છે, એવા પુરાવા મળ્યા છે જે સૂચવે છે કે,જે ઘરમાં પતિનું પત્ની પર વર્ચસ્વ હોય, પતિ એ પત્નીને મારઝૂડ કરતો હોય, જે કુટુંબમાં છોકરી કરતાં છોકરાને વધુ મહત્ત્વ અપાતું હોય, નાની નાની બાબતોમાં છોકરીને દબાવવામાં આવતી હોય અને છોકરાનો બચાવ કરવામાં આવતો હોય, તેવા કુટુંબમાં ઉછરેલાં બાળકો મોટાં થઈને સ્ત્રીઓ સાથે જબરદસ્તી વધુ કરે છે.

યુનિસેફના ૨૦૧૨ ના અહેવાલમાં જાણવા મળ્યું છે કે, ભારતીય ૧૫ થી ૧૯ વર્ષની વયના ૧૫.૫૭ ટકા છોકરાઓ અને ૫૩ ટકા છોકરીઓ, માને છે કે પત્નીને માર મારવો એ યોગ્ય છે. રાષ્ટ્રીય કુટુંબ-સ્વાસ્થ્ય સર્વેક્ષણના અહેવાલમાં કહેવાયું છે કે, સ્ત્રીઓની એક મોટી ટકાવારી તેમના પતિ દ્વારા કરવામાં આવતી મારપીટ માટે પોતાને દોષી ઠેરવે છે. છોકરીઓ અને સ્ત્રીઓ સામે હિંસા સામાન્ય રીતે તેમના નજીકના કરવામાં આવતો હોય, તેવા કુટુંબમાં ઉછરેલ બાળકો મોટાં થઈને સ્ત્રીઓ સાથે જબરદસ્તી વધુ કરે છે. છોકરીઓ અને સ્ત્રીઓ સામે હિંસા સામાન્ય રીતે તેમના નજીકના આસપાસના વિસ્તારમાં થાય છે.

ભારતમાં તમામ બળાત્કારોમાં ૯૩% બળાત્કાર જાણીતા લોકો દ્વારા કરવામાં આવે છે. જેમાં કુટુંબના સભ્યો, મિત્રો, પડોશીઓ, નોકરીદાતાઓ અને ઓનલાઇન મિત્રો પણ હોઈ શકે છે. હવે તમે વિચારો કે આ બધામાં કોઈક ભાઈ તો હશે ને? કોઈક ભાઈએ કોઈક બહેનને વચન તો આપ્યું જ હશે ને? તો આપણે જયારે ભાઈ બહેનના પવિત્ર તહેવારને ઉજવીએ છીએ ત્યારે સ્ત્રીને પણ એના જીવનનો હક્ક કે પછી એની સ્વત્રંત્રતા કેમ નથી આપતા? કેમ આજે સ્ત્રીએ એની જાતને પુરુષ સમોવડી બોલવું પડે છે?

ચાલો, બધી વાત છોડી દઈએ. રક્ષાબંધન ઉજવનાર દરેક ભાઈને શું ખબર છે કે એ જેની રક્ષા કરવાનું વચન આપે છે એની રક્ષા એ કરી શકશે? શું કોઈ ભાઈના દિલમાં એની બહેનને લઇને ડર નથી લાગતો? કદાચ નહિ ચોક્કસ લાગે છે કેમકે પુરુષવાદી માનસિકતાને ખબર જ છે કે બહાર સમાજમાં પુરુષો કેવા છે. આપણે જો ખરા અર્થમાં રક્ષાબંધન ઉજવતા હોય કે ઉજવવા માંગતા હોય તો માત્ર જેને રાખડી બાંધીએ છીએ એ બહેનને જ નહિ, કોઈ પણ સ્ત્રીને પુરુષથી ક્યારેય ડર ન લાગવો જોઈએ. ભારતમાં બળાત્કારના કિસ્સાઓ ઘટીને વિશ્વમાં સૌથી નીચલા સ્તરે હોવા જોઈએ.

આપણે જો ખરા અર્થમાં રક્ષાબંધન ઉજવવા માંગતા હોઈએ તો આપણે રક્ષાબંધન ઉજવતી વખતે એક પ્રણ એ પણ કરવો જોઈએ કે બીજું કોઈ કરે કે ન કરે, પણ હું મહિલાઓને ક્યારેય પુરુષથી ડર લાગે એવી સ્થિતિનું નિર્માણ તો નહિ જ કરું. કેમકે સ્ત્રી એકલી હોય તો એ તક નથી, પણ જવાબદારી છે. જયારે આપણે આ શીખી જઈશું ત્યારે ખરા અર્થમાં રક્ષાબંધન ઉજવી એવું કહી શકાશે!
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top