Comments

સંસ્કૃતિ એટલે શું?

વિદ્વાનોની વ્યાખ્યામાં ન પડીએ તો આપણને સમજાયેલો સંસ્કૃતિનો સાદો અર્થ એટલો છે કે ‘સંસ્કૃતિ એટલે માનવકલ્યાણનાં મૂળભૂત મૂલ્યોવાળી વિચારધારા જે માનવીના સહજ વર્તનમાં વારસાગત રીતે પેઢી દર પેઢી ઊતરી આવે. મતલબ કે એક વૈચારિક વારસો જે આપણા રોજિંદા વર્તનમાં દેખાય. નવી પેઢી એને અનુસરે અને આવનારી પેઢી માટે તેને જાળવે. આપણે આમ તો સ્થાપત્ય, નાટક, સાહિત્ય ચિત્રકળા, નૃત્ય વગેરેને આપણે સંસ્કૃતિ કહીએ છીએ પણ તે સંસ્કૃતિ નહિ, સંસ્કૃતિના આધારો છે. આગળની પેઢીએ વિચારધારાના, મૂલ્યોના વહન માટે નાટક, નૃત્ય, ચિત્ર, સાહિત્યનો ઉપયોગ કર્યો છે અને તેના દ્વારા તે આપણા સુધી પહોંચ્યું છે.

દુલા કાગ ગાય કે હો જી તારા આંગણિયા પૂછીને જે કોઇ આવે રે. આવકારો મીઠો આપજો… તો આ વિચાર છે. એ સંસ્કૃત તો ત્યારે બને જયારે આપણે આંગણે આવેલા મહેમાનને ખરેખર પાણી આપીએ. તરસ છીપાવીએ. શેઠ સગાળશાની વાર્તામાં ભૂખ્યાને જમાડીને જમવાની વાત છે. તે વાર્તા વાંચવા માત્રથી સંસ્કૃતિ જળવાવાની નથી. ખરેખર આંગણે આવેલા ભૂખ્યાને જમાડવાથી સચવાવાની છે. આવાં અનેક ઉદાહરણ છે. પણ મૂળ મુદ્દો છે તે એ કે જે નાટકમાં વ્યક્ત થાય, ગીતમાં ગવાય, કાવ્યમાં કહેવાય તે ખરેખર તો આપણા વર્તનમાં દેખાવું જોઈએ અને જો ધ્યાનથી જોઇએ તો ભારતીય પરંપરામાં ભારતીય સંસ્કૃતિના મૂળભૂત સિદ્ધાંતોમાં બે બાબત મહત્ત્વની છે. એક  બીજાનો વિચાર અને બે મદદરૂપ થનાર તમામનો આભાર!

સ્વનો તો સૌ વિચાર કરે. આપણા ખાવા માટે હોટલ હોય, ભૂખ્યાને અન્ન મળે, તેના વિચારમાંથી ‘અન્નક્ષેત્ર’ જન્મે છે. પોતાની તરસ માટે તો ‘બોટલ’ સૌ સાથે લઇને ફરે છે. બીજાની તરસ છીપાય એ માટે ‘પરબ’ બંધાય છે. જેમ અન્યનો વિચાર આપણી સંસ્કૃતિનો પાયો છે તેમ બીજો મુદ્દો માનવજીવનને મદદરૂપ થાય તે જગતનાં તમામ તત્ત્વોનો આભાર માનવાનો. નવી ભાષામાં કહું તો આ જીવન જીવવામાં જેણે મદદ કરી, જે કામ લાગ્યું તેને થેંકયુ કહેવાનું!

‘પૃથ્વીએ પહેલે સત નહિ થા અસતભી નહિ!’  આવાં વેદવાક્યો સમજવા જેવાં છે. દેવ-દેવીઓ, પૂજા-પાઠ ક્રિયાકરમ. આ બધું તો કાળક્રમે આવ્યું. તેમાં વ્યવસાયિકતા પ્રવેશી. વેપારીઓ જયાં પ્રવેશે ત્યાં સત્યાનાશ વાળે. તેમણે વિજ્ઞાનનો પણ ધંધો કર્યો અને ધર્મ પણ વેચવા કાઢયો. બાકી મૂળ ભારતીય પરંપરામાં જીવનનાં મૂળભૂત તત્ત્વોની જ ઉપાસના અને તેનો આભાર વ્યક્ત કરવાના ઉત્સવો. ‘ભારત ખેતીપ્રધાન દેશ છે.’

આ વાત અર્થશાસ્ત્રની રીતે હવે 33 ટકા જ સાચી છે. કારણ કે કોઇ પણ આર્થિક ક્ષેત્રનું મહત્ત્વ ત્રણ બાબતથી નક્કી થાય છે. 1. તેનો રોજગારીમાં ફાળો, 2. તેનો નિકાસ કમાણીમાં ફાળો અને (3) તેનો રાષ્ટ્રીય આવકમાં ફાળો! હવે ખેતી માત્ર રોજગારીમાં મોટો ફાળો આપે છે બાકી નિકાસ કમાણી અને આવકમાં તો ઉદ્યોગ તથા સેવક્ષેત્રેનો સિંહફાળો છે. પણ ‘ખેતી માત્ર વ્યવસાય નથી તે જીવનપદ્ધતિ પણ છે.’ આ વાક્ય એટલા માટે કહેવાય કારણ ભારતમાં ભાષા-સાહિત્ય, નાટક, નૃત્ય કે ધાર્મિક, સામાજિક ઉત્સવો, તહેવારોમાં ખેતીનું પ્રાધાન્ય અસરકારક રહ્યું. અને તે છે.

આપણે ત્યાં ઉત્સવો ભારતીય કેલેન્ડર મુજબ આવે છે અને આ ઉત્સવો ખેતીના પાકની ઋતુથી પ્રભાવિત છે. ચોમાસું ખેતી પૂરી થાય ત્યારના ઉત્સવો, શિયાળુ ખેતી પૂરી થાય ત્યારના ઉત્સવો! પરંપરાગત ખેતી વરસાદ આધારિત હતી માટે વરસાદના ઓવારણાનાં ગીતો.અને સારો વરસાદ થાય તેના ઉત્સવો. આ ગુજરતા આખું અત્યારે જે ઉત્સવ ઉજવે છે તેના મૂળ વિચારને બાજુએ રાખીને પરંપરા જાળવશો તો તે રૂડી બની જશે! જો વિચારને સમજીને વર્તન કરશો તો જ સાંસ્કૃતિક મૂલ્યો જળવાશે!

બોળચોથ એ ગાય-બળદની પૂજા છે. ખેતીમાં આખું વરસ જે મદદરૂપ થાય છે તેનો આભાર માનવાનો! નાગપાંચમ એ ખેતીમાં આવતા એ તમામ સરીસૃપ.. જીવજંતુ જે ખેડૂતને મદદ પણ કરે છે અને ખેતીની પ્રક્રિયામાં જીવ પણ ગુમાવે છે. તેને યાદ કરવાનો, થેંક્યુ કહેવાનો દિવસ. શીતળા સાતમ તો મૂળ અગ્નિપૂજાની પરંપરાનો દિવસ છે. સાથે સાથે જૂના સમયમાં બહેનો રસોડું સાફ કરવા, ચૂલા નવા બનાવવા વરસે એક દિવસ રાંધવાનું બંધ રાખે તે પરંપરાને ધાર્મિક મૂલ્ય સાથે જોડવાનો દિવસ છે. એમાં બીજી કોઈ અંધશ્રધ્ધા કે આંતરિક વાત ઉમેરવી જરૂરી નથી અને બીજે દિવસે ખાવાનું હોય તો તળેલી વસ્તુઓ વધારે ફાવે અને ભાવે. એટલા સગવડના ધર્મને લાંબા-પહોળા વિજ્ઞાન સાથે જોડવાની પણ જરૂર નથી.

તો, સો વાતની એક વાત. કોઈ બાબત માત્ર આગળથી ચાલી આવી છે માટે ચાલુ રાખવી અને જેમ ચાલી આવી છે તેમની તેમ જ ચલાવવી એ ‘‘રૂઢી’’ કહેવાય (ટ્રેડીશન) પણ તેની પાછળના વિચારને સમજીને કરવી. આનંદ ઉલ્લાસ અને મરજી પડે તો કરવી. સમય સંજોગો મુજબ કરવી તે સંસ્કૃતિ! આપણી પરંપરામાં ‘‘આનંદ’’ એ પરં તત્ત્વ છે. એનું સમાજશાસ્ત્ર છે અર્થશાસ્ત્ર છે. હવે એમાં રાજનીતિ આવી છે. મહેરબાની કરીને આમાં રાજનીતિ ન લાવો, અહમના પ્રશ્નો ન બનાવો. કારણ ઉત્સવો તહેવારો માણસ માટે છે. માણસ ઉત્સવ અને તહેવાર માટે નથી.

‘‘સર્વે કલ્યાણી પશ્યન્તુ..મા કશ્ચિદ દુ:ખ ભાગભવેત્!’’
સૌનું કલ્યાણ થાય અને દુ:ખ ન રહે! તે જ આપણો મૂળ ધર્મ!
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top